Showing posts with label braille mobile phone. Show all posts
Showing posts with label braille mobile phone. Show all posts

Wednesday, May 25, 2016

ત્રીજા નેત્ર સમી તકનીક

દિવ્યેશ વ્યાસ


મે-2014માં યુરોપની એક મોબાઇલ કંપનીએ 3D પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ ફોન લૉન્ચ કર્યો હતો. શું આ ફોન ભારતમાં ઉપલબ્ધ બન્યો છે?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

શારીરિક રીતે વિકલાંગ લોકો માટે સહાનુભૂતિ હોય છે, પરંતુ તેમને સક્ષમ બનાવવા માટેની સભાનતાનો અભાવ પ્રવર્તતો હોય છે. વિકલાંગ લોકો સુધી તકનીકી વિકાસનાં ફળ પહોંચતાં નથી હોતાં ત્યારે પ્રજ્ઞાાચક્ષુઓ માટે વિકસાવાયેલા થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ મોબાઇલે ઘણી મોટી આશા જગાવી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ વિશ્વમાં આશરે ૨૮ કરોડ ૫૦ લાખ લોકો નબળી આંખો ધરાવે છે. આમાંથી ૨૪ કરોડ ૬૦ લાખ લોકો વધુ-ઓછી દૃષ્ટિ ધરાવે છે, પણ ૩ કરોડ ૯૦ લાખ લોકો તો સાવ નેત્રહીન છે. વિશ્વની કુલ વસતીની દૃષ્ટિએ આ આંકડો બહુ મોટો નહીં ગણાય, પરંતુ એક સંખ્યા તરીકે આ આંકડો અનેક નાના દેશોની વસતી કરતાં પણ મોટો છે.
 
આંખ વિના તો સાવ અંધારું. આંખ નથી તો નથી રંગનો કંઈ અર્થ કે નથી આકારનો કોઈ મતલબ. જોકે, આંખ વિના પણ જીવન તો હોય જ છે! જીવન શું શું નથી માગતું? આંખ ન હોવા છતાં જીવનમાં આનંદ વિના ચાલતું નથી, સંબંધો અને સંપર્કો વિના ચાલતું નથી, સુવિધા વિના ચાલતું નથી કે નથી ચાલતું સિદ્ધિઓ હાંસલ કર્યા વિના. અલબત્ત, આંખ ન હોય ત્યારે અવરોધોનો કોઈ પાર હોતો નથી.

આપણા સમાજમાં વિકલાંગ લોકો માટે સૌનાં દિલમાં સહાનુભૂતિ તો ચોક્કસ હોય છે, પરંતુ તેમની જિંદગી કઈ રીતે સુગમ બને, તેઓ કઈ રીતે સશક્ત બની શકે, કઈ રીતે તેઓ પોતાની ખામીને ઈગ્નોર કરીને આગળ વધી શકે, એ અંગેની સભાનતાનો મોટા ભાગે અભાવ પ્રવર્તતો હોય છે. આપણે મકાન-ઇમારત બાંધતી વખતે ભાગ્યે જ ધ્યાન રાખીએ છીએ કે અંધ-અપંગ લોકોને તે અનુકૂળ આવશે કે નહીં. આપણી શાળા-દવાખાનાની રચનામાં પણ પ્રજ્ઞાાચક્ષુ-વિકલાંગ લોકોની સુગમતા માટે ભાગ્યે જ કોઈ વિશેષ સુવિધા ઊભી કરવાની સભાનતા જોવા મળતી હોય છે. જાહેર રસ્તા હોય કે બસસ્ટેન્ડ જેવાં જાહેરસ્થળો પર પણ વિકલાંગોની સુગમતા માટે કોઈ વ્યવસ્થા દેખાતી નથી. આ દુઃખદ બાબત છે. આ એક વર્ગની ચોખ્ખી અવગણના જ ગણાય. શું માનવજાતે સાધેલી પ્રગતિનાં ફળ ખાવા માટે વિકલાંગ લોકો હકદાર નથી? જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં થોડી ઘણી જાગૃતિ વધી છે, જેનો શ્રેય વિકલાંગ લોકો માટે કાર્યરત સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓને આપવો પડે.

મે-2014માં પ્રક્ષાચક્ષુ લોકો માટે એક શુભ સમાચાર જાણવા મળ્યા હતા. લંડનની ઓન ફોન નામની કંપનીએ પ્રજ્ઞાાચક્ષુઓ માટે વિશ્વનો પ્રથમ થ્રી-ડી પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ ફોન માર્કેટમાં મૂક્યો છે. આ મોબાઇલ ફોનથી પ્રજ્ઞાાચક્ષુ બંધુઓ પણ હવે આસાનીથી મોબાઇલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવી શકશે અને પોતાના મિત્રો-સંબંધીઓના સંપર્કમાં રહી શકશે. બ્રેઇલ ફોન નામ સાંભળીને જ અંદાજ આવી જાય છે કે તેમાં બ્રેઇલ લિપિનો સમાવેશ થતો હશે. હા, આ ફોનમાં કોનો ફોન આવી રહ્યો છે, તેવી વિગતોથી માંડીને મળેલા એસએમએસને બ્રેઇલ લિપિમાં વાંચી શકાશે. બ્રેઇલ લિપિ એટલે ટપકાં ટપકાંથી રચાતી સંજ્ઞાાઓવાળી લિપિ, જેને સ્પર્શીને પ્રજ્ઞાાચક્ષુ લોકો લખેલું વાંચી શકે છે. વાચકોને હવે એ જાણવામાં રસ પડી શકે કે મોબાઇલમાં બ્રેઇલ સંજ્ઞાાઓ કઈ રીતે ઉપસશે. આ મોબાઇલની ઉપલી અને નીચલી સપાટીને થ્રી-ડી પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બનાવાઈ છે. થ્રી-ડી પ્રિન્ટરની મદદથી જ મોબાઇલ પર બ્રેઇલ લિપિમાં લખાણ ઉપસી આવશે, જેને પ્રજ્ઞાાચક્ષુ મિત્રો આસાનીથી ઉકેલીને સંદેશાની આપ-લે કરી શકશે. બધા પ્રજ્ઞા ચક્ષુ લોકો બ્રેઇલ લિપિ જાણતા હોય, એવું જરૃરી નથી, એ વાસ્તવિકતા જોઈને કંપનીએ થ્રીડી પ્રિન્ટરની મદદથી અક્ષરો (સ્પેલિંગ) ઉપસાવી શકાય, એવો વિકલ્પ પણ તૈયાર રાખ્યો છે. આ ઉપરાંત અગત્યના બે-પાંચ સંપર્ક નંબર પહેલેથી જ ફિટ કરાવી શકાય અને અન્ય સુવિધાઓ પણ એડજસ્ટ કરાવી શકાય, એવી વ્યવસ્થા ગોઠવી છે. નિષ્ણાતો માને છે કે થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીને કારણે આ ફોન સસ્તો બનાવી શકાયો છે. નાનો અને અનેક રંગોમાં ઉપલબ્ધ બ્રેઇન ફોન બ્રિટનમાં ૬૦ પાઉન્ડની કિંમતે (રૂ. ૬૦૦૦) ઉપલબ્ધ છે. આમ, પ્રમાણમાં ગરીબને પણ આ કિંમત પરવડે એવી છે.

માર્કેટમાં વિશ્વનો પ્રથમ બ્રેઇલ ફોન આવી ગયો છે, પરંતુ અહીં ગૌરવ થાય એવી વાસ્તવિકતા એ છે કે બ્રેઇલ ફોનનો કોન્સેપ્ટ એક ભારતીય યુવાને વિકસાવ્યો હતો. અમદાવાદની એનઆઈડીમાં જ ભણેલા સુમિત ડગરની મહેનતના પરિણામે ભારતીય આઈટી કંપની ક્રિયેટે ૨૦૧૩માં બ્રેઇલ ફોનનો નમૂનો રજૂ કરીને અંધજનોને પોતાના સ્માર્ટ ફોનની આશા જગાવી હતી. સુમિતે ઇન્ટયુટિવ હેપ્ટિક ફીડબેક ટેક્નોલોજીની મદદથી બનાવેલા સ્માર્ટ ફોનમાં કી-પેડ બ્રેઇલ લિપિમાં હતું. મળતા ઈ-મેઇલ અને એસએમએસ બ્રેઇલ લિપિમાં કન્વર્ટ થાય, એવી તકનીક વિકસાવાઈ હતી. તેમાં અપાતા કમાંડ અંગેની સૂચના બીપ કે વાઇબ્રેશનથી મળતી હતી, જેથી પ્રજ્ઞાાચક્ષુ આસાનીથી ઓપરેટ કરી શકે.

વિશ્વના કુલ પ્રજ્ઞા ચક્ષુઓમાંના બાવીસ ટકા ભારતમાં વસે છે ત્યારે આશા રાખીએ કે આપણા દેશમાં પણ બ્રેઇલ ફોન ઝડપથી મળવા માંડે. આમીન!


(‘સંદેશ’ની 25 મે, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)