Showing posts with label ડાયરી. Show all posts
Showing posts with label ડાયરી. Show all posts

Wednesday, December 27, 2017

મહાન ‘ભક્ત’ મહાદેવભાઈ

દિવ્યેશ વ્યાસ


મહાત્મા ગાંધી અને કસ્તૂરબાના ‘પાંચમા પુત્ર’ મહાદેવભાઈની યાદમાં 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરવો જોઈએ




છાકો પાડીને છવાઈ જવાની અને અસત્ય વાતોથી લોકોને માત્ર આંજી જ ન નાખવા, પણ આંધળા કરી દેવાની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય એવા રાજકીય માહોલમાં ‘ભક્ત’ શબ્દ હાંસીપાત્ર બની ગયો છે ત્યારે મહાદેવભાઈ દેસાઈને ‘મહાન ભક્ત’નું વિશેષણ લગાડવાથી ગેરસમજ થવાની શક્યતા છે. ભક્ત અને ભક્તિ જેવા પવિત્ર શબ્દોની પ્રતિષ્ઠા ખરડનારા કદાચ જાણતા નથી કે આ શબ્દોમાં સમર્પણભાવ ઠાંસોઠાંસ ભરેલો છે. મહાદેવભાઈના ગાંધીજી પ્રત્યેના સમર્પણના પુરાવારૂપ એક કિસ્સો ખૂબ જાણીતો છે: મહાદેવભાઈને પહેલેથી સંતોનું સાંનિધ્ય ગમતું હતું. જમનાલાલ બજાજ રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા. તેમણે મહાદેવભાઈને એ આશ્રમ અંગે ઘણી વાતો કરી અને સૂચવ્યું કે તમે પણ જઈ આવો. મહાદેવભાઈએ ત્યાં જવાની તૈયારી કરી. જતી વખતે ગાંધીજીએ કહ્યું, ‘તમને ત્યાં શાંતિનો અનુભવ થાય તો ખુશીથી થોડા વધારે દિવસ રોકાઈ જજો. અહીંના કામની ચિંતા કરશો નહીં.’ ગાંધીજીથી છૂટા પડવાનું મહાદેવભાઈને ગમતું નહોતું. ‘વધારે દિવસ રોકાજો’ એ શબ્દોએ મહાદેવભાઈને ચમકાવ્યા. એમણે તરત ગાંધીજીને કહ્યું, ‘મેં જવાનો વિચાર માંડી વાળ્યો છે.’ ગાંધીજી કહે, ‘કેમ?’ મહાદેવભાઈ બોલ્યા, ‘મારે એક જ સ્વામી બસ છે.’

આગામી 1 જાન્યુઆરી, 2018ના દિવસે મહાદેવભાઈને આ ધરતી પર અવતર્યાને સવાસો વર્ષ થશે. મહાદેવભાઈ ગાંધીજીના સેક્રેટરી (રહસ્ય સચિવ) તરીકે જાણીતા છે, પરંતુ તેઓ સેક્રેટરીથી  વિશેષ ઘણું બધું હતા. રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે એક સમયગાળામાં ગાંધીજી માટે જવાહરલાલ નેહરુ અને સરદાર કરતાં પણ મહાદેવભાઈ વધારે મહત્ત્વ ધરાવતા હતા. ‘નવજીવન’ હોય, ‘યંગ ઇન્ડિયા’ હોય કે ‘હરિજન પત્રો’... ગાંધીજીનાં અખબારોના તંત્રી તરીકે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ હોય કે ગીતા પરનું પુસ્તક ‘અનાસક્તિયોગ’, એના અંગ્રેજીમાં અનુવાદ પણ મહાદેવભાઈએ જ કર્યા હતા.

પચાસ વર્ષના જીવનમાં મહાદેવભાઈએ અડધોઅડધ પચીસ વર્ષ ગાંધીજીની નિશ્રા અને સેવામાં જ વિતાવ્યાં હતાં. અઢી દાયકા દરમિયાન તેમણે ગાંધીજીના એક એક શબ્દને ઝીલ્યા અને એક એક પ્રસંગને શબ્દદેહે પોતાની ડાયરીમાં ઉતાર્યા હતા. મહાદેવભાઈની ડાયરીના કુલ 23 ગ્રંથો થયા છે. સમગ્ર વિશ્વમાં ડાયરી-સાહિત્યની વાત નીકળે ત્યારે મહાદેવ દેસાઈનું નામ અચૂકપણે અને આદરપૂર્વક લેવાય છે. મહાદેવભાઈની ડાયરી ઉપલબ્ધ ન હોત તો આજે આપણી પાસે અધૂરા ગાંધી હોત, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. ગાંધીજીને મહાત્મા બનાવનારા ગણતરીના લોકોમાં એક મહાદેવભાઈનું નામ પણ અચૂક લેવું જ પડે.

મહાદેવભાઈનું નિધન થયું ત્યારે ગાંધીજીએ કહેલું, ‘મહાદેવ મારો દીકરો જ છે ને હું જ એના અગ્નિસંસ્કાર કરીશ.’ આગાખાન મહેલમાં જ મહાદેવભાઈની સમાધિ બનાવાઈ હતી. જેલમાં રહ્યા ત્યાં સુધી ગાંધીજી અને સાથીઓ રોજ એ સમાધિ પર પ્રાર્થના કરતા. કસ્તૂરતાનું માતૃહૃદય બોલી ઊઠતું કે, ‘આ તો મહાદેવનું મંદિર છે. આવા લાખેણા પુત્રનો ભોગ લીધો છે એટલે હવે આ (અંગ્રેજ) સરકાર ટકી શકશે જ નહીં.’ આમ, મહાદેવભાઈને ગાંધીજીના પાંચમા પુત્ર ગણવા પડે.

મહાદેવભાઈના અનેક સદ્્ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. આપણાથી બીજું કંઈ ન થઈ શકે તો પણ તેમની જેમ ડાયરી લેખનની ટેવ પાડવા જેવી છે. નવું વર્ષ શરૂ થવાને થોડા દિવસ બચ્યા છે ત્યારે વર્ષના પહેલા જ દિવસે અને મહાદેવભાઈના જન્મ દિવસથી ડાયરી લેખન શરૂ કરવાનું પ્રણ લેવા જેવું છે. મહાદેવભાઈ અને તેમના જીવનકાર્યને સન્માનવું હોય તો 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરીને રાજ્યભરમાં તેની ઉજવણી કરવી જોઈએ.

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Monday, January 18, 2016

ડાયરી, સ્મરણનો દરિયો

દિવ્યેશ વ્યાસ


ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. ડાયરી પરમ સાથીની સાથે સાથે પરમ સાક્ષીની ભૂમિકા પણ ભજવી શકે છે.


ગાંધીવાદી આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્મૃતિગ્રંથ ‘અગ્નિપુષ્પ’નાં પાનાં ઊથલાવતાં ઊથલાવતાં તેના તસવીર વિભાગમાં જોયું તો એક પાના પર ચુનીકાકાની બે લાક્ષણિક તસવીરો સાથે એક વાક્ય વાંચવા મળ્યું, ‘કાયમના સંગાથી રોજનીશી અને ચા’. ઈસુના નવા વર્ષમાં આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે થયું કે ચાલો આજે થોડી રમઝટ રોજનીશી પર થઈ જાય! રોજનીશી માટે ગુજરાતીમાં ઘણા સુંદર શબ્દો છે, દૈનંદિની, વાસરી કે વાસરિકા, નિત્યનોંધપોથી, સ્મરણપોથી, એક ક્યૂટ શબ્દ છે – દિનકી. જોકે, આપણામાંના મોટા ભાગનાને પારકી ભાષા (અંગ્રેજી)નો ‘ડાયરી’ શબ્દ થોડો વધારે જાણીતો ને પોતીકો (નિયર એન્ડ ડિયર) લાગી શકે!


(ડાયરી લેખનને સંબંધિત તસવીર ગૂગલ પરથી મેળવી છે.)
ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. આજે મહાત્મા ગાંધીનાં કાર્યો અને વિચારોનો વારસો અને અધધ દસ્તાવેજો આપણી પાસે ઉપલબ્ધ છે, જેનો શ્રેય તેમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈને જાય છે, જેમણે ગાંધીજીના વિચાર-આચારની દાયકાઓ સુધી વ્યવસ્થિત નોંધ રાખીને 23 ગ્રંથો તૈયાર કર્યા, જે ‘મહાદેવભાઈની ડાયરી’ તરીકે વિશ્વની શ્રેષ્ઠ ડાયરીઓમાં સ્થાન ધરાવે છે. મહાદેવભાઈની દૈનિક નોંધ રાખવાની સુટેવનો વારસો બબલભાઈ મહેતાથી લઈને ચુનીભાઈ વૈદ્ય સુધીના અનેક ગાંધીજનોએ પણ જાળવ્યો હતો. આ ડાયરીઓ એ ગાંધીજનોના જીવનયજ્ઞની જાણકારી ઉપરાંત ગુજરાતના લોકજીવનની 4-D સોનોગ્રાફી જેવી છે!  ગુજરાતના લોકજીવનની આંટીઘુંટીને જાણવા-સમજવા માટે આ ડાયરીઓ બહુ ઉપકારક નીવડી શકે એમ છે. આઝાદી આંદોલન વખતે જેલવાસ દરમિયાન અનેક નેતાઓએ ડાયરીઓ લખી હતી. ભગતસિંહની જેલ ડાયરી તો રાષ્ટ્રપ્રેમનો અમર દસ્તાવેજ ગણાય છે.
ડાયરીની વાત નીકળતાં એન ફ્રેન્કની વિશ્વપ્રસિદ્ધ ડાયરી તરત જ યાદ આવી જાય. અન્ય જાણીતી ડાયરીઓની વાત કરીએ તો વિશ્વપ્રસિદ્ધ લેખિકા વર્જીનિયા વુલ્ફની ડાયરીઓ પણ પ્રખ્યાત છે તો ‘એલીસ ઇન વંડરલેન્ડ’ના લેખક લેવિસ કેરોલની ડાયરી પણ ચર્ચિત છે. અમેરિકાના મોટા ભાગના રાષ્ટ્રપ્રમુખો ડાયરી લખવાની ટેવ ધરાવતા હતા, પણ એમાં હેરી એસ. ટ્રુમેનની ડાયરી યુનિક ગણાય છે. વિશ્વયુદ્ધો દરમિયાન સૈનિકો-અફસરો દ્વારા લખાયેલી ડાયરીનાં પાનાંઓએ પણ અનેક અજાણી ઐતિહાસિક ઘટનાઓને અમર બનાવી છે.
દરેકને ડાયરી લખવાનો આગ્રહ કરનારા ગાંધીજી ડાયરીને જીવનસુધારક ગણતા હતા. તેમણે લખ્યું છે, “રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરત નહિ તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને બચાવી લેશે. કેમકે, તે આપણા દોષની સાક્ષીરૂપ રહેશે. તેમાં કરેલા દોષોની નોંધ આવવી જ જોઈએ. તેની ઉપર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર જ હોય. આજે ‘બ’ ઉપર ક્રોધ આવ્યો, આજે ‘ક’ને છેતર્યો આટલો ઉલ્લેખ બસ છે. આ બહુ ખોટું થયું, રે મન હવે એમ ન કરવું વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાના સ્તુતિનાં વચન લખવાનાં હોય જ નહિ. કરેલાં કામોની ને કરેલા દોષની નોંધ હોય એ બસ છે. બીજાના દોષની નોંધ રોજનીશીમાં હોવી ન ઘટે.” અલબત્ત, તમે ડાયરીમાં ઇચ્છો તે લખવા સ્વતંત્ર છો, શરત એટલી કે ડાયરી લખવી જોઈએ.
ડાયરી એટલે રોજેરોજ ભરાતો જતો સ્મરણનો દરિયો. પુસ્તકો આપણાં શ્રેષ્ઠ મિત્ર કહેવાય છે, પણ સામાન્ય માનવીથી લઈને સાહિત્યકાર, પત્રકાર, પ્રવાસી, સંશોધક, વિજ્ઞાની, અધિકારી, મેનેજર, ઉદ્યોગપતિ, સમાજસેવક કે રાજનેતા માટે ડાયરી પરમ સાથી તેમજ પરમ સાક્ષીની ભૂમિકા ભજવી શકે છે. નવા વર્ષને વધાવવાની સાથે રોજેરોજનાં સ્મરણોને એક ડાયરીમાં ટપકાવી લેવાનું સ્વૈચ્છિક વ્રત લેવા જેવું ખરું!
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં 30મી ડિસેમ્બર, 2015ના રોજ પ્રકાશિત મારી ‘સમય સંકેત’ કૉલમ)