દિવ્યેશ વ્યાસ
મહારાષ્ટ્ર પછી હવે કર્ણાટકે પણ અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની દિશા પકડી છે. શું ગુજરાતમાં આવા કાયદાની જરૂર નથી?
(તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)
આજે આપણા દેશમાં લોકશાહીની જે કંઈ અવદશા થઈ છે, તેના મૂળમાં છે આપણા સમાજજીવનમાં વિમર્શનો અભાવ. જાહેર જીવનમાંથી વિમર્શ જ્યારે ગાયબ થાય છે ત્યારે વિખવાદ અચૂક વકરે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે રાજકારણના નામે જે કાવાદાવા, ષડ્યંત્રો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની મારામારી ચાલી રહી છે, તે ગુણવંતા ગુજરાતીઓને શોભે એવી છે? આવી ચિંતાજનક સ્થિતિ પેદા થવાનું કારણ છે કે આપણે ત્યાં કોઈ પણ મુદ્દે જાહેર ચર્ચા-વિચારણા થાય, એવી સંસ્કૃતિ લગભગ લુપ્ત થઈ ગઈ છે. ચૂંટણીના માહોલમાં તમે કોઈ પણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હોય એવું જોયું? ટીવી ચેનલો સહિતનાં માધ્યમો ચર્ચા કરાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાં ચર્ચાના નામે કકળાટ અને કાદવઉછાળ જ ચાલતો હોય છે. દેશનું એક વિકસિત રાજ્ય પાંચ વર્ષ માટે પોતાના સત્તાધીશોની પસંદગી કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રાણપ્રશ્નો, આરોગ્ય-શિક્ષણ અંગેના મુદ્દાઓ, નાગરિકોને મળતી સુવિધાઓ અને કનડતી સમસ્યાઓ, મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે ભાવિ આયોજનો વગેરે અંગે વિચાર-વિમર્શ થવા જોઈએ, પરંતુ કદાચ એકેય રાજકીય પક્ષને આવી બાબતોમાં રસ નથી અને લોકો પણ જોઈએ એટલા સભાન-સક્રિય નથી. તેને કારણે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ હાંસિયામાં જ ધકેલાયેલા રહે છે. સરકારનું એક અગત્યનું કામ સામાજિક વિકાસ પણ હોય છે, પરંતુ જ્ઞાતિવાદી વિખવાદોની આગમાં મૂળ મુદ્દાઓનું બાષ્પીભવન થઈ જતું હોય છે. આવો જ એક મુદ્દો છે આપણા સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા.
ગુજરાત આમ તો પ્રગતિશીલ રાજ્ય છે. અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે ત્યાં શહેરીકરણનો દર વધારે છે, તેમ સાક્ષરતાનો દર પણ વધારે છે. ગુજરાતના લોકો આધુનિક અભિગમ ધરાવતા હોવાની છાપ છે, છતાં આપણા રાજ્યમાં પણ અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના બનાવો વારંવાર અખબારોમાં ચમકતા જોવા મળે છે. સતનાં પારખાં માટે ઉકળતા તેલમાં હાથ નાખવાથી માંડીને માતાજીના નામે આર્થિક છેતરપિંડી થતી હોવાના અનેક કિસ્સાઓ આપણી આજુબાજુ બનતા જોવા મળે છે. એવા કેટલાય રિવાજોનાં ઉદાહરણ આપી શકાય, જે આજે પણ જાતિભેદને ઘાટો બનાવતા હોય. અમુક તહેવારો પર એવી વિધિઓ અને ઉજવણીઓ પણ થતી હોય છે, જે માનવીય ધોરણે યોગ્ય ન લાગે. ધર્મ અને પરંપરાના નામે અનેક કુરિવાજો લગભગ તમામ ધર્મોમાં જોવા મળે છે. જોકે, ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષ આવા કુરિવાજો કે અંધશ્રદ્ધા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ જણાય છે. આજે સ્થિતિ એવી છે કે ચૂંટણીમાં મત ગુમાવવાના ડરે આવો કોઈ મુદ્દો ઊભો થાય તોપણ ઢાંકપિછોડો કરવામાં આવે છે કે પછી રૂઢિવાદીઓને જાહેરમાં સમર્થન આપી દેવામાં આવે છે.
શું ગુજરાતમાં ચૂંટણી લડતો એક પણ પક્ષ એવી જાહેરાત કરવાની હિંમત દાખવશે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની જેમ તેઓ સત્તા પર આવશે તો અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદો ઘડવામાં આવશે? આવા સવાલોને મોટા ભાગે અવગણવામાં જ આવતા હોય છે. જોકે, કર્ણાટકના રાજકારણીઓ એક રીતે સાહસિક કહેવાય કે તેમણે સામી ચૂંટણીએ પણ અંધશ્રદ્ધા વિરોધી વિધેયકને વિધાનસભામાંથી પસાર કર્યું છે. કર્ણાટકની કૉંગ્રેસ સરકારની પ્રતિબદ્ધતાની સાથે સાથે ભાજપ અને જનતા દળ (એસ) સહિતના પક્ષોના સહકારને કારણે લગભગ સર્વસંમતિથી આ વિધેયક વિધાનસભામાંથી પસાર થયું છે અને ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.
કર્ણાટક પહેલાં મહારાષ્ટ્રે દેશમાં સૌપ્રથમ આવો કાયદો બનાવીને નવો ચીલો પાડ્યો હતો. નરેન્દ્ર દાભોળકરના અંતિમ શ્વાસ સુધીના અથાક પ્રયાસોને પરિણામે મહારાષ્ટ્ર સરકાર પર અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવાનું દબાણ ઊભું થયું હતું. કર્ણાટકમાં પણ એમ.એમ. કલબુર્ગી સહિતના રેશનાલિસ્ટોએ અંધશ્રદ્ધામાં હોમાતા અજ્ઞાની નાગરિકોને બચાવવા માટે રાજ્ય સરકાર પર દબાણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં જેમ દાભોળકરની હત્યા પછી આવો કાયદો થયો, એવું જ કર્ણાટકમાં પણ કલબુર્ગી અને આવા કાયદાની પ્રબળ માગણી કરનારાં ગૌરી લંકેશની હત્યા પછી આવો કાયદો બનાવવાની ગંભીરતા ઊભી થઈ હતી. કર્ણાટકના અંધશ્રદ્ધા વિરોધી કાયદાને કદાચ કલબુર્ગીના નામ સાથે જોડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શકે છે. અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાનાં મૂળિયાં આપણે ત્યાં એટલાં ઊંડાં અને મજબૂત થઈ ગયાં છે કે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવનારે જીવ પણ ગુમાવવો પડતો હોય છે.
અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને કારણે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, ભેદભાવનો સામનો કરી રહ્યા છે, મહિલાઓ જાતીય શોષણનો ભોગ બનતી હોય છે, એટલું જ નહીં સેંકડો લોકો જીવ પણ ગુમાવતા હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ વર્ષ 2015માં 135 મહિલાને ડાકણ જાહેર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી!
હવે તમે જ નક્કી કરો, ધર્મ-પરંપરાના નામે ફેલાવાતી અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને સમાજમાં સ્થાન હોઈ શકે? હા, કાયદો બનાવી દેવાથી સમસ્યા ઉકેલાઈ જવાની નથી, છતાં એ દિશામાં ડગ માંડવા માટે કાયદો ઉપયોગી બને છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાની પહેલ કોણ કરશે?
(‘દિવ્ય ભાસ્કર’ની 22મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
No comments:
Post a Comment