Showing posts with label King. Show all posts
Showing posts with label King. Show all posts

Wednesday, December 20, 2017

ચાણક્યની નજરે શાસક

દિવ્યેશ વ્યાસ


ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. જોકે, ખરા ચાણક્યના રાજા અને રાજનીતિ અંગેના વિચારો જાણવા જેવા છે

(ચાણક્ય પર દ. ભારતની કોઈ ભાષામાં લખાયેલા પુસ્તકના મુખપૃષ્ઠ પરથી આ ચિત્ર લીધું છે.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. નવા મુખ્યમંત્રી અને તેમનું તાજું મંત્રીમંડળ હવે ટૂંક સમયમાં સત્તાનું સુકાન સંભાળી લેશે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે યાદગાર બની રહેશે, કારણ કે આશરે બે-અઢી દાયકા પછી ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી. દરેક ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. ચૂંટણીના ચક્રવ્યૂહને ભેદીને પોતાના પક્ષને સત્તા સુધી પહોંચાડવા માટે જાતભાતના ખેલ પાડનારાઓને ચાણક્યનું બિરુદ આપી દેવાનો વાહિયાત ટ્રેન્ડ આપણે ત્યાં શરૂ થયો છે. ચાણક્યની ઓળખ, જીવનકાર્ય અને તેમના વિચારો-નીતિની સહેજેય સમજ ન હોય એવા લોકો જ ચૂંટણીલક્ષી રાજકારણ કરનારાઓને તેમની સાથે સરખાવવાની નાદાની કરતા હોય છે. ખેર, ચાણક્ય મહાન હતા અને તેમણે જે ગ્રંથો-સાહિત્ય રચ્યું હતું, તેમણે જે નીતિ આપી, તેમાંની ઘણીબધી આજેય પ્રેરણાદાયી અને મનનીય છે. ચાણક્યના કેટલાક વિચારો અને વચનોને કદાચ આજે અપ્રસ્તુત ઠેરવી શકાય, છતાં તેમણે જે મૂલ્યો અને માપદંડો આપ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે.

ગુજરાતને નવા શાસકો મળ્યા છે ત્યારે ચાણક્ય દ્વારા એ જમાનાના રાજા અને આજના જમાનાના શાસકો અંગે જે વિચારો આપ્યા છે, તેના જાણવા રસપ્રદ રહેશે. ‘ચાણક્ય નીતિ’ના સોળમા અધ્યાયમાં એક જોરદાર વાત લખવામાં આવી છે, જે કોઈ પણ ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિએ દિલોદિમાગમાં અંકિત કરી રાખવા જેવી છે: ‘વ્યક્તિ પોતાના ગુણોથી ઉપર ઊઠે છે, ઊંચા પદ પર બેસીને ઊંચો (મોટો-મહાન) થઈ જતો નથી. શું કાગડો ઊંચી ઇમારત પર બેસેલો હશે તો તમે તેને ગરુડ કહેશો?’

શાસક માટે બીજી પણ એક અનુકરણીય સલાહ ચાણક્યે આપી છે કે ‘મૂરખાઓ તરફથી પ્રશંસા સાંભળવા કરતાં બુદ્ધિશાળીની ટીકા સાંભળવી વધારે ફાયદાકારક છે.’ મોટા ભાગના શાસકોને પોતાની ટીકા સાંભળવી ગમતી નથી અને આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધિકોને ગાળ આપવાનું સામાન્ય બન્યું છે ત્યારે ચાણક્યની આ વાત ઘણી પ્રસ્તુત છે. શાસક સારો હોય તો તે પ્રજાને લીલાલહેર થાય છે અને ખરાબ હોય તો કાળોકેર પણ વર્તાવતો હોય છે. ચાણક્ય આ મામલે ચોખ્ખી વાત કરે છે, ‘ખરાબ રાજાના રાજમાં ન તો જનતા સુખી થાય છે અને ન તેનાથી લોકોને ક્યારેય ફાયદો થાય છે. ખરાબ રાજા કરતાં તો સારું છે કે રાજા જ ન હોય.’

આપણે ત્યાં સંસ્કૃત સુક્તિ છે કે યથા રાજા તથા પ્રજા. આવી જ વાત ‘ચાણક્ય નીતિ’ના તેરમા અધ્યાયમાં કરવામાં આવી છે, ‘રાજા જો પુણ્યાત્મા હોય તો પ્રજા પણ એવી જ બને છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપી બને છે. રાજા સામાન્ય હોય તો પ્રજા પણ સામાન્ય બને છે. પ્રજા સમક્ષ રાજાનું ઉદાહરણ હોય છે અને તે એનું અનુસરણ કરતી હોય છે.’ આ દૃષ્ટિએ શાસકની નૈતિક જવાબદારીઓ ઓર વધી જતી હોય છે.

દરેક નવી સરકારે જૂની સરકારની નિષ્ફળતાઓમાંથી શીખવું જ જોઈએ. ચાણક્ય કહી ગયા છે કે ‘બીજા લોકોની ભૂલોમાંથી શીખો. પોતાની રીતે જ અખતરા કરીને શીખવામાં તમારી ઉંમર નાની પડી જશે.’ આપણે ત્યાં તો સરકાર પાસે પાંચ વર્ષનો જ સમય હોય છે, એટલે નવી સરકારે અગાઉની સરકારોના અનુભવમાંથી બોધપાઠ લઈને લોકકલ્યાણનાં કાર્યોને વહેલી તકે આદરી દેવા જોઈએ.

આપણી કમનસીબી છે કે રાજનીતિમાં ધર્મનું આચરણ કરવામાં આવે કે ન આવે, પરંતુ ધર્મના નામે રાજકારણ જરૂર રમવામાં આવે છે. આ ચૂંટણીમાં મંદિર-મુલાકાતો ચર્ચાનો વિષય બની, પરંતુ શાસકની દાનત ખરેખર રામરાજ્ય લાવવાની હોય તો તેણે રામ જેવા ગુણો આત્મસાત્ કરવા પડે. ‘ચાણક્ય નીતિ’ના બારમા અધ્યાયમાં રામના ગુણોની યાદ અપાઈ છે: ‘ભગવાન રામમાં આ તમામ ગુણ છે: 1. સદ્્ગુણોમાં પ્રીતિ, 2. મીઠાં વચન, 3. દાન દેવાની તીવ્ર ઇચ્છાશક્તિ, 4. મિત્રો સાથે કપટરહિત વ્યવહાર, 5. ગુરુની હાજરીમાં વિનમ્રતા, 6. મનની ઊંડી શાંતિ, 7. શુદ્ધ આચરણ, 8. ગુણોની પરખ, 9. શાસ્ત્રનું જ્ઞાન અને અનુભૂતિ, 10. રૂપની સુંદરતા, 11. ભગવત ભક્તિ.’ આપણા કયા શાસકમાં આ સદ્્ગુણો જોવા મળે છે, એ જોતાં રહેવું જરૂરી છે.

આપણે ત્યાં આજકાલ ખોટા આંકડા અને વિગતો દર્શાવીને ભ્રમ ફેલાવવાની પ્રવૃત્તિ વધી છે. રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા ટકાવવા અને પોતાની સિદ્ધિઓ બતાવવા માટે ખોટી માહિતીની ફેંકમફેંક કરતાં જરાય અચકાતા નથી. મોટા મોટા નેતાઓમાં સત્ય પ્રત્યે આદર કે તેની પરવા જોવા મળતી નથી ત્યારે આ નેતાઓએ ચાણક્યનું એક વચન ગાંઠે બાંધી રાખવા જેવું છે, ‘સત્યની તાકાત જ આ દુનિયાને ધારણ કરે છે. સત્યની તાકાતથી જ સૂર્ય પ્રકાશમાન છે. હવાઓ ચાલે છે, ખરેખર સઘળું સત્ય પર આશ્રિત છે.’ સત્યની શક્તિ અંગે ચાણક્ય દ્વારા જે વાત કરવામાં આવી છે, તે  ગાંધીજીના ‘સત્ય એ જ ઈશ્વર’ વચન સાથે પણ મેચ થાય છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, એ જોતાં ચાણક્યનું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે આવનાર કાલમાં એટલી તાકાત હોય છે કે તે એક મામૂલી કોલસાના ટુકડાને પણ હીરામાં પરિવર્તિત કરી શકે છે.’

‘ચાણક્ય નીતિ’માં એવા સાત લોકોની યાદી આપવામાં આવે છે, જે સૂઈ ગયા હોય તો તેમને જગાડવા ન જોઈએ. આમાંના એક છે - રાજા. પરંતુ લોકશાહીમાં તમારો રાજા એટલે કે શાસક (મુખ્યમંત્રી) જો સૂઈ ગયો હોય એવું લાગે તો જરૂર જગાડવો રહ્યો!

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)