Tuesday, April 19, 2016

આર્યભટ્ટ : એક શુકનવંતી શરૂઆત

દિવ્યેશ વ્યાસ


ચાર દાયકા પહેલાં ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ છોડ્યો હતો. છેલ્લાં ચાળીસ વર્ષમાં આપણે અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયા છીએ


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

આજનો દિવસ રળિયામણો છે. ભારતે જાતે બનાવેલો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' છોડયાને ૧૯મી એપ્રિલ, 2015ના રોજ ૪૦ વર્ષ થયેલાં. ચાર દાયકાની અંતરીક્ષ ક્ષેત્રની વિકાસયાત્રાએ ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવવાનું કાર્ય કર્યું છે. ભારતના વિજ્ઞાનીઓએ જાતે બનાવેલા ઉપગ્રહ 'આર્યભટ્ટ'ને રશિયાની ધરતી પરથી છોડવો પડયો હતો, જ્યારે આજે ભારત અનેક વિદેશી ઉપગ્રહોને છોડી આપવાનું કાર્ય વ્યાવસાયિક ધોરણે કરવા સજ્જ બની ગયો છે. આમ, આ ચાળીસ વર્ષમાં આપણે અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ અને અદભુત પ્રગતિ સાધી છે અને ભારત અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયો છે.

અંતરીક્ષ ક્ષેત્રની ભારતની સિદ્ધિઓની ચર્ચા કરતા પહેલાં થોડીક વાત દેશના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ 'આર્યભટ્ટ'ની કરી લઈએ. આર્યભટ્ટને બેંગલુરુ નજીક પીન્યામાં તૈયાર કરવામાં આવ્યો હતો. આર્યભટ્ટ એક પ્રાયોગિક અને લઘુ ઉપગ્રહ હતો, જેનું વજન ૩૬૦ કિલોગ્રામ હતું. આર્યભટ્ટમાં મોટાભાગની સામગ્રી ભારતીય વિજ્ઞાાનીઓ દ્વારા તૈયાર કરાયેલી જ વાપરવામાં આવી હતી, છતાં તેમાં બેટરી અને સોલર પેનલ જેવી કેટલીક ચીજો રશિયા દ્વારા મૈત્રીભાવે પૂરી પાડવામાં આવી હતી.


દેશના પહેલા સ્વદેશી ઉપગ્રહને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞા આર્યભટ્ટનું નામ આપવામાં આવ્યું હતું, જેમણે બીજ ગણિતનો ઉપયોગ કરવા ઉપરાંત પાઇનું પરફેક્ટ માપ ૩.૧૪૧૬ શોધી કાઢયું હતું. આર્યભટ્ટ જેવા મહાન વ્યક્તિના નામ સાથે જોડાયેલા આ પ્રાયોગિક ઉપગ્રહનો ઉદ્દેશ દેશના વિજ્ઞાાનીઓને ઉપગ્રહ નિર્માણ અને અંતરીક્ષમાં તેના સંચાલનનો અનુભવ મળે અને ભારત ભવિષ્યમાં અંતરીક્ષ વિજ્ઞાાનમાં સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી શકે એવો હતો. આર્યભટ્ટ થકી વિજ્ઞાાનીઓ ખગોળવિદ્યા, વાયુ વિજ્ઞાાન અને સૌર ભૌતિકશાસ્ત્ર (સોલર ફિઝિક્સ) અંગે સંશોધન હાથ ધરીને વધુ જાણકારી મેળવવા ધારતા હતા.

આર્યભટ્ટને ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ સોવિયત સંઘ (આજનું રશિયા)ના કાપુસ્તિન યાર ખાતેથી સી-૧ ઇન્ટરકોસ્મોસ નામના લોંચિંગ વિહિકલ દ્વારા છોડવામાં આવ્યો હતો. આર્યભટ્ટ છોડવામાં આવ્યો ત્યારે તેનો કાર્યકાળ છ વર્ષ એટલે કે માર્ચ-૧૯૮૧ સુધી નિર્ધારિત કરાયો હતો. જોકે, આર્યભટ્ટ અંતરીક્ષમાં પહોંચ્યા પછી પોતાના પરિક્રમાપથ પર માંડ ચાર દિવસ કાર્યરત રહ્યો હતો અને પછી તેમાં વીજ પુરવઠામાં કંઈક ગરબડ પેદા થતાં તમામ પ્રક્રિયા બંધ કરવી પડી હતી. પાંચમા દિવસથી તો આર્યભટ્ટ તરફથી સિગ્નલ મળવાં જ બંધ થઈ ગયાં હતાં. જોકે, આ નિષ્ફળતાએ જ ભારતની અંતરીક્ષ ક્ષેત્રની જ્વલંત સફળતાઓનો પાયો નાખ્યો હતો. આર્યભટ્ટના સફળ પ્રક્ષેપણથી ભારતીય વિજ્ઞાાનીઓનો જુસ્સો અને આત્મવિશ્વાસ વધ્યા હતા અને તે દિવસ પછી ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) અને આપણા વિજ્ઞાાનીઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે.


આર્યભટ્ટની સિદ્ધિ પાશેરામાં પહેલી પૂણી જેવી હતી, જેને સમગ્ર દેશ દ્વારા વધાવી લેવામાં આવી હતી. આર્યભટ્ટની યાદમાં રૂપિયા બેની ચલણી નોટની પાછળ તેનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું તથા ટપાલ ટિકિટમાં પણ તેનું ચિત્ર મૂકીને તેનાં મીઠાં સ્મરણને જાળવવાની કોશિશ થઈ છે. આર્યભટ્ટના પ્રક્ષેપણમાં મદદરૂપ થનાર રશિયાએ પોતે પણ આર્યભટ્ટની ટપાલ ટિકિટ બહાર પાડી હતી, એટલું જ નહીં ૨૦૧૨માં તેણે બેંગલુરુ ખાતે આર્યભટ્ટનું સ્મારક બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરેલો. ભારતે તેને મંજૂર રાખેલો, પણ પછી શું થયું, ભગવાન જાણે!

ભારતે ૧૯૭૫માં આર્યભટ્ટ છોડયો ત્યારે પોતાનો ઉપગ્રહ છોડનારો તે ૧૧મો દેશ બન્યો હતો, જ્યારે આજે તેણે અંતરીક્ષ ક્ષેત્રે ટોપ ફાઇવ દેશોમાં દબદબાભેર સ્થાન હાંસલ કરી લીધું છે. આર્યભટ્ટ પછી ભારતે ભાસ્કર-૧ અને ૨, એપ્પલ, રોહિણી, આઈઆરએસ શ્રેણી, ઇનસેટ શ્રેણી, એજ્યુસેટ શ્રેણી, જીસેટ શ્રેણીના ઉપગ્રહો સહિત કુલ ૭૨ ઉપગ્રહો છોડયા છે. આટઆટલા ઉપગ્રહો ઉપરાંત ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન-૧ અને ૨૦૧૩માં મંગળયાનનું સફળ પ્રક્ષેપણ કરીને દુનિયાને આપણી અંતરીક્ષ તાકાત દેખાડી દીધી છે. પોતાના પહેલાં બે-ત્રણ ઉપગ્રહો છોડવા માટે વિદેશી લોન્ચિંગ સ્ટેશન પર આધાર રાખનાર ભારત આજે વિદેશી ઉપગ્રહો લોંચ કરવાની વરદી મેળવીને વર્ષે દસ-દસ ઉપગ્રહ છોડતો થઈ ગયો છે. આનંદો!

ભારતીય અંતરીક્ષ વિજ્ઞાાનના જનક અને વિઝનરી ગુજરાતી વિજ્ઞાાની ડો. વિક્રમ સારાભાઈનો જય હો!

(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 19મી એપ્રિલ, 2015ના રોજ પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment