Wednesday, March 9, 2016

રાષ્ટ્રીય શાયર પર રાજદ્રોહ

 દિવ્યેશ વ્યાસ


‘સિંધુડો'ના સર્જક ઝવેરચંદ મેઘાણી પર પણ અંગ્રેજોએ રાજદ્રોહનો કેસ ચલાવીને તેમને જેલમાં પૂરેલા. રાજદ્રોહના મામલે રોવાનું છે કે કાયદો સર્જકો, બૌદ્ધિકો અને આંદોલનકારીઓ સામે જેટલો ઉગામાયો છે, એટલો ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ અને આતંકીઓ જેવા ખરા દેશદ્રોહીઓ સામે ભાગ્યે લગાડાયો છે.


 (તસવીર પિનાકી મેઘાણી દ્વારા સંચાલિત વેબસાઇટ  www.jhaverchandmeghani.com પરથી લીધી છે.)

જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારને રાજદ્રોહના આરોપસર હિરાસતમાં લઈને કોર્ટ સમક્ષ હાજર કરાયો ત્યારે ન્યાયાધીશે પોલીસને એક આકરો સવાલ પૂછેલો, રાજદ્રોહ એટલે શું તમે જાણો છો? આપણે સૌએ અને ખાસ તો કનૈયા-પ્રકરણ દરમિયાન સોશિયલ મીડિયાની વૉલ ચીરીને દેશપ્રેમ દેખાડનારા લોકોએ પણ કાયદા વિશે જરા જાણવું-વિચારવું રહ્યું. રાજદ્રોહ એક ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. સત્તાધારીઓ પોતાની લાજ બચાવવા કે પછી વિરોધીઓનું મોં દબાવવા માટે કાયદાનો કેવો દુરુપયોગ કરે છે, તે આપણે વિનાયક સેન, અરુંધતી રોય અને કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી વગેરેના કિસ્સાઓમાં જોઈ ચૂક્યા છીએ. ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને તેના સાથીઓને નાથવા માટે પણ રાજદ્રોહનો સહારો લેવાયો છે, એવું માનનારો વર્ગ ઘણો મોટો છે. આવા દુરુપયોગને કારણે માનવ અધિકારવાદીઓ અંગ્રેજોના જમાનાનો રાજદ્રોહનો કાયદો બદલવાની રજૂઆત વારંવાર કરતા આવ્યા છે.








આજે 9મી માર્ચ એટલે કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 69મી પુણ્યતિથિ છે. આપણામાંના બહુ ઓછા લોકો જાણતા હશે મેઘાણી પર પણ ખોટી રીતે રાજદ્રોહનો કેસ ઊભો કરાયેલો અને તેમને બે વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. રાજદ્રોહની ચાલુ ચર્ચામાં ઐતિહાસિક ઘટનાની કેટલીક વાતો ધ્યાને લેવા જેવી છે.
12મી માર્ચ, 1930થી શરૂ થયેલી દાંડીકૂચના અંતે 6ઠ્ઠી એપ્રિલના રોજ ગાંધીજીએ મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કરીને સત્યાગ્રહ શરૂ કર્યો હતો. 6ઠ્ઠી એપ્રિલે અમૃતલાલ શેઠના નેતૃત્વમાં ધોલેરા સત્યાગ્રહનો પ્રારંભ થયેલો. દિવસે મેઘાણીનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો' પ્રસિદ્ધ કરવામાં આવેલો. મેઘાણીનાં શૌર્યગીતોએ સત્યાગ્રહીઓમાં નવું જોમ ભર્યું હતું અને આંદોલનની અસકારકતા વધી ગઈ હતી. બ્રિટિશ સરકારે 'સિંધુડો'ની નકલો જપ્ત કરી લીધી, પણ આંદોલનકારીઓએ હસ્તલિખિત 'કાનૂનભંગ આવૃત્તિ'ની સેંકડો સાઇક્લોસ્ટાઇલ્ડ નકલો લોકો સુધી પહોંચાડી હતી.

‘સિંધુડો'ના સર્જક મેઘાણી બ્રિટિશરોની નજરમાં આવી ગયેલા. 27મી એપ્રિલે બરવાળાના આગેવાનોને ધંધુકા જેલમાં મળવા ગયેલા મેઘાણીને પોલીસે પકડી લીધા. તેમના પર જુઠ્ઠા આરોપો મૂકીને રાજદ્રોહનો કેસ કરાયો. બીજા દિવસે મેજિસ્ટ્રેટ ઇસાણીની વિશેષ કોર્ટમાં તેમને હાજર કરાયા ત્યારે હજારો લોકોથી કોર્ટરૂમ છલકાઈ ગયેલો. પોતાનો બચાવ કરવાનો ઇનકાર કરીને મેઘાણીએ પ્રાર્થના ગાવાની મંજૂરી માગી. મેજિસ્ટ્રેટની અનુમતી પછી મેઘાણીએ 'સિંધુડો'ની એક રચના 'છેલ્લી પ્રાર્થના' ગાઈ, જેના શબ્દો હતા, 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ...' કહેવાય છે કે ગીત સાંભળીને આખો કોર્ટરૂમ હિબકે ચડેલો, એટલું નહિ ખુદ મેજિસ્ટ્રેટની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. મેજિસ્ટ્રેટે ચુકાદો બીજા દિવસ સુધી મુલતવી રાખ્યો. બીજે દિવસે 29મી મેના રોજ મેઘાણીને બે વર્ષની જેલની સજા ફટકારાયેલી. અહીં નોંધવાલાયક સંયોગ છે કે કનૈયાના સમર્થકોની જેમ મેઘાણી માટે પણ લોકોએ 'ઇન્કિલાબ જિંદાબાદ'ના નારાથી કોર્ટ ગજવી મૂકી હતી!

રાજદ્રોહના મામલે રોવાનું છે કે કાયદો સર્જકો, બૌદ્ધિકો અને આંદોલનકારીઓ સામે જેટલો ઉગામાયો છે, એટલો ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ અને આતંકીઓ જેવા ખરા દેશદ્રોહીઓ સામે ભાગ્યે લગાડાયો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં 9મી માર્ચ, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment