Showing posts with label Government. Show all posts
Showing posts with label Government. Show all posts

Wednesday, December 20, 2017

ચાણક્યની નજરે શાસક

દિવ્યેશ વ્યાસ


ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. જોકે, ખરા ચાણક્યના રાજા અને રાજનીતિ અંગેના વિચારો જાણવા જેવા છે

(ચાણક્ય પર દ. ભારતની કોઈ ભાષામાં લખાયેલા પુસ્તકના મુખપૃષ્ઠ પરથી આ ચિત્ર લીધું છે.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. નવા મુખ્યમંત્રી અને તેમનું તાજું મંત્રીમંડળ હવે ટૂંક સમયમાં સત્તાનું સુકાન સંભાળી લેશે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે યાદગાર બની રહેશે, કારણ કે આશરે બે-અઢી દાયકા પછી ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી. દરેક ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. ચૂંટણીના ચક્રવ્યૂહને ભેદીને પોતાના પક્ષને સત્તા સુધી પહોંચાડવા માટે જાતભાતના ખેલ પાડનારાઓને ચાણક્યનું બિરુદ આપી દેવાનો વાહિયાત ટ્રેન્ડ આપણે ત્યાં શરૂ થયો છે. ચાણક્યની ઓળખ, જીવનકાર્ય અને તેમના વિચારો-નીતિની સહેજેય સમજ ન હોય એવા લોકો જ ચૂંટણીલક્ષી રાજકારણ કરનારાઓને તેમની સાથે સરખાવવાની નાદાની કરતા હોય છે. ખેર, ચાણક્ય મહાન હતા અને તેમણે જે ગ્રંથો-સાહિત્ય રચ્યું હતું, તેમણે જે નીતિ આપી, તેમાંની ઘણીબધી આજેય પ્રેરણાદાયી અને મનનીય છે. ચાણક્યના કેટલાક વિચારો અને વચનોને કદાચ આજે અપ્રસ્તુત ઠેરવી શકાય, છતાં તેમણે જે મૂલ્યો અને માપદંડો આપ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે.

ગુજરાતને નવા શાસકો મળ્યા છે ત્યારે ચાણક્ય દ્વારા એ જમાનાના રાજા અને આજના જમાનાના શાસકો અંગે જે વિચારો આપ્યા છે, તેના જાણવા રસપ્રદ રહેશે. ‘ચાણક્ય નીતિ’ના સોળમા અધ્યાયમાં એક જોરદાર વાત લખવામાં આવી છે, જે કોઈ પણ ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિએ દિલોદિમાગમાં અંકિત કરી રાખવા જેવી છે: ‘વ્યક્તિ પોતાના ગુણોથી ઉપર ઊઠે છે, ઊંચા પદ પર બેસીને ઊંચો (મોટો-મહાન) થઈ જતો નથી. શું કાગડો ઊંચી ઇમારત પર બેસેલો હશે તો તમે તેને ગરુડ કહેશો?’

શાસક માટે બીજી પણ એક અનુકરણીય સલાહ ચાણક્યે આપી છે કે ‘મૂરખાઓ તરફથી પ્રશંસા સાંભળવા કરતાં બુદ્ધિશાળીની ટીકા સાંભળવી વધારે ફાયદાકારક છે.’ મોટા ભાગના શાસકોને પોતાની ટીકા સાંભળવી ગમતી નથી અને આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધિકોને ગાળ આપવાનું સામાન્ય બન્યું છે ત્યારે ચાણક્યની આ વાત ઘણી પ્રસ્તુત છે. શાસક સારો હોય તો તે પ્રજાને લીલાલહેર થાય છે અને ખરાબ હોય તો કાળોકેર પણ વર્તાવતો હોય છે. ચાણક્ય આ મામલે ચોખ્ખી વાત કરે છે, ‘ખરાબ રાજાના રાજમાં ન તો જનતા સુખી થાય છે અને ન તેનાથી લોકોને ક્યારેય ફાયદો થાય છે. ખરાબ રાજા કરતાં તો સારું છે કે રાજા જ ન હોય.’

આપણે ત્યાં સંસ્કૃત સુક્તિ છે કે યથા રાજા તથા પ્રજા. આવી જ વાત ‘ચાણક્ય નીતિ’ના તેરમા અધ્યાયમાં કરવામાં આવી છે, ‘રાજા જો પુણ્યાત્મા હોય તો પ્રજા પણ એવી જ બને છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપી બને છે. રાજા સામાન્ય હોય તો પ્રજા પણ સામાન્ય બને છે. પ્રજા સમક્ષ રાજાનું ઉદાહરણ હોય છે અને તે એનું અનુસરણ કરતી હોય છે.’ આ દૃષ્ટિએ શાસકની નૈતિક જવાબદારીઓ ઓર વધી જતી હોય છે.

દરેક નવી સરકારે જૂની સરકારની નિષ્ફળતાઓમાંથી શીખવું જ જોઈએ. ચાણક્ય કહી ગયા છે કે ‘બીજા લોકોની ભૂલોમાંથી શીખો. પોતાની રીતે જ અખતરા કરીને શીખવામાં તમારી ઉંમર નાની પડી જશે.’ આપણે ત્યાં તો સરકાર પાસે પાંચ વર્ષનો જ સમય હોય છે, એટલે નવી સરકારે અગાઉની સરકારોના અનુભવમાંથી બોધપાઠ લઈને લોકકલ્યાણનાં કાર્યોને વહેલી તકે આદરી દેવા જોઈએ.

આપણી કમનસીબી છે કે રાજનીતિમાં ધર્મનું આચરણ કરવામાં આવે કે ન આવે, પરંતુ ધર્મના નામે રાજકારણ જરૂર રમવામાં આવે છે. આ ચૂંટણીમાં મંદિર-મુલાકાતો ચર્ચાનો વિષય બની, પરંતુ શાસકની દાનત ખરેખર રામરાજ્ય લાવવાની હોય તો તેણે રામ જેવા ગુણો આત્મસાત્ કરવા પડે. ‘ચાણક્ય નીતિ’ના બારમા અધ્યાયમાં રામના ગુણોની યાદ અપાઈ છે: ‘ભગવાન રામમાં આ તમામ ગુણ છે: 1. સદ્્ગુણોમાં પ્રીતિ, 2. મીઠાં વચન, 3. દાન દેવાની તીવ્ર ઇચ્છાશક્તિ, 4. મિત્રો સાથે કપટરહિત વ્યવહાર, 5. ગુરુની હાજરીમાં વિનમ્રતા, 6. મનની ઊંડી શાંતિ, 7. શુદ્ધ આચરણ, 8. ગુણોની પરખ, 9. શાસ્ત્રનું જ્ઞાન અને અનુભૂતિ, 10. રૂપની સુંદરતા, 11. ભગવત ભક્તિ.’ આપણા કયા શાસકમાં આ સદ્્ગુણો જોવા મળે છે, એ જોતાં રહેવું જરૂરી છે.

આપણે ત્યાં આજકાલ ખોટા આંકડા અને વિગતો દર્શાવીને ભ્રમ ફેલાવવાની પ્રવૃત્તિ વધી છે. રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા ટકાવવા અને પોતાની સિદ્ધિઓ બતાવવા માટે ખોટી માહિતીની ફેંકમફેંક કરતાં જરાય અચકાતા નથી. મોટા મોટા નેતાઓમાં સત્ય પ્રત્યે આદર કે તેની પરવા જોવા મળતી નથી ત્યારે આ નેતાઓએ ચાણક્યનું એક વચન ગાંઠે બાંધી રાખવા જેવું છે, ‘સત્યની તાકાત જ આ દુનિયાને ધારણ કરે છે. સત્યની તાકાતથી જ સૂર્ય પ્રકાશમાન છે. હવાઓ ચાલે છે, ખરેખર સઘળું સત્ય પર આશ્રિત છે.’ સત્યની શક્તિ અંગે ચાણક્ય દ્વારા જે વાત કરવામાં આવી છે, તે  ગાંધીજીના ‘સત્ય એ જ ઈશ્વર’ વચન સાથે પણ મેચ થાય છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, એ જોતાં ચાણક્યનું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે આવનાર કાલમાં એટલી તાકાત હોય છે કે તે એક મામૂલી કોલસાના ટુકડાને પણ હીરામાં પરિવર્તિત કરી શકે છે.’

‘ચાણક્ય નીતિ’માં એવા સાત લોકોની યાદી આપવામાં આવે છે, જે સૂઈ ગયા હોય તો તેમને જગાડવા ન જોઈએ. આમાંના એક છે - રાજા. પરંતુ લોકશાહીમાં તમારો રાજા એટલે કે શાસક (મુખ્યમંત્રી) જો સૂઈ ગયો હોય એવું લાગે તો જરૂર જગાડવો રહ્યો!

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 9, 2017

થોરો : 200 વર્ષની બૌદ્ધિકતા

દિવ્યેશ વ્યાસ


સરકારની અન્યાયી નીતિના વિરોધમાં ટેક્સ નહીં ભરીને જેલમાં જનારા હેન્રી ડેવિડ થોરોની પ્રસ્તુતતા વધતી જ જાય છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મૂકી છે.)

વિખ્યાત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સનને જેવી ખબર પડી કે પોતાના દિલોજાન દોસ્તને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ દોડીને તેમને મળવા દોડી ગયા. જેલમાં સલાખોં કે પીછે પોતાના મિત્રને જોઈને ઇમર્સનથી સહજ પુછાઈ ગયું, ‘તું જેલમાં કેમ છો?’ ત્યારે દોસ્તે જવાબમાં સામો સવાલ કરેલો, ‘તું હજુ બહાર કેમ છો?’ આ જવાબ આપનાર દોસ્ત હતા અમેરિકાના વિશ્વવિખ્યાત બૌદ્ધિક, વિચારક અને લેખક હેન્રી ડેવિડ થોરો. થોરોના એ સણસણતા સવાલમાં જ એક માતબર જવાબ (અને મૌલિક વિચાર પણ) હતો: ‘જે રાજ્યમાં અન્યાય સામે લડનારાઓ જેલમાં પુરાય છે ત્યારે સમજવું કે ન્યાયપ્રિય લોકોનું સ્થાન જેલમાં છે.’ અમેરિકાની તત્કાલીન સરકારની કેટલીક અન્યાયી નીતિઓ અંગે પોતાનો વિરોધ નોંધાવવા માટે થોરોએ ટેક્સ ન ભરીને પ્રતિકાર કર્યો હતો. થોરો અમેરિકામાં ચાલતી ગુલામી પ્રથા અને તેને સમર્થન આપતા કાયદાઓના પ્રખર વિરોધી હતા. એ ઉપરાંત અમેરિકા દ્વારા મેક્સિકો સામે ચાલી રહેલા યુદ્ધના પણ ટીકાકાર હતા. ઈ.સ. 1846ની 24 કે 25મી જુલાઈના રોજ સેમ સ્ટેપલ્સ નામના કરવેરા અધિકારી થોરોના ઘરે ટેક્સ લેવા આવ્યા હતા. થોરોએ ટેક્સ ભરવાની ચોખ્ખી ના પાડી દીધી અને પોતે શા માટે સરકારી વેરો ભરવા માગતા નથી, એ જણાવ્યું. ટેક્સ ભરવાનો ઇનકાર કરવા બદલ તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. થોરોએ વિનમ્રતાપૂર્વક જેલની સજા સ્વીકારી પણ કરવેરો નહોતો ચૂકવ્યો. જોકે, પછી તેમના પરિવારની કોઈ મહિલાએ તેમની ઇચ્છા અને કદાચ જાણબહાર કરવેરો ભરી દેતાં તેમને એક જ દિવસમાં જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી. સરકારની અનીતિ અને અન્યાયી નીતિઓ સામે છડેચોક પ્રતિકાર કરવાનું થોરોએ જ શીખવ્યું હતું. થોરોનો એક દિવસનો જેલવાસ અમેરિકન ઇતિહાસનું યશસ્વી પ્રકરણ બની રહ્યું છે અને તાજેતરનાં વર્ષોમાં ચાલેલી ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ જેવી અનેક ચળવળોને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે.

હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે અમેરિકાની પોસ્ટલ સર્વિસ દ્વારા વોલ્ડન સરોવરના કાંઠે વિશેષ કાર્યક્રમ યોજીને તેમની પોસ્ટલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સરકારી કાર્યક્રમ ઉપરાંત નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. કદાચ 50 વર્ષના લાંબા ગાળા પછી થોરો પરની માતબર જીવનકથા પ્રગટ થઈ છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકનો ઝોક પર્યાવરણ પર વધારે જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે બે વર્ષ, બે મહિના અને બે દિવસ સુધી વોલ્ડન સરોવરની પાળે સાદું ઝૂંપડું બાંધીને રહેનારા થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરાના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યા‌વરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

થોરો પરનું બીજું પુસ્તક જર્મનીમાં લખાયું છે, જેના શીર્ષકનો અંગ્રેજી અનુવાદ ‘હેન્રી ડેવિડ થોરો : પાથ્સ ઑફ એન અમેરિકન ઓથર’ થઈ શકે. જર્મન લેખક ડાઇટર શુલ્ઝે એક ઇન્ટરવ્યૂમાં બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે કે થોરોના વિચારો આજે જેટલા પ્રસ્તુત છે, એટલા અગાઉ ક્યારેય પણ નહોતા.

થોરો એવા મહાન વિચારક હતા, જેમના વિચારોને ટૉલ્સ્ટૉય, ગાંધીજી, ઇમર્સન, યીસ્ટ, અર્નેસ્ટ હેમિંગ્વે, માર્ટિન લ્યૂથર કિંગ જૂ. અને જ્હોન એફ. કેનેડી જેવા મહાનુભાવોને પણ પ્રભાવિત કર્યા હતા. ગાંધીજીએ તો લેખિતમાં સ્વીકારેલું છે કે સવિનય કાનૂન ભંગ કે અસહકાર આંદોલનની પ્રેરણા થોરાના ‘નાગરિક પ્રતિકાર’ (Civil disobedience)માંથી સાંપડી હતી.

અમેરિકા અને ભારત સહિત તમામ દેશોમાં બહુમતીવાદ મજબૂત થતો જાય છે ત્યારે થોરોના વિચારો મનનીય બન્યા છે. થોરો માનતા હતા કે ‘સત્ય બહુમતી પાસે જ હોય એમ નહીં, પણ લઘુમતી કે એક વ્યક્તિની વિવેકબુદ્ધિમાંયે એ હોઈ શકે છે.’ લોકો શાંતિથી અન્યાયને જોતા રહે અને ન્યાય માટે આવતી ચૂંટણી સુધી રાહ જોતા રહે, એની સામે થોરોને વાંધો હતો. થોરો માનતા કે સરકારને આપણે સમાજવ્યવસ્થા બરાબર ચાલે એ માટે બનાવેલી છે. તે એક પ્રકારની મશીનરી છે. કોઈ મશીન બરાબર કામ ન કરે ત્યારે આપણે તેને બંધ કરીએ છીએ તેમ સરકાર જ્યારે યોગ્ય રીતે કામ ન કરે, અન્યાયી બને ત્યારે તેને કામ કરતી બંધ કરવા વિરોધ કરવો જોઈએ.

સૃષ્ટિ અને સરકાર/શાસન અંગેના થોરોના વિચારોનું (પુસ્તકોનું) વાંચન તથા મનન-ચિંતન કરીને જ તેમનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવવું જોઈએ, ખરું ને?

(‘દિવ્ય ભાસ્કર’ની 9મી ઑગસ્ટ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, January 4, 2017

પેટ ઠારવાનું ‘પુણ્ય’

દિવ્યેશ વ્યાસ


કેટલાંક રાજ્યોમાં ગરીબ વર્ગ માટે સસ્તા ભાવે ભોજન પૂરું પાડવાની સરકારી યોજનાઓને કેવી રીતે જોઈશું?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

કોઈ પણ સવાલનો ઉત્તમ જવાબ આપવા માટે જાણીતી બનેલી ક્વોરા.કોમ નામની વેબસાઇટે થોડા સમય પહેલાં પોતાના વાચકોને પ્રશ્ન પૂછેલો, તમારી જિંદગીમાં આંખ ઉઘાડનારો સૌથી મોટો બનાવ કે અનુભવ કયો છે? અનેક વાચકોના અનુભવોમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયસ્પર્શી હતા. મુંબઈના અબ્દુલ કાદિર સૈફીએ પોતાનો કિસ્સો વર્ણવ્યો હતો : ‘એક દિવસ મિત્રો સાથે અમે ભોજન લીધું. વધેલું ભોજન ફેંકી દેવાને બદલે ભૂખ્યા લોકોને આપી દેવાનું વિચાર્યું. ત્યારે રાતના લગભગ બે વાગ્યા હતા એટલે અમને થયું કે અત્યારે કોણ ભૂખ્યું હશે? તો પણ અમે રસ્તા પર જઈને મોટા અવાજે બોલ્યા કે અમારી પાસે ભોજન છે, કોઈને ભૂખ લાગી છે? ભોજનનું નામ પડતાં ચાર-પાંચ લોકો તરત જાગી ગયા. અમે તેમને ભોજન આપ્યું. તેઓ જે ઝડપથી જમતા હતા, તેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તેઓ સાવ ભૂખ્યા જ સૂઈ ગયા હશે. એ દૃશ્ય જોયા પછી મને જિંદગીમાં પહેલી વખત ભૂખ કેવી ચીજ છે, તેનો અહેસાસ થયો અને પછી મેં ક્યારેય થાળીમાં ભોજન એંઠું નથી મૂક્યું અને ભોજન વધ્યું હોય તો ફેંકી દેવાને બદલે ભૂખ્યા માણસને શોધીને આપી દઉં છું.’

ભૂખનું દુ:ખ સૌથી વધારે કપરું હોય છે. પેટની આગ દુનિયાને સળગાવી દે એટલી કાતિલ બની શકે છે અને એટલે જ આપણા મહાકવિ ઉમાશંકર જોશીએ લખેલું, ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે.’ આપણા દેશમાં આજે પણ આશરે 60 ટકા લોકો ગરીબીરેખા હેઠળ જીવી રહ્યા છે અને દેશમાં કરોડો લોકોને માત્ર એક ટંકનું જ ભોજન નસીબ થાય છે ત્યારે ભૂખનો મુદ્દો સૌથી વધારે ગંભીર ગણાવો જોઈએ.

