દિવ્યેશ વ્યાસ
બિહારની છોટી કુમારી સિંહને મહાદલિત મુસહર જાતિનાં બાળકો માટે શિક્ષણનો યજ્ઞ પ્રગટાવવા બદલ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે
ગયા સપ્તાહમાં એક સારા સમાચાર મળ્યા કે કેરળમાં કોચીન દેવસ્વમ્ બોર્ડે જાતિવાદી બંધનો અને ભેદભાવોની ભીંતો ભાંગવા માટે દલિત પૂજારીની નિમણૂક કરી છે. મથિલાકમના કુઝુપુલી ઉમેશ કૃષ્ણન હવે પૂજારી તરીકે કોચીન દેવસ્વમ્ બોર્ડના તાબા હેઠળના મહાદેવના મંદિરમાં સેવાપૂજા કરી શકશે. આ અગાઉ કેરળના જ ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે છ દલિતોને અધિકૃત રીતે પૂજારી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે રાજ્યમાં સંચાલિત પોતાનાં 1,504 મંદિરોના પૂજારીઓની નિયુક્તિમાં સરકારની અનામત નીતિનું પાલન કરવાનો નિર્ણય લીધો અને લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ જેવી પ્રક્રિયામાંથી છ દલિત પૂજારીની નિયુક્તિ કરવામાં આવી.
કેરળના દલિતોને તેમનો અધિકાર મળી રહ્યો છે, એ ચોક્કસપણે આનંદની વાત છે, પરંતુ ગુજરાત જેવા પ્રગતિશીલ મનાતાં રાજ્યો સહિતના દેશનાં અન્ય રાજ્યોમાં આઝાદીના સાત દાયકા પછી પણ દલિતની આર્થિક, સામાજિક કે રાજકીય સ્થિતિમાં કોઈ ગૌરવલાયક સુધારો જોવા મળતો નથી. બિહાર દેશનું એવું રાજ્ય છે, જ્યાં દલિતોમાં પણ અતિ પછાત હોય એવા સમુદાયો માટે મહાદલિત શ્રેણી ઊભી કરવામાં આવી છે. બિહારનો સૌથી પછાત અને વંચિત સમુદાય છે - મુસહર. બે ટંક ભોજન પણ ન પામી શકે, એવું આર્થિક પછાતપણું ભોગવતા આ સમુદાયના લોકો એક સમયે ઉંદરો પકડીને પેટ ભરતા હતા અને એટલે જ તેમની જાતિનું નામ મુસહર પડ્યું હતું.
મુસહર સમુદાયના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ ઉપરાંત નેપાળના તરાઈ પ્રદેશમાં વસે છે. આ સમુદાયના 96.3 ટકા લોકો જમીનવિહોણા છે અને 92.5 ટકા લોકો ખેતમજૂર તરીકે પેટિયું રળે છે. આ સમુદાયમાં સાક્ષરતાનો દર માંડ 9 ટકા છે. આઝાદીનાં 70 વર્ષમાં મુસહર જાતિમાંથી માત્ર એક વ્યક્તિ મેડિકલ ડૉક્ટર બન્યો છે અને એક જ વીરલો પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી શક્યો છે. આમ, સામાજિક ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક રીતે પણ આ સમુદાય અત્યંત પછાત છે.

બિહારના ભોજપુર જિલ્લાના રતનપર ગામની છોટીકુમારી આમ તો રાજપૂત પરિવારની દીકરી છે, પરંતુ માતા અમૃતાનંદમયી મઠ સાથે સંકળાયા પછી તેણે પોતાના ગામના મુસહર સમુદાયનાં બાળકોને નિ:શુલ્ક ટ્યુશન આપવાનું બીડું વર્ષ 2014થી ઝડપ્યું છે. શિક્ષણ અંગે બેપરવા માતા-પિતાઓને પોતાનાં સંતાનોને ટ્યુશન માટે મોકલવા માટે રાજી કરવા કંઈ આસાન નહોતું, પરંતુ છોટી કુમારીએ ધીમે ધીમે માતા-પિતાનો વિશ્વાસ અને બાળકોનો પ્યાર હાંસલ કર્યો છે. છોટી કુમારી બાળકોને શિક્ષણ અને સ્વચ્છતાના પાઠ ભણાવવાની સાથે સાથે ગામની મહિલાઓને આરોગ્ય અને આર્થિક સ્વાવલંબનના પાઠ પણ ભણાવી રહી છે. રતનપર હવે ખુલ્લામાં શૌચમુક્ત ગામ બની ગયું છે. આજે રતનપરમાં શિક્ષણ અને સ્વચ્છતા અંગે અભૂતપૂર્વ કહી શકાય, એટલી જાગૃતિ આવી છે, તેમાં છોટી કુમારીની મોટી ભૂમિકા છે.
(‘દિવ્ય ભાસ્કર’ની 8મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
No comments:
Post a Comment