Wednesday, August 9, 2017

થોરો : 200 વર્ષની બૌદ્ધિકતા

દિવ્યેશ વ્યાસ


સરકારની અન્યાયી નીતિના વિરોધમાં ટેક્સ નહીં ભરીને જેલમાં જનારા હેન્રી ડેવિડ થોરોની પ્રસ્તુતતા વધતી જ જાય છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મૂકી છે.)

વિખ્યાત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સનને જેવી ખબર પડી કે પોતાના દિલોજાન દોસ્તને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ દોડીને તેમને મળવા દોડી ગયા. જેલમાં સલાખોં કે પીછે પોતાના મિત્રને જોઈને ઇમર્સનથી સહજ પુછાઈ ગયું, ‘તું જેલમાં કેમ છો?’ ત્યારે દોસ્તે જવાબમાં સામો સવાલ કરેલો, ‘તું હજુ બહાર કેમ છો?’ આ જવાબ આપનાર દોસ્ત હતા અમેરિકાના વિશ્વવિખ્યાત બૌદ્ધિક, વિચારક અને લેખક હેન્રી ડેવિડ થોરો. થોરોના એ સણસણતા સવાલમાં જ એક માતબર જવાબ (અને મૌલિક વિચાર પણ) હતો: ‘જે રાજ્યમાં અન્યાય સામે લડનારાઓ જેલમાં પુરાય છે ત્યારે સમજવું કે ન્યાયપ્રિય લોકોનું સ્થાન જેલમાં છે.’ અમેરિકાની તત્કાલીન સરકારની કેટલીક અન્યાયી નીતિઓ અંગે પોતાનો વિરોધ નોંધાવવા માટે થોરોએ ટેક્સ ન ભરીને પ્રતિકાર કર્યો હતો. થોરો અમેરિકામાં ચાલતી ગુલામી પ્રથા અને તેને સમર્થન આપતા કાયદાઓના પ્રખર વિરોધી હતા. એ ઉપરાંત અમેરિકા દ્વારા મેક્સિકો સામે ચાલી રહેલા યુદ્ધના પણ ટીકાકાર હતા. ઈ.સ. 1846ની 24 કે 25મી જુલાઈના રોજ સેમ સ્ટેપલ્સ નામના કરવેરા અધિકારી થોરોના ઘરે ટેક્સ લેવા આવ્યા હતા. થોરોએ ટેક્સ ભરવાની ચોખ્ખી ના પાડી દીધી અને પોતે શા માટે સરકારી વેરો ભરવા માગતા નથી, એ જણાવ્યું. ટેક્સ ભરવાનો ઇનકાર કરવા બદલ તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. થોરોએ વિનમ્રતાપૂર્વક જેલની સજા સ્વીકારી પણ કરવેરો નહોતો ચૂકવ્યો. જોકે, પછી તેમના પરિવારની કોઈ મહિલાએ તેમની ઇચ્છા અને કદાચ જાણબહાર કરવેરો ભરી દેતાં તેમને એક જ દિવસમાં જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી. સરકારની અનીતિ અને અન્યાયી નીતિઓ સામે છડેચોક પ્રતિકાર કરવાનું થોરોએ જ શીખવ્યું હતું. થોરોનો એક દિવસનો જેલવાસ અમેરિકન ઇતિહાસનું યશસ્વી પ્રકરણ બની રહ્યું છે અને તાજેતરનાં વર્ષોમાં ચાલેલી ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ જેવી અનેક ચળવળોને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે.

હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે અમેરિકાની પોસ્ટલ સર્વિસ દ્વારા વોલ્ડન સરોવરના કાંઠે વિશેષ કાર્યક્રમ યોજીને તેમની પોસ્ટલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સરકારી કાર્યક્રમ ઉપરાંત નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. કદાચ 50 વર્ષના લાંબા ગાળા પછી થોરો પરની માતબર જીવનકથા પ્રગટ થઈ છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકનો ઝોક પર્યાવરણ પર વધારે જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે બે વર્ષ, બે મહિના અને બે દિવસ સુધી વોલ્ડન સરોવરની પાળે સાદું ઝૂંપડું બાંધીને રહેનારા થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરાના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યા‌વરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

થોરો પરનું બીજું પુસ્તક જર્મનીમાં લખાયું છે, જેના શીર્ષકનો અંગ્રેજી અનુવાદ ‘હેન્રી ડેવિડ થોરો : પાથ્સ ઑફ એન અમેરિકન ઓથર’ થઈ શકે. જર્મન લેખક ડાઇટર શુલ્ઝે એક ઇન્ટરવ્યૂમાં બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે કે થોરોના વિચારો આજે જેટલા પ્રસ્તુત છે, એટલા અગાઉ ક્યારેય પણ નહોતા.

થોરો એવા મહાન વિચારક હતા, જેમના વિચારોને ટૉલ્સ્ટૉય, ગાંધીજી, ઇમર્સન, યીસ્ટ, અર્નેસ્ટ હેમિંગ્વે, માર્ટિન લ્યૂથર કિંગ જૂ. અને જ્હોન એફ. કેનેડી જેવા મહાનુભાવોને પણ પ્રભાવિત કર્યા હતા. ગાંધીજીએ તો લેખિતમાં સ્વીકારેલું છે કે સવિનય કાનૂન ભંગ કે અસહકાર આંદોલનની પ્રેરણા થોરાના ‘નાગરિક પ્રતિકાર’ (Civil disobedience)માંથી સાંપડી હતી.

અમેરિકા અને ભારત સહિત તમામ દેશોમાં બહુમતીવાદ મજબૂત થતો જાય છે ત્યારે થોરોના વિચારો મનનીય બન્યા છે. થોરો માનતા હતા કે ‘સત્ય બહુમતી પાસે જ હોય એમ નહીં, પણ લઘુમતી કે એક વ્યક્તિની વિવેકબુદ્ધિમાંયે એ હોઈ શકે છે.’ લોકો શાંતિથી અન્યાયને જોતા રહે અને ન્યાય માટે આવતી ચૂંટણી સુધી રાહ જોતા રહે, એની સામે થોરોને વાંધો હતો. થોરો માનતા કે સરકારને આપણે સમાજવ્યવસ્થા બરાબર ચાલે એ માટે બનાવેલી છે. તે એક પ્રકારની મશીનરી છે. કોઈ મશીન બરાબર કામ ન કરે ત્યારે આપણે તેને બંધ કરીએ છીએ તેમ સરકાર જ્યારે યોગ્ય રીતે કામ ન કરે, અન્યાયી બને ત્યારે તેને કામ કરતી બંધ કરવા વિરોધ કરવો જોઈએ.

સૃષ્ટિ અને સરકાર/શાસન અંગેના થોરોના વિચારોનું (પુસ્તકોનું) વાંચન તથા મનન-ચિંતન કરીને જ તેમનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવવું જોઈએ, ખરું ને?

(‘દિવ્ય ભાસ્કર’ની 9મી ઑગસ્ટ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment