Showing posts with label વંશવાદ. Show all posts
Showing posts with label વંશવાદ. Show all posts

Wednesday, November 29, 2017

જાતિવાદ : આ પણ એક ઉકેલ

દિવ્યેશ વ્યાસ


ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હવે જુદા જુદા વંશના લોકો પ્રત્યે સમભાવ-સદભાવ પેદા કરતો કોર્સ ફરજિયાત કરાયો છે


(મેગડેલન કૉલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

જાતિવાદનો જ્વાળામુખી ચૂંટણીના માહોલમાં અચૂક ફાટતો હોય છે. આપણું રાજકારણ જાતિકેન્દ્રિત થઈ ગયું છે, તે વાસ્તવિકતા છે. રાજકીય પક્ષો દરેક જાતિને પોતાની મતબેન્કની જેમ જોતા હોય છે. ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીની વ્યૂહરચનામાં જાતિનાં સમીકરણો જ કેન્દ્રસ્થાને હોય છે. રાજકીય પક્ષો ‘સારા’ નહિ, ’જીતાડે’ એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળતા હોય છે. મોટા ભાગના લોકો મત આપવા જાય ત્યારે ઉમેદવારની જાતિને અચૂક ધ્યાને લેતા હોય છે, એ રાજકારણીઓ જાણે છે. સત્તાલોલુપ રાજનેતાઓ લોકોની નાડ (આમ તો નબળી કડી) પારખી ગયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની ધમાધમી ચાલી રહી છે ત્યારે સામસામે જાતિવાદ ચલાવવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, છતાં સૌ જાણે છે કે બધા પક્ષો જાતિવાદનું રાજકારણ જ રમતા હોય છે. દરેક પક્ષ અન્ય પક્ષો પણ જાતિવાદ ચલાવવાનો આક્ષેપ અચૂક મૂકે છે, છતાં તેઓ જ્યારે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીનાં સમીકરણો માંડે ત્યારે જાતિવાદનું પડખું જરૂર સેવતા હોય છે.

જાતિવાદનો જ્વાળામુખી કોઈ જાતિનું ભલું કરી નાખે, એવું માનવાને કોઈ કારણ નથી. જાતિનાં સંગઠનોની પ્રવૃત્તિનો તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આ બધી પ્રવૃત્તિ પર માન-મોભા-પ્રતિષ્ઠા માટે વધારે હોય છે, જાતિના મોટા ભા બનેલાઓ એકબીજાની પીઠ થાબડતા રહેતા હોય છે, પરંતુ તેનાથી જાતિના જ છેવાડેના, કચડાયેલા, વંચિત, ગરીબના જીવનમાં કોઈ મોટો ફરક આવતો નથી. જાતિના નામે નાની મોટી સખાવતો થાય છે, અમુક પ્રસંગો સચવાય છે, પરંતુ લાંબેગાળાનો હિસાબ માંડતા આ બધું સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવું જ બની રહેતું હોય છે.

જાતિ જાણે આપણા સામાજિક ડીએનએનો ભાગ બની ગઈ હોય, એટલી જડ છે, કદાચ એટલે જ વિનોબા ભાવે દ્વારા કહેવાયું હતું કે ‘જો જાતી નહિ વહ જાતિ હૈ!’ જોકે, આપણે ભારતને સુપરપાવર બનાવવા માગતા હોઈએ તો સમાજને જાતિના વાડાઓથી મુક્ત કર્યા વિના છૂટકો નથી. સત્તાલોલુપો જાતિવાદી રાજકારણ રમીને લોલીપોપથી વિશેષ કશું આપતા નથી અને તેને કારણે સમાજનો અને દેશનો વિકાસ રૂંધાતો રહે છે. આધુનિક સમયમાં જાતિવાદ ઓગળવાને બદલે વધારે ઘટ્ટ બન્યો છે ત્યારે આપણે એના વિશે વધારે ગંભીરતાથી વિચારવું રહ્યું.
ભારતમાં જેમ જાતિવાદ છે તેમ પશ્ચિમી દેશોમાં રંગભેદ અને વંશવાદ છે. અમેરિકા અને યુરોપે રંગભેદને મીટાવવા માટે વ્યવસ્થાગત-માળખાગત પગલાં (એફર્મેટિવ એક્શન્સ) ભરીને ઘણા અંશે સફળતા મેળવી છે. યુરોપમાં દુનિયાભરના અનેક દેશોના લોકો સ્થાયી થયા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં વંશવાદનો મુદ્દો ગંભીર બન્યો છે. યુરોપમાં પણ મૂળનિવાસી જેવા વંશો અંગેના સવાલો પેદા થયા છે. વંશવાદ વધુ વકરે તો સામાજિક ભેદભાવ આગળ જતાં રમખાણોનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સ્થિતિને નિવારવા માટે ત્યાંના રાજનેતાઓ કેટલું વિચારે છે, એ ખબર નથી પરંતુ શિક્ષણ સંસ્થાઓએ પોતાની જવાબદારી સમજીને આગળ વધવાનું મુનાસિબ માન્યું છે.

તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સૌથી માલદાર ગણાતી મેગડેલન કૉલેજે આવતા વર્ષથી નવા વિદ્યાર્થીઓ માટે વંશ જાગૃતિ અભ્યાસક્રમ ફરજિયાત કરી દીધો છે. આ કોર્સ અંતર્ગત યુરોપના પરંપરાગત લઘુમતી વંશો અંગે જાણકારી આપવામાં આવશે. જોકે, જાણકારી કોરી નહીં હોય, પરંતુ તેમણે એ વંશના લોકોની પરંપરાઓ, ભોજન, વસ્ત્રો વગેરેનો જાતઅનુભવ પણ મેળવવાનો રહેશે. યુરોપમાં ભારતીય લોકો સારી એવી સંખ્યામાં છે, તેને ધ્યાનમાં રાખીને આ કોર્સ અંતર્ગત ભારતીય ભોજનની વાનગી ઇન્ડિયન ફિશ પાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે!

વિદ્યાર્થીઓને જુદા જુદા વંશ અને તેમની પરંપરાથી પરિચિત કરીને વંશવાદને બદલે તમામ વંશ પ્રત્યે સમભાવ-સદ્્ભાવ કેળવવાની આ કોશિશ ખરેખર અનુકરણીય જણાય છે. આપણે જો ખરેખર જાતિવાદથી મુક્ત થવા માગતા હોઈએ તો જાતિઓ વચ્ચે સંવાદ અને વ્યવહાર વધે એવા પ્રયાસોના ભાગ રૂપે નવી પેઢીને જુદા અભિગમથી કેળવવાની દિશામાં વિચારવું રહ્યું. ચૂંટણીની ચર્ચામાંથી ફ્રી પડો ત્યારે જરા વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, March 1, 2017

નફરતનું વિનાશક રાજકારણ

દિવ્યેશ વ્યાસ


અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે

(મૂળ એસોશિયેટ પ્રેસ(AP)ની આ તસવીર ‘ડેઇલી મેલ’ની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

ગયા સપ્તાહમાં અમેરિકામાં એક આઘાતજનક જ નહીં, બલકે શરમજનક ઘટના ઘટી હતી. કેન્સાસના ઓલેથ શહેરના એક બારમાં એડમ પુરિંટન નામના માથાફરેલ માણસે શ્રીનિવાસન કુચીભોતલા અને આલોક મદસાની નામના બે ભારતીયોને ‘મારા દેશમાંથી ચાલ્યા જાવ...’ એવું દાદાગીરીભર્યું વાક્ય ઉચ્ચારીને પછી ગાળો ભાંડી હતી. બારવાળાઓએ એડમને કાઢી મૂક્યો, પરંતુ થોડી વારમાં તે ભરી બંદૂકે બારમાં પાછો ફર્યો અને ભારતીયો પર ધડાધડ ગોળીઓ ચલાવવા માંડ્યો, જેમાં શ્રીનિવાસનનું મોત નીપજ્યું અને આલોક માંડ માંડ બચી ગયો.

અમેરિકન નેવીમાં કામ કરી ચૂકેલા 51 વર્ષના હુમલાખોર એડમ પુરિંટનના દિમાગમાં કેટલું ઝેર હશે, એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઘાતક હુમલો કર્યા પછી તેણે એક બીજા બારમાં જઈને બહુ ગર્વભેર કહ્યું હતું કે ‘હું મધ્ય પૂર્વના બે મુસ્લિમોને ઠાર મારીને આવ્યો છું. મને પોલીસથી બચાવો અને ક્યાંક સંતાવાની વ્યવસ્થા કરી આપો.’ અલબત્ત, પેલા બારના સંચાલકો અને હાજર લોકોએ તેને પોલીસના હવાલે કરી દેવાનું જ મુનાસિબ માન્યું. એડમ પર હત્યા અને હત્યાની કોશિશની કલમો લગાડીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ લેખ લખાતો હતો ત્યાં સુધી તેના પર વંશીય હુમલાની કલમ લગાવવામાં નહોતી આવી.

એડમને હત્યાના કેસમાં સજા તો ચોક્કસ મળશે જ, પરંતુ ચિંતા એડમના દિમાગમાં રહેલા ઝેરની છે, કારણ કે અમેરિકામાં આવાં ઝેરભરેલાં દિમાગો દિવસે દિવસે વધતાં જ ગયાં છે. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તો જાણે આવી નફરતને માન્યતા મળી ગઈ હોય એવો માહોલ સર્જાયો છે. સદ્્ગત શ્રીનિવાસનના પિતરાઈ ભાઈ વેણુ માધવે શ્રીનિવાસન પરના હુમલાને હેટ ક્રાઇમ એટેક ગણાવ્યો હતો અને શબ્દ ચોર્યા વિના જણાવ્યું હતું કે હું અમેરિકામાં કામ કરું છું એટલે જાણું છું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી વંશીય હુમલાઓ વધી ગયા છે. પહેલાં આવું નહોતું થતું.

શ્રીનિવાસનનાં પત્ની સુનયના દુમાલાએ એક પત્રકાર પરિષદમાં સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, ‘મારે આ સરકાર પાસેથી એક જ જવાબ જોઈએ છે કે તે નફરતના આધારે થયેલી આ હિંસા રોકવા માટે શું કરી રહી છે?’ સરકારનું કામ નફરત કે નકારાત્મકતા વિરુદ્ધ દેશના નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના રક્ષણ આપવાનું હોય છે, પરંતુ સત્તાસ્થાને જ્યારે ભેદભાવયુક્ત માનસિકતા ધરાવનારનો કબજો હોય ત્યારે મામલો ‘ભેંસ આગળ ભાગવત’નો બની રહેતો હોય છે.

અમેરિકી મીડિયા અને સોશિયલ મીડિયા ખુલ્લેઆમ લખી રહ્યાં છે કે ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની વિરુદ્ધમાં આપેલાં તેજાબી ભાષણોની અસરને કારણે જ આવી ઘટના સર્જાઈ છે. જોકે, ટ્રમ્પનું શાસનતંત્ર આ દલીલને હાસ્યાસ્પદ ગણાવીને અવગણી રહ્યું છે. ટ્રમ્પનાં ચૂંટણી ભાષણોથી લઈને તેમના શાસનના પ્રારંભિક દિવસોની કાર્યવાહીમાં, બહારથી આવીને અમેરિકામાં વસેલા લોકો માટે દ્વેષભાવ ચોખ્ખો વર્તાય છે. ઇમિગ્રન્ટ્સ જાણે અમેરિકાની તમામ સમસ્યાઓ માટે જવાબદાર હોય એવી હવા ફેલાવવામાં આવી રહી છે. અમેરિકાના મૂળ નિવાસી એવા રેડ ઇન્ડિયન્સનો કોઈ અત્તોપત્તો નથી, પણ યુરોપના દેશોમાંથી અહીં વસેલા ગોરા લોકોએ અમેરિકાને જાણે ‘બાપિકી જાગીર’ માની લીધી છે અને એશિયા-આફ્રિકાના દેશોમાંથી આવેલા લોકો પ્રત્યે તુચ્છભાવ ધરાવે છે. એમાંય 9/11 પછી દરેક મુસ્લિમમાં તેઓ ટેટરિસ્ટનાં જ દર્શન કરી રહ્યા છે, એ અત્યંત ગંભીર બાબત છે. બહુમતીવાદી-શ્વેતવાદી માહોલ અમેરિકા જેવા મહાન લોકશાહી દેશને બિલકુલ શોભતો નથી, પણ નફરતના રાજકારણ પર મદાર રાખતા વર્તમાન શાસકોને એની કોઈ પરવા નથી.

નફરતનું રાજકારણ હિંસક હુમલાઓ અને અશાંત માહોલ સર્જવા સિવાય ખાસ કશું ઉકાળી શકતું નથી. નફરતનું રાજકારણ જુસ્સો-ઝનૂન જરૂર જગાવી શકે, પણ તેનાં પરિણામ નકારાત્મક જ નીવડતાં હોય છે. નફરતનું રાજકારણ કરનારા કદી પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકે નહીં. નફરતનું રાજકારણ ક્યારેય કોઈ દેશને મહાન બનાવી શકે નહીં. નફરતના રાજકારણને કારણે બદબાદ થતા દેશનું ઉદાહરણ આપણે પાકિસ્તાન સ્વરૂપે જોયું જ છે. અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે. દેશનો વિકાસ ઇચ્છતા રાજનેતાઓએ લોકો વચ્ચે એકતા-સંપ અને ભાઈચારો વિકસે એ માટે મથવું જોઈએ, જો તેઓ નફરત ફેલાવવાની ચાનક ન છોડે તો દેશનું નામ તો ન થાય, બલકે નાક જરૂર કપાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 1 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ની મૂળ પ્રત)

Wednesday, October 26, 2016

ગેરસમજ હટાવીશું કે ગાંધીને?

દિવ્યેશ વ્યાસ


ઘાના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના દબાણથી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવાઈ. સબ કો સન્મતિ દે ભગવાન!

ગાંધીજીની આ પ્રતિમા હટાવવામાં આવી

વિખ્યાતિ અને વિવાદ ક્યારેક તો બે સિક્કાની બે બાજુ હોય એટલાં એકબીજા સાથે જોડાયેલાં લાગે. બહુ ઓછા વિખ્યાત લોકો ઇતિહાસે જોયા છે, જેમની સાથે કોઈ ને કોઈ વિવાદ ન જોડાયેલો હોય. વીસમી સદીના મહામાનવ ગણાયેલા મહાત્મા ગાંધી પણ વિવાદથી પર રહી શક્યા નહોતા. ગાંધીજી તેમના જીવનકાળ દરમિયાન તો ઠીક આજે તેમના મૃત્યુને સાત દાયકા કરતાં વધારે સમય વીતી ગયો છે, છતાં તેમના નામે કોઈ ને કોઈ વિવાદ ચાલુ જ રહેતો હોય છે. ગાંધીજી અંગેની વાંધાજનક ટિપ્પણીઓથી પેદા થયેલા વિવાદોની પરવા ન કરીએ તોપણ ગાંધીજીનાં કાર્યો, વિચારો અને અભિગમ અંગે ચાલતી ચર્ચા અને તેમાંથી સર્જાતો વિવાદ અવગણી ન શકાય. ગાંધીજી પણ ટીકાથી પર ન હોઈ શકે, ગાંધીજીના આચાર-વિચાર અંગે ચર્ચા થવી જ જોઈએ, તેમના વિચારોને પ્રસ્તુતતાની કસોટીએ કસવા સામે પણ કોઈ વાંધો-વિરોધ ન હોઈ શકે. અલબત્ત, ચર્ચાનો ઉદ્દેશ ગાંધીજીની છબીને ખરડવાનો નહીં, પણ તેમની ખામી કે ખૂબીમાંથી કંઈક શીખવાનો હોય તો એ કવાયત ચોક્કસપણે સાર્થક નીવડી શકે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં ઘાનામાં મહાત્મા ગાંધીને લઈને એક નવો વિવાદ પેદા થયો હતો. જૂન-2016માં આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઘાનાની મુલાકાત લીધી હતી. પ્રણવદાની મુલાકાત દરમિયાન ઘાના યુનિવર્સિટીના સંકુલમાં ગાંધીજીની માનવકદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંધીજીની પ્રતિમાનું સ્થાપન ત્યાંના કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને પસંદ આવ્યું નહોતું. પ્રતિમાનો વિરોધ શરૂ થયો અને ધીમે ધીમે જોર પકડતો ગયો. સપ્ટેમ્બર મહિનાથી ગાંધીજીની પ્રતિમાને હટાવવા માટે વ્યવસ્થિત ઝુંબેશ શરૂ થઈ ગઈ. આ લોકોના મતે ગાંધીજી વંશવાદી હતા. તેમના તરફથી ગાંધીજી માટે એવો આક્ષેપ પણ કરાયો કે તેઓ ભારતીયોની સરખામણીમાં આફ્રિકાના અશ્વેત લોકોને ઊતરતાં ગણતા હતા. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા એક ઓનલાઇન પિટિશન પણ ચલાવવામાં આવી હતી, જેમાં ગાંધીજીના 1894ના ‘નાતાલ મર્ક્યુરી’ નામના અખબારમાં પ્રસિદ્ધ ખુલ્લા પત્રનો હવાલો આપીને કહેવાયું છે કે ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ જેવો હીણો શબ્દપ્રયોગ કર્યો હતો. આ પિટિશનમાં ગાંધીજીની ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થાના સમર્થન તરીકે પણ ટીકા કરવામાં આવી છે. આ પિટિશનને એક હજારથી વધારે લોકોએ સમર્થન આપ્યું છે.
સ્થાનિક વિરોધ અને ઊહાપોહને જોઈને ત્યાંની સરકારે ઘાના યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમાને હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ચોક્કસપણ અફસોસજનક છે, પણ વિરોધીઓ પ્રતિમાને કોઈ નુકસાન પહોંચાડે કે તેનું અપમાન થાય, એ પહેલાં વિવાદને શાંત પાડવા માટે સરકારે આવો નિર્ણય કર્યો હશે, એવું સમજી શકાય.

ગાંધીજીની વિશ્વમાં એટલી પ્રતિમાઓ છે કે ક્યાંકથી પ્રતિમા હટાવી લેવાય, એનાથી તેમની પ્રતિષ્ઠાને કોઈ મોટો ફરક પડી જવાનો નથી. એટલે અફસોસ પ્રતિમા હટાવવા કરતાં પણ ગાંધીજી અંગે જે ગેરસમજ ઊભી થઈ, તે માટે કરવો જોઈએ. ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ શબ્દ લખેલો, એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી, પરંતુ આ શબ્દપ્રયોગ જે જમાનામાં થયો હતો, ત્યારે એને આજના જેટલો અપમાનજનક કે વાંધાજનક માનવામાં આવતો નહોતો. (કદાચ એટલે તો ત્યાંના અખબારે પણ છાપ્યો હતો.) આફ્રિકાનો ઇતિહાસ જોઈએ તો અરબના જે મુસ્લિમ વેપારીઓ આફ્રિકામાં વ્યવસાય અર્થે આવતાં તેઓ આફ્રિકાના મૂળ નિવાસી જૂલુ લોકો માટે કાફિર શબ્દ વાપરતા હતા. ત્યાર પછી આ પ્રદેશોમાં સ્થાયી થયેલા યુરોપિયન લોકોએ પણ અજાણ્યે જ આ શબ્દ બોલવા લાગેલા. જેમ કોલંબસે અમેરિકાના મૂળ નિવાસીઓને ઇન્ડિયન માનેલા અને તેઓ રેડ ઇન્ડિયન તરીકે આજે પણ જાણીતા છે, એવું જ આફ્રિકન લોકો માટે કાફિર શબ્દનું થયેલું. ગાંધીજી આફ્રિકા ગયા એ પછી આશરે 85 વર્ષ પછી એટલે કે છેક 1976માં કાફર શબ્દને આફ્રિકામાં કાનૂની દૃષ્ટિએ વાંધાજનક અને દંડનીય ઠેરવવામાં આવ્યો હતો. આમ, ગાંધીજીના એક સદીજૂના શબ્દપ્રયોગને આધાર બનાવીને તેમનો વિરોધ કરવો બિલકુલ વાજબી નથી. પિટિશનમાં પ્રતિમા કોઈ આફ્રિકનની હોવી જોઈએ, એવી માગણીમાં સ્થાનિક અસ્મિતાના રાજકારણની ગંધ આવે છે. ખેર, જેની જેવી સમજ! સબ કો સન્મતિ દે ભગવાન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)