Showing posts with label ખુશી. Show all posts
Showing posts with label ખુશી. Show all posts

Tuesday, June 21, 2016

સૌમ્ય સત્યાગ્રહીની શાણી ફિલસૂફી

દિવ્યેશ વ્યાસ


વર્ષ 2015માં પ્રથમ વિશ્વ યોગ દિવસ અને દલાઈ લામાના 80મા જન્મ દિનનો સુભગ સમન્વય સધાયો હતો

 
(તસવીર ‘હફિંગ્ટન પોસ્ટ’ની વેબસાઇટ પરથી મેળવેલી છે)

આશરે સાડા પાંચ દાયકાથી નિરાશ્રિત જીવન જીવતા હોવા છતાં તિબેટિયનોના ૧૪મા ધર્મગુરુ એવા દલાઈ લામા પ્રત્યે સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિને બદલે સન્માનની ભાવના જોવા મળે છે, એ જ તેમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. આજે સમગ્ર વિશ્વમાં ધર્મના નામે ધિક્કાર વધારે ફેલાવવામાં આવે છે ત્યારે દલાઈ લામા એક એવું વ્યક્તિત્વ છે, જે પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ અસ્ખલિતપણે વહાવી રહ્યા છે. ધર્મને પોથીપંથી કે જડ પરંપરાવાદી બનાવવાને બદલે સતત વહેતી કરુણાની નદી જેવો રાખવા માટેની તેમની મથામણ જ સૌને તેમના પ્રત્યે માન ઉપજાવે છે. બુદ્ધનો ૭૪મો અવતાર ગણાતા દલાઈ લામાને આજે યાદ કરવાનું વિશેષ નિમિત્ત છે, તેમનો ૮૦મો જન્મદિવસ. આમ તો દલાઈ લામાનો જન્મદિવસ છઠ્ઠી જુલાઈએ આવશે, પરંતુ તિબેટિયન તારીખિયા અનુસાર પાંચમા ચંદ્ર માસનો પાંચમો દિવસ દલાઈ લામાનો જન્મદિન છે, જે આ વર્ષે (2015) ૨૧મી જૂને એટલે કે આજે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હંમેશાં પ્રસન્ન યોગમાં રાચતા સૌમ્ય સત્યાગ્રહી એવા દલાઈ લામાના જન્મદિવસે અનોખો સંયોગ રચી આપ્યો છે.

મહાત્મા ગાંધીના વિચારોને અનુસરનારા દલાઈ લામાને પોતાના 'રાજપાટ' પડાવી લેનારા ચીન પ્રત્યે પણ સહેજેય કડવાશ નથી, ઊલટું તેઓ ચીનને એક મહાન દેશ ગણાવવાની ઉદારતા દાખવી શકે છે, એટલું જ નહીં ભારત-ચીનની દોસ્તીને દ્વેષરહિત દિલે આવકારી શકે છે. હા, ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ અને દુનિયાના દેશોએ એ માટે મથવું જોઈએ, એવું આંતરરાષ્ટ્રીય મંચો પરથી કહેવાનું સાહસ દાખવવામાં તેઓ કદી પાછા પડતા નથી.

દલાઈ લામા આજે બૌદ્ધધર્મીઓના જ નહીં કરોડો લોકોના આદર્શ-સન્માનનીય વ્યક્તિ છે. ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં દલાઈ લામાનો સમાવેશ થાય છે. એ જ બતાવે છે કે આજની યુવા પેઢીને તેમના વિચારો આકર્ષી રહ્યા છે. દલાઈ લામાના ૮૦મા જન્મદિનની ઉજવણીમાં આપણે ભલે ધર્મશાળા ન જઈ શકીએ, પરંંતુ તેમની ફિલસૂફી જાણીને હેપ્પી બર્થડે જરૂર મનાવી શકીએ.

પ્રસન્નતા પર બેસ્ટસેલર પુસ્તકો લખનારા દલાઈ લામા દૃઢપણે માને છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે." જોકે, ખુશી કે પ્રસન્નતા બાબતે તેઓ બહુ સ્પષ્ટ છે. "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે." દલાઈ લામા ખુશીની ચાવી પણ આપે છે, "તમે જો અન્યોનેે ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો."

દલાઈ લામાની સમગ્ર ફિલસૂફી ભગવાન બૌદ્ધની કરુણા અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતના પાયા પર ઊભેલી જોવા મળે છે. તેઓ કહે છે, "બને ત્યાં સુધી દયાવાન બની રહો અને દયાવાન બની રહેવું હંમેશાં શક્ય છે." સંગઠિત ધર્મનાં દૂષણોથી વાકેફ દલાઈ લામા ખુદ ધર્મગુરુ હોવા છતાં બિન્ધાસ્તપણે કહી શકે છે, "તમે કોઈ એક વિશેષ શ્રદ્ધા કે ધર્મમાં આસ્થા રાખતા હોવ તો એ સારી વાત છે, બાકી તમે તેના વિના પણ જીવતા રહી શકો છો." તેઓ દૃઢપણે માને છે કે, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં."

તેમણે કહ્યું છે, "નથી મંદિરોની જરૂર કે નથી જટિલ તત્ત્વજ્ઞાાનની. મારું દિમાગ અને મારું દિલ મારાં મંદિરો છે અને મારી ફિલસૂફી છે - કરુણા." દુનિયાના ચોથા ક્રમના સૌથી મોટા ધર્મ એવા બૌદ્ધના ધર્મગુરુ હોવા છતાં દલાઈ લામા એમ નથી કહેતા કે મારો ધર્મ બૌદ્ધ છે, તેઓ કહે છે, "મારો ધર્મ બહુ સરળ છે, મારો ધર્મ કરુણા છે." દુનિયાના દરેક ધર્મ શાશ્વત માનવમૂલ્યોની જ વાત કરે છે, છતાં પણ દરેક ધર્મગુરુ માનવમૂલ્યોનો જ સંદેશ આપતા નથી. બધાય દલાઈ લામા જેવા થોડા હોય? કદાચ આજના વિશ્વની આ જ સૌથી મોટી કરુણતા છે!

(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિના 21મી જૂન, 2015ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, April 13, 2016

ખુશીઓને ઘણી ખમ્મા!

દિવ્યેશ વ્યાસ


ખૌફ અને ખુશી વચ્ચે ઝૂલતી દુનિયામાં આનંદ માટે જે સભાનતા વધી છે, એ આવકાર્ય છે


 (તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

આપણાં ઉપનિષદ અનુસાર 'આનંદ બ્રહ્મ છે. આનંદ સાચું જ્ઞાન છે.' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને થયેલાં સંબોધનોમાંનું એક સંબોધન 'સચ્ચિદાનંદઘન' છે. આપણી સંસ્કૃતિમાં આનંદને કેન્દ્રમાં રાખીને તત્ત્વવિચાર કરાયો છે. આમ તો દરેક ધર્મનો ઉદ્દેશ માનવજાતની ખુશહાલી રહ્યો છે. આજના વિશ્વમાં આતંક અને આનંદ વચ્ચે જંગ જામ્યો છે. જોકે, ખૌફ અને ખુશી વચ્ચે ઝૂલતી દુનિયામાં આનંદ માટેની સભાનતા વધી રહી છે, એ આવકાર્ય છે. આનંદ માટેની વ્યાપક સભાનતાના બે પુરાવા એપ્રિલના પહેલા સપ્તાહમાં મળ્યા. એક, મધ્યપ્રદેશમાં હેપીનેસ મંત્રાલય સ્થપાયું અને બીજા, સ્પેનના વડાપ્રધાને કામના કલાકોમાં કાપ મૂકવાની જાહેરાત કરી. બન્ને જાહેરાતોનો દેખીતો ઉદ્દેશ તો જનતાની ખુશહાલી છે.


મધ્યપ્રદેશ દ્વારા સ્થાપિત હેપીનેસ મંત્રાલય દેશનું પ્રથમ આવું મંત્રાલય બન્યું છે. જોકે, યુએઈમાં સરકાર દ્વારા હેપીનેસ મંત્રાલય ચાલે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વિકાસના ઇન્ડેક્સની જેમ હેપીનેસ ઇન્ડેક્સની પણ આકારણી શરૂ થઈ છે અને જીડીપીની સાથે સાથે હેપીનેસ ઇન્ડેક્સને પણ મહત્ત્વ મળવા લાગ્યું છે. ભૂતાન જેવો ભારતનો પાડોશી દેશ આર્થિક રીતે સધ્ધર નથી, પણ લોકોનાં સુખ-સંતોષનું સ્તર એટલું ઊંચું છે કે તે હેપીનેસ ઇન્ડેક્સમાં મેદાન મારી જાય છે. આર્થિક વિકાસદર અને ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ છે, પરંતુ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે 118મા ક્રમે છીએ. આવા સમયે મધ્યપ્રદેશ સરકારની પહેલ આવકાર્ય છે.



સ્પેનના વડાપ્રધાને પણ એક શકવર્તી નિર્ણય કરીને કામના કુલ કલાકોમાંથી બે કલાકનો કાપ મૂકીને લોકો વહેલાસર ઘરે પરત ફરી શકે એવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. સ્પેન જનારા જાણે છે કે ત્યાં રોજ બપોરે 'રાજકોટવાળી' થતી હોય છે, એટલે કે બપોરના ત્રણ કલાક વામકુક્ષી માટે ફાળવાય છે. લોકો સવારે 10 વાગ્યે કાર્યસ્થળે પહોંચે ને રાતે આઠ વાગ્યે છૂટા થાય, પણ વચ્ચે ત્રણ કલાક આરામના મળે. સ્પેન સરકારે હવે ત્રણ કલાકમાંથી બે કલાકનો કાપ મૂકીને કર્મચારીને સાંજે વહેલા ઘરે જવાની સુવિધા કરી આપી છે, જેથી તેઓ પરિવાર સાથે વધારે સમય વિતાવી શકે અને પરિવારમાં ખુશહાલી પ્રવર્તે.
સ્વિડન પણ સપ્તાહમાં 6 દિવસોમાં માત્ર 36 કલાક કામ કરાવવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. અમુક સંસ્થાઓમાં કામના 8ને બદલે 6 કલાક કરી દેવાથી કર્મચારીના વર્તન અને કાર્યક્ષમતા બાબતે સકારાત્મક પરિણામો સાંપડ્યાં છે ત્યારે તેઓ દિશામાં આગળ વધવા ઉત્સુક છે.


(આનંદ-ઉત્સાહને વ્યક્ત કરતું પિંકી પુનિયાનું પેઇન્ટિંગ)

દુનિયામાં દરેક વ્યક્તિને સુખી-ખુશહાલ જીવન મળે માટેનાં સંસાધનોની કમી નથી, અસલી સમસ્યા આપણી માનસિકતા અને મેનેજમેન્ટની છે. લોકોને કામના કલાકો ઘટતાં સુખ મળી જશે કે પછી હેપીનેસ મંત્રાલય સૌની જિંદગીને હેપી હેપી કરી દેશે, એવી અપેક્ષા રાખી શકાય નહીં. આમેય સરકારી વ્યવસ્થા થકી ઘરે નળમાંથી ટપકતું પાણી વરસાદ જેવો આનંદ કે આહ્લાદકતા ક્યારેય આપી શકે નહીં. સત્યના સૂરજથી તપેલાં ભલાઈનાં વૃક્ષોની તપસ્યા થકી બંધાયેલાં સ્નેહનાં વાદળાં જ્યારે કરુણા રૂપે વરસે છે ત્યારે સાચું સુખ અને આનંદ અનુ‌ભવાય છે. આનંદ વિશે ઓશો રજનીશે કહેલી વાત યાદ રાખવા જેવી છે, 'આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે હોય તોપણ તમે ધારો તો બીજાને આપી શકો છો.' આનંદ વહેંચવાથી વધે છે, તો તમે જાણો છોને?
(‘દિવ્ય ભાસ્કર’ની 13મી એપ્રિલ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)