Wednesday, October 18, 2017

દિવાળી અને સમૃદ્ધિની કામના

દિવ્યેશ વ્યાસ


દિવાળીના પર્વ પર લક્ષ્મીજીની પૂજા સાથે સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. સમૃદ્ધિ અંગેની સમજ ‘ગરીબ’ ન ચાલે! સંત વિનોબાના લક્ષ્મી અંગેના વિચારો જાણીને આપણી સમજ સમૃદ્ધ કરીએ... 


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. ભારતનાં અન્ય રાજ્યો-પ્રદેશો કરતાં ગુજરાતમાં દિવાળીનો ઉત્સાહ બેગણો વધારે હોય છે, કારણ કે આપણે ત્યાં દિવાળીના બીજે દિવસે નવા વર્ષના વધામણા પણ કરવામાં આવે છે. ગુજરાત વિક્રમ સંવતનું નવું વર્ષ ઊજવે છે, જેની ઉજવણી બહુ ઓછા પ્રદેશોમાં થતી હોય છે.
પ્રકાશમય આ પર્વ આપણા જીવનમાં ઉજાસ ફેલાવવાની પ્રેરણા આપે છે. આ ઉજાસ જ્ઞાનનો પણ હોઈ શકે, વિદ્યા-વિવેકનો પણ હોઈ શકે છે, સમજ-સંસ્કારનો પણ હોઈ છે, સંવેદનાનો પણ હોઈ શકે, પરિશ્રમ અને પુણ્યતાનો હોઈ શકે અને સુખ-સમૃદ્ધિનો પણ હોઈ શકે. દિવાળીના જુદા જુદા દિવસોના તહેવારોમાં ખાસ કરીને લક્ષ્મીજી અને સરસ્વતી દેવી તથા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મા સરસ્વતી વિદ્યાની દેવી ગણાય છે, જ્યારે લક્ષ્મીજી સમૃદ્ધિની દેવી ગણાય છે. દિવાળીની શુભેચ્છાઓની સાથે નૂતન વર્ષના અભિનંદન પાઠવતું એક વાક્ય બહુ સર્વસામાન્ય રીતે જોવા-વાંચવા મળતું હોય છે, ‘આપનું નવું વર્ષ સુખ-સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છાઓ.’ સુખમય જીવન માટે સમૃદ્ધિ જરૂરી છે. લોકો શ્રદ્ધાપૂર્વક એવું માનતા હોય છે કે લક્ષ્મીજીની કૃપાથી આપણે સમૃદ્ધિ પામી શકીએ છીએ. સમૃદ્ધિને આપણે લક્ષ્મીજીનું સ્વરૂપ જ માનીએ છીએ અને મોટા ભાગે લક્ષ્મી જ કહીએ છીએ.

લક્ષ્મી કે સમૃદ્ધિ અંગેની આપણી સમજ ‘ગરીબ’ હોય એ તો કેમ ચાલે! આપણે મોટા ભાગે પૈસાને જ લક્ષ્મી ગણી લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. વિનોબા ભાવેએ રોજિંદા જીવનમાં પૈસા/રૂપિયાનો વ્યવહાર જ ન રહે એવી નવી વ્યવસ્થા માટે કાંચનમુક્તિનો પ્રયોગ આદર્યો હતો. એ સમયગાળામાં વિનોબાની ‘લફંગા પૈસાનું અનર્થકારણ’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ થઈ હતી, જેમાં પૈસા અને લક્ષ્મી કે શ્રી વચ્ચે કેવો અને કેટલો મોટો ભેદ છે, એ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું, ‘લક્ષ્મી અને પૈસાને એક માની લેવા જેવી ગેરસમજ બીજી કોઈ નથી. આ ભારે મોટો ગોટાળો થઈ ગયો છે. લક્ષ્મી અને પૈસો હરગિજ એક નથી. પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. તેની કિંમત કાયમ ઓછીવત્તી થયા કરે છે, કારણ કે તેની પોતાની કિંમત જ નથી હોતી. એટલે મેં તો તેને લફંગો પૈસો જ કહ્યો છે અને પાછો આપણે તેને આખા સમાજનો કારભારી બનાવી દીધો છે! તેને લીધે સમાજની આજે બહુ જ ભયાનક અવસ્થા થઈ ગઈ છે.’

વિનોબાએ આગળ લક્ષ્મી એટલે શું એ સુંદર રીતે સમજાવ્યું છે, ‘લક્ષ્મી એટલે તો શ્રી, શોભા, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, સૃષ્ટિની વિષ્ણુશક્તિ, સૃષ્ટિનું નિર્માણ. જ્યારે પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. નાસિકના સરકારી પ્રેસમાં નોટો છપાય છે. એક ઠપ કર્યો કે એક રૂપિયાની નોટ અને એક ઠપ કર્યો કે એકસો રૂપિયાની નોટ! એક રૂપિયાની ને એકસો રૂપિયાની નોટ પાછળ એટલો ને એટલો એક સરખો પરિશ્રમ! આવી છે રૂપિયાની ઘટોત્કચની માયા! પૈસાનું કોઈ સ્થિર મૂલ્ય નહીં. જ્યારે લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે. અનાજ લક્ષ્મી છે. પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું, આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે. એક શેર અનાજ ઉત્પન્ન કરવા જેટલો પરિશ્રમ કરવો પડે છે, તેના કરતાં બે શેર અનાજના ઉત્પાદન માટે બમણો પરિશ્રમ કરવો પડે છે.’
વિનોબાએ લક્ષ્મી અંગે બીજી એક મહત્ત્વની વાત કરેલી છે, ‘લક્ષ્મી તો દેવી છે અને તે શ્રમથી ઉત્પન્ન થાય છે. જે શ્રમનો ઉપાસક હશે, ઉદ્યોગ કરનારો હશે, તેને જ લક્ષ્મી વરશે. અનાજ, શાકભાજી, ફળફૂલ એ બધું લક્ષ્મી છે. તેને ઉત્પન્ન કરવા માટે મહેનત કરવી પડે છે. લક્ષ્મી તો આપણા હાથની આંગળીઓમાં વસે છે! ‘કરાગ્રે વસતે લક્ષ્મી’. ભગવાને આપણને જે હાથ આપ્યા છે, તેનાથી પરિશ્રમ કરવાથી લક્ષ્મી મળશે, પરંતુ આપણે આજે શ્રમને બદલે પૈસાને મહત્ત્વ આપી દેવાયું છે. આ બહુ ખોટું થયું છે.’

વિનોબા સોય ઝાટકીને કહેતાં, ‘સુર અને અસુર વચ્ચે જેટલો ફરક હોય તેટલો લક્ષ્મી અને પૈસા વચ્ચે ફરક છે. લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ. પૈસાને લક્ષ્મી માની લેવાથી મોટો ભ્રમ બીજો કયો હોય?’
આમ, પૈસો મારો પરમેશ્વર ક્યારેય ગણી શકાય નહીં. લક્ષ્મીજીની પૂજા કરતાં પહેલાં તેમનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. લક્ષ્મી અને પૈસા વચ્ચે કરાતી ગેરસમજનાં જાળાં હટાવવાનું રખે ચુકાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 18 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment