Showing posts with label ગરમી. Show all posts
Showing posts with label ગરમી. Show all posts

Wednesday, May 30, 2018

શીતળતા આપે એવી શોધ

દિવ્યેશ વ્યાસ


ઉત્તર પ્રદેશની 16 વર્ષની દીકરી કલ્યાણીએ એવું દેશી એસી બનાવ્યું છે, જે સસ્તું છે અને સૌર ઊર્જાથી ચાલે છે




સમાજ તરીકે આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે વૈજ્ઞાનિક અભિગમથી વિચારવાની અને વ્યવસ્થાપકીય ઉકેલો શોધવાની બાબતે ઘણા કાચા પડીએ છીએ. એવી અનેક સમસ્યાઓ છે, જેનો આપણે સદીઓથી સામનો કરતા આવ્યા છીએ અને છતાં તેનું વ્યાવહારિક સમાધાન શોધી શકતા નથી. આપણે આગે સે ચલી આઈની માનસિકતામાં રાચીએ છીએ અને કશું નવું વિચારવા બાબતે ઉદાસીન રહીએ છીએ. આવી ઉદાસીનતાને કારણે જ આપણે વૈજ્ઞાનિક શોધ-સંશોધનોની બાબતે અનેક ગરીબ દેશો કરતાં પણ પાછળ છીએ.

ગુજરાત પહેલેથી દુષ્કાળપીડિત રાજ્ય રહ્યું છે, છતાં જળસંચયની બાબતે આપણે આજે પણ ફાંફા મારીએ છીએ, એ હકીકત છે. ઉનાળાની ગરમી બાબતે પણ આપણું વલણ સમસ્યા-ઉકેલનું નહિ, પણ સહન કર્યા કરવાનું રહ્યું છે. દુનિયાના એવા કેટલાક દેશો છે, જ્યાં માઇનસમાં ઠંડી રહેતી હોય છે. એવા દેશોમાં ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરે પણ હિટરની વ્યવસ્થા હોય છે. માત્ર ઘર જ નહિ, રેલવે સ્ટેશન સહિતની જાