Wednesday, March 23, 2016

લોહીઝાણ લાડકવાયાં

દિવ્યેશ વ્યાસ


ઇન્ટરનેટ પર સીરિયાનાં યુદ્ધગ્રસ્ત બાળકોની તસવીરો જોઈ લેજો, પછી ક્યારેય યુદ્ધનું નામ નહીં લો!

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

ર્ષ 2015માં બે એવી તસવીર સામે આવી, જેણે દુનિયાના કરોડો લોકોની આંખો ભીંજવી દીધી હતી. એક તસવીર હતી દરિયાકાંઠે નિશ્ચેતન પડેલા એલનની અને બીજી તસવીર હતી અન્ય સીરિયન બાળકની જેણે કેમેરાને પણ બંદૂક માનીને હાથ ઊંચા કરી લીધા હતા. તસવીરોએ સીરિયન ગૃહયુદ્ધનો ભયાવહ ચહેરો સમગ્ર વિશ્વ સામે ઉજાગર કરીને સીરિયાના નિર્દોષ લોકો પ્રત્યે સહાનુભૂતિ જગાડી હતી ને પાડોશી દેશોએ નિરાશ્રિતો માટે દ્વાર ખોલેલાં. 



માર્ચ-2011થી ફાટી નીકળેલા સીરિયન ગૃહયુદ્ધને જોતજોતામાં પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સીરિયા ઉપરાંત ઇરાકમાં પણ 'કાળો કેર' વર્તાવી રહ્યા છે અને ત્યાંના લોકોની જિંદગી બેહાલ બની ગઈ છે. સીરિયામાં સૌથી દયનીય હાલત બાળકોની થઈ છે. સીરિયન ગૃહયુદ્ધનાં પાંચ વર્ષ નિમિત્તે ગયા સપ્તાહે યુનિસેફ દ્વારા 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' નામનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. અહેવાલના આંકડા આંખો ઉઘાડે એવા નહિ, આંખો ભીની કરે એવા છે. 



 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' અહેવાલ મુજબ સીરિયાનાં 80 ટકા બાળકો યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં છે. પાંચ વર્ષથી નાની વયનાં મોટા ભાગનાં બાળકોએ યુદ્ધ સિવાય કંઈ જોયું નથી! સીરિયાની આશરે 2 કરોડ 30 લાખની વસ્તીમાંથી અડધોઅડધ આબાદીએ પોતાનું ઘર છોડીને નિરાશ્રિત જીવન જીવવું પડી રહ્યું છે. એક અંદાજ મુજબ 70 લાખ લોકો યુદ્ધગ્રસ્ત સીરિયાને છોડીને આડોશપાડોશના દેશોમાં હિજરત કરી ગયા છે, જેમાં 24 લાખ બાળકોનો સમાવેશ થાય છે. બાળકો પાસે નથી બે ટંકનું ભોજન કે નથી રમવા કોઈ રમકડું ત્યારે શાળાનું સપનું જોવાનું સાહસ પણ ક્યાંથી થાય? સીરિયામાં રહેતાં 21 લાખ બાળકોની શાળા છૂટી ગઈ છે, કારણ કે કાં તો શાળાઓને તહસનહસ કરી દેવાઈ છે કે પછી બાળકોએ માતા-પિતા સાથે સ્થળાંતર કરવું પડ્યું છે. પાડોશી દેશોમાં નિરાશ્રિત જીવન જીવતાં આશરે લાખો બાળકોને ભણાવનારું કોઈ નથી. આમ, આશરે ત્રીસેક લાખ બાળકો શિક્ષણથી વંચિત છે.

સીરિયન યુદ્ધમાં દસમા ભાગની વસ્તી કાં મોતને ભેટી છે કે ઈજાગ્રસ્ત છે. આશરે 2 લાખ 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યાનો અંદાજ છે અને હજારો બાળકો અનાથ બન્યાં છે. ગરીબ પરિવારનાં માંડ સાતેક વર્ષનાં નાનાં બાળકો પેટનો ખાડો પૂરવા માટે સશસ્ત્ર દળોમાં જોડાવા મજબૂર છે, તો નાની દીકરીઓ બાળલગ્નો કરવાં માટે મજબૂર છે. છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં 18 વર્ષથી નાની તરુણીઓનાં લગ્નનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું હોવાનું નોંધાયું છે.

છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં અને સીરિયન પ્રજાનાં 37 લાખ બાળકોનો જન્મ થયો છે. અલબત્ત, યુએન રેફ્યુઝી એજન્સીના આંકડા અનુસાર આશરે 1,51,000 બાળકો નિરાશ્રિત તરીકે જન્મ્યાં છે, જ્યારે સીરિયાની બહાર 3,02,000 બાળકો રેફ્યુઝી કેમ્પોમાં જન્મ્યાં છે. એકલા લેબેનોનમાં 70,000 બાળકોનો જન્મ થયો છે.
વર્ષ 2015માં બાળકો પર આશરે 1500 જેટલા હુમલા થયા, જેમાં 400 બાળકોએ જીવ ગુમાવ્યાં અને 500 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કોઈનાં લાડકવાયાંઓને કોણ બચાવશે? કોણ ભણાવશે? કોણ શીખવશે શાંતિના-વિકાસના પાઠ?

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના 23 માર્ચ, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

No comments:

Post a Comment