દિવ્યેશ વ્યાસ
બાળ શિક્ષણ બાબતે આપણી સરકાર અને સમાજ તરીકે આપણે બાઘા પુરવાર થઈ રહ્યા છીએ ત્યારે ગિજુભાઈનું સ્મરણ વધુ તીવ્ર બને છે
ગિજુભાઈ બધેકા. આ શબ્દો કાને પડતાં જ આપણને તેમનું લોકલાડીલું નામ ‘મુછાળી મા’ યાદ આવ્યા વિના રહેતું નથી. બાળકો પ્રત્યે અનહદ લાગણી અને લગાવ ધરાવતા ગિજુભાઈએ ‘મુછાળી મા’ નામને સાર્થક કરેલું, પરંતુ તેમને મળેલું બીજું અને ઓછું જાણીતું નામ છે, ‘બાલસાહિત્યનો બ્રહ્મા’. કાકાસાહેબ કાલેલકરે તેમના બાલસાહિત્ય ક્ષેત્રના યોગદાનને ધ્યાનમાં લઈને તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને પોંખ્યા હતા.
આજે ગિજુભાઈનો જન્મદિવસ (15 નવેમ્બર, 1884) છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે તથા બાલ સાહિત્ય ક્ષેત્રે મબલખ યોગદાન આપનારા ગિજુભાઈના જન્મદિવસની દર વર્ષે મોટા પાયે ઉજવણી થવી જોઈએ, પણ કમનસીબે થતી નથી. આ વર્ષે કોઈ ચૂંટણીનું બહાનું કાઢી શકે, પણ ખરેખર તો ચૂંટણીના મહિનાઓમાં તો ગિજુભાઈના પ્રદાનની ચર્ચા કરવાની સાથે સાથે આપણું રાજ્ય બાળશિક્ષણ ક્ષેત્રે ક્યાં છે, કેવી દિશામાં આગળ વધી રહ્યું છે, રાજ્યમાં બાળકોની હાલત કેવી છે, એનું વિશ્લેષણ કરવા માટે વિશેષ આયોજનો થવાં જોઈએ, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ‘પૈસા બોલતા હૈ’ યુગ પ્રવર્તી રહ્યો હોય, ત્યારે આવું તો કોને સૂઝે? વળી, જ્ઞાતિ કે ધર્મના કેફી રાજકારણમાં મસ્ત અથવા તો પછી વાહિયાત મુદ્દાઓની ચર્ચામાં વ્યસ્ત રહેનારાઓની કમી નથી ત્યારે આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કોઈ વિચાર કરતા નથી.
યુવાન ગિજુભાઈની મહેચ્છા તો પોતાના પિતાની જેમ વકીલ બનવાની હતી અને મુંબઈમાં જઈને ભણીને બન્યા પણ ખરા. વઢવાણ શહેરમાં રહીને વકીલાત કરીને નામ અને દામ પણ કમાયાં, પરંતુ તેમની નિયતિ કંઈક જુદી હતી. ઘરે પારણું બંધાયું પછી બાળ કેળવણી બાબતે સભાનતા વધી. વઢવાણમાં વારંવાર આવતા દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે દોસ્તી થયેલી. તેમણે સૂચવ્યું કે તમારે બાળશિક્ષણનું સાહિત્ય વાંચવું હોય તો વસો જાઓ અને ત્યાં મોતીભાઈ અમીનને મળી માર્ગદર્શન મેળવો. ગિજુભાઈનો જુસ્સો એવો હતો કે તેઓ તરત વસો ગયા. રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ગણાતા મોતીભાઈએ પોતાની નવી બાળશાળા બતાવી અને છોટુભાઈ પુરાણીએ લખેલું ‘મોન્ટેસોરી પદ્ધતિ’ નામનું પુસ્તક આપ્યું. આ મુલાકાત અને પુસ્તક ગિજુભાઈના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ પુરવાર થયાં. કેળવણી અંગેનું ચિંતન વધતું ગયું અને વકીલાતમાં રસ ઘટતો ગયો. દરમિયાન તેમના મામા હરગોવિંદદાસ પંડ્યાએ નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં સેવા આપવા ભાવનગર બોલાવ્યા. ભાવતું હતું અને વૈદ્યે કહ્યા જેવો ઘાટ થયો. ગિજુભાઈએ રાજી રાજી થઈને વકીલાતના વાઘા ઉતાર્યા, વઢવાણ છોડ્યું અને શિક્ષણની ધૂણી ધખાવવા ભાવનગર સ્થાયી થયા. પછી ભાવનગરમાં જે કંઈ થયું, તે ગુજરાતી બાળ કેળવણીનો સુવર્ણ ઇતિહાસ છે.
ગિજુભાઈએ બાળ કેળવણીનાં તમામ પાસાંઓ પર ખૂબ જ ઝીણવટથી કામ કર્યું અને એક ફિલોસોફી વિકસાવી, એક દર્શન (વિઝન) પૂરું પાડ્યું, જે આજે પણ અગાઉ ક્યારેય નહોતું એટલું માર્ગદર્શક અને ઉપયોગી છે. ગિજુભાઈ મોન્ટેસોરીના કુળના બાળ કેળવણીકાર હતા, છતાં તેમણે પોતાની કોઠાસૂઝથી આ ક્ષેત્રે ઘણા મૌલિક વિચારો અને પ્રયોગો આપ્યા છે, જે બાળશિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી રૂપ છે. ‘દિવાસ્વપ્ન’ નામનું ગિજુભાઈનું મૂલ્યવાન પુસ્તક દરેક શિક્ષકે, એમાંય પ્રાથમિક શાળાના શિક્ષકે વાંચવા જેવું છે. આ પુસ્તક વંચાશે-ચર્ચાશે તો ગિજુભાઈનું સપનું પૂરું કરવાની દિશામાં આગળ વધી શકાશે.
લેખના અંતિમ પડાવમાં ગિજુભાઈની એક રચના વાંચીએ:
જ્યાં સુધી બાળકો ઘરમાં માર ખાય,
શેરીમાં દુર્ગંધ ખાય અને શાળામાં ગાળ ખાય
- ત્યાં સુધી જંપ કેમ વળે?
જ્યાં સુધી આંધળા અને લૂલાં, ગાંડાં ને બાંડાં,
નાદાન અને ઊખડેલનો કોઈ બેલી નથી, ધણી નથી
- ત્યાં સુધી જંપ કેમ વળે?
ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી સ્થળે સ્થળે, બાળકો માટે શાળા નથી,
વાંચનાલય નથી, ક્રીડાંગણો નથી,
બાગબગીચા નથી, નાટકો નથી, સિનેમા નથી?
ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી એક પણ બાળક સન્માન વિનાનું છે,
અસ્પૃશ્ય છે, માંદું છે, ગંદું છે, અવ્યવસ્થિત છે?
બાળ શિક્ષણની વર્તમાન સ્થિતિ જોઈને તમને અજંપો થાય છે ને? ગિજુભાઈ જિંદાબાદ!
(‘દિવ્ય ભાસ્કર’ની 15 નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
No comments:
Post a Comment