દેશમાં લાખો નાગરિકો કુપોષણથી પીડાય છે અને દર વર્ષે હજારો લોકો ભૂખમરાને કારણે જાન ગુમાવી રહ્યા છે, છતાં ‘દરેક હાથને રોટી’નું સપનું પૂરું કરવાની રાજકીય કે શાસકીય પ્રતિબદ્ધતાનો અભાવ પ્રવર્તે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી દેશની કેટલીક રાજ્ય સરકારોએ સસ્તા અનાજની દુકાન કે મધ્યાન ભોજનથી આગળ વધીને ધ્યાનાકર્ષક પહેલ કરી છે. હમણાં તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાનાં નિધન પછી તેમને અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં સૌથી વધારે  અન્ના કેન્ટિનનો ઉલ્લેખ જોવા મળ્યો. જયલલિતાએ વર્ષ 2013થી સસ્તા ભોજન માટે ‘અમ્મા ઉનાવગમ’ એટલે કે અમ્મા કેન્ટિનની યોજના શરૂ કરી હતી, જેમાં રૂ. એકમાં ઈડલી અને પાંચ રૂપિયામાં ભાત-સાંભાર પીરસવામાં આવે છે. જયલલિતાએ તામિલનાડુની ચૂંટણી સળંગ બીજી વખત જીતવાનો રેકોર્ડ કર્યો, એમાં આ યોજનાનો સવિશેષ ફાળો ગણાય છે. આમ તો, ગરીબજનો માટે સસ્તાં ભોજન કેન્દ્રોની શરૂઆત મહારાષ્ટ્રમાં 1995ની સાલમાં થયેલી. તત્કાલીન ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે ‘ઝુણકા-ભાખર કેન્દ્રો’ શરૂ કરાવેલાં, જે એક રૂપિયામાં જમાડતાં હતાં. જોકે, સરકાર બદલાયા પછી એ યોજના લાંબી ચાલી નહોતી. તામિલનાડુમાં આ યોજનાને કારણે જયલલિતાને મળેલી સફળતા પછી અન્ય રાજ્ય સરકારો પણ આવી યોજના ચલાવવા આકર્ષાઈ છે. દિલ્હીની શિલા દીક્ષિતની સરકારે પંદર રૂપિયામાં આખું ભાણું જમાડતાં ‘જન આહાર કેન્દ્રો’ શરૂ કરાવેલાં. કેજરીવાલે સત્તા પર આવીને જન આહાર કેન્દ્રોને બદલે ‘આમ આદમી કેન્ટિન’ ખોલવાનું વિચારેલું, જેનો અમલ હજુ થઈ શક્યો નથી. ઉત્તરાખંડની કૉંગ્રેસી સરકારે પણ વર્ષ 2015માં ઇન્દિરા અમ્મા ભોજનાલયો શરૂ કરાવેલાં તો તાજેતરમાં જ રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ‘અન્નપૂર્ણા રસોઈ’ યોજના શરૂ કરી છે, જેમાં 5 રૂપિયામાં નાસ્તો અને 8 રૂપિયામાં થાળી ઉપલબ્ધ કરાવાશે. થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ રાજ્યમાં ગરીબોને રૂ. 10માં એક ટંકનું ભોજન મળી રહે, એવી યોજના લાવવાની જાહેરાત કરી હતી.

આમ, એક પછી એક રાજ્યમાં ગરીબો માટે સસ્તા ભોજનનાં આવાં કેન્દ્રો શરૂ થઈ રહ્યાં છે. ગરીબો માટેની આવી યોજનાઓને તો આવકાર જ હોય, પરંતુ સૌથી મોટી ચિંતા યોજનામાં થતાં ભ્રષ્ટાચારની છે. આપણે ત્યાં મધ્યાહ્ન ભોજન યોજનાની શું હાલત છે, એ જાણીએ જ છીએ. એટલે મુદ્દો યોજનાના ઉદ્દેશ કરતાં પણ યોજનાના અમલીકરણનો ઊભો થાય છે. અમલીકરણમાં પ્રતિબદ્ધતા અને સજ્જડ વ્યવસ્થાના અભાવે જ અન્ય રાજ્યોમાં આવી યોજનાને તામિલનાડુ જેવી સફળતા મળી રહી નથી.

આ મામલે બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે આવી યોજનાઓ ટૂંકા ગાળાનું સમાધાન હોઈ શકે, પરંતુ લાંબા ગાળે સસ્તા કે મફતની યોજનાઓ લોકો, સરકાર, અર્થતંત્ર કે દેશ માટે ફાયદાકારક હોતી નથી. એક કહેવત છે કે કોઈને માછલી પકડીને દાનમાં આપવા કરતાં તેને માછલી પકડતા શીખવવું વધુ બહેતર છે. કોઈ પણ પક્ષની સરકાર ગરીબોના પેટ ઠારવાનું ‘પુણ્યֹ’ કમાઈને સત્તાનું સ્વર્ગ કન્ફર્મ કરાવાની ફિરાકમાં રહે, એ લાંબા ગાળે ગરીબો માટે કે દેશ માટે હિતાવહ ન ગણાય. સરકારે ખરેખર તો ગરીબોને રોજગારી અને આર્થિક ઉન્નતિ માટેની તક પૂરી પાડવી જોઈએ. આ માટે લાંબા ગાળાની ચોક્કસ નીતિઓ અને આયોજન જરૂરી છે. જોકે, ટી-20 સ્ટાઇલથી રાજકારણ રમનારા નેતાઓને આવી વાત માફક આવતી નથી. પરિણામે ગરીબોએ સસ્તાં ભોજન કેન્દ્રોથી પેટને ઠારવું પડે છે અને મનને મનાવવું પડે છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 4 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)