Wednesday, September 27, 2017

દાસ કેપિટલ : શ્રમનો સૂર્યોદય

દિવ્યેશ વ્યાસ


કાર્લ માર્ક્સના શકવર્તી પુસ્તક ‘દાસ કેપિટલ’ના પ્રકાશનને 150 વર્ષ થયાં છે. માર્ક્સે દુનિયાને શ્રમનું મૂલ્ય સમજાવ્યું હતું 

(તસવીરો વિકિપીડિયાની સાઇટ પરથી લીધેલી છે.)

‘દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’ આ વાક્ય કોનું? એવો સવાલ આપણને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો મોટાભાગના સાચો જવાબ આપી શકે - કાર્લ માર્ક્સ. માર્ક્સનું બીજું એક વાક્ય પણ આપણા કાને અને આંખે વારંવાર અથડાતું હોય છે, ‘ધર્મ એ સમાજનું અફીણ છે.’ મૂડીવાદી માહોલમાં માર્ક્સ વિશે આનાથી વધારે આપણે ભાગ્યે જ જાણી શકવાના! પણ, કાર્લ માર્ક્સ એવા મહાનુભાવ છે, જેનું નામ દુનિયાના ઇતિહાસમાં કાલજયી છે અને રહેવાનું છે. કાર્લ માર્ક્સને આટલા બધા ‘માર્ક્સ’ તેમના પ્રત્યેના ભક્તિભાવને કારણે નહીં, પરંતુ તેમના વિચારો અને પુસ્તકોએ દુનિયા પર જે પ્રભાવ પાડ્યો, એને ઇતિહાસ અવગણી શકે એમ નથી. માર્ક્સના વિચારો સાથે કેટલા સહમત થવું, કેટલા અસહમત થવું, એ આપણી સમજ અને વિવેક પર આધીન છે, પરંતુ માર્ક્સના એકેય વિચારો સાથે સહમત ન હોવા છતાં તેમના વિચારો દ્વારા અનેક રાષ્ટ્રોમાં પેદા થયેલી ક્રાંતિ અને તેનાં વ્યાપક પરિણામોની વાતો કોઈને પણ પ્રભાવિત કરી શકે છે.

માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે શ્રમિકો-કામદારો-મજૂરોના (આમાં માત્ર મજૂરો જ નહીં, તમામ નોકરિયાતો-પગારદારો પણ આવી જાય!) શોષણ અને અન્યાયની વિરુદ્ધ લડત-સંઘર્ષની વાત કરી છે, એ  શું આજે પણ પ્રસ્તુત નથી? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, આર્થિક અસમાનતા પેદા થાય, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, પરિણામે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ સતત વધતી રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના... અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869)પણ નહોતા!

આજે માર્ક્સ પારાયણ કરવાનું નિમિત્ત બન્યું છે, તેમનું પુસ્તક ‘દાસ કેપિટલ’. ગત 14મી સપ્ટેમ્બરના રોજ આ શકવર્તી પુસ્તકના પ્રકાશનને 150 વર્ષ પૂરાં થયાં. ઈ.સ. 1867માં જોકે, દાસ કેપિટલનો પહેલો ભાગ જ પ્રકાશિત થયો હતો બાકીના બે ભાગ માર્ક્સના નિધન પછી તેમના સાથી-સહયોગી ફેડ્રીક એન્જલ્સે અને ચોથો ભાગ કાર્લ કૌટ્સ્કીએ સંપાદિત-પ્રસિદ્ધ કરેલો.

એક પુસ્તકનો શું પ્રભાવ હોઈ શકે, એની વાત કરવી હોય તો ‘દાસ કેપિટલ’ તેનું એક મોટું ઉદાહરણ બની શકે એમ છે, કારણ કે આ એક પુસ્તકે દુનિયાની કેટલીક સત્તાઓને ઊથલાવી દીધી હતી. વિશ્વમાં ‘બાઇબલ’ પછી સૌથી પ્રભાવશાળી પુસ્તકમાં તેનો બીજો ક્રમ આવે છે. ઘણા તો આને ‘રેડ બાઇબલ’ પણ ગણાવે છે. રશિયા અને ચીન જેવા દેશોમાં આ પુસ્તકના પ્રભાવને કારણે ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી હતી. આ દેશોની ક્રાંતિએ બીજા અનેક નાના-મોટા દેશોમાં ક્રાંતિનો ચેપ લગાવ્યો હતો અને મૂડીવાદ સામે સામ્યવાદનો પડકાર સર્જાયો હતો.

જોકે, માર્ક્સના વિચારો કરતાં પણ સામ્યવાદના નામે સંતોષાયેલી સત્તાવિસ્તારની લાલસાએ સામ્યવાદ અને માર્ક્સને ખૂબ જ બદનામ કર્યા છે. સામ્યવાદી શાસનમાં શ્રમિકો અને ખેડૂતોનું શોષણ અટક્યું ને તેમના ‘અચ્છે દિન’ આવી ગયા, એવું ન બન્યું, માત્ર શોષણખોર બદલાયા અને સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ લટકામાં. આને કારણે જ સામ્યવાદનાં વળતાં પાણી થયાં અને સમગ્ર વિશ્વમાં ફરી મૂડીવાદ મજબૂત બન્યો છે. સોવિયત સંઘના વિઘટન અને છેલ્લે ઇ.સ. 2011માં અરબ ક્રાંતિ પછી કહેવાતું સામ્યવાદી શાસન માંડ ચીન કે ઉ. કોરિયા જેવા રડ્યાખડ્યા દેશોમાં જ બચ્યું છે. તો શું માર્ક્સના વિચારો અને સામ્યવાદ નિષ્ફળ ગયા છે? અપ્રસ્તુત થયા છે? આનો જવાબ સ્પષ્ટ રીતે હા પાડી શકાય એમ નથી. સામ્યવાદે અર્થતંત્રમાં શ્રમ અને શ્રમિકના મૂલ્યને પ્રસ્થાપિત કરી આપ્યું છે અને એને કારણે જ આજે આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવાની સમજ અને શક્તિ જોવા મળે છે. કાર્લ માર્ક્સના પુસ્તક ‘દાસ કેપિટલે’ શ્રમનો સૂર્યોદય કરાવ્યો હતો, એવું કબૂલ કરવું જ પડે. તમે શું માનો છો?

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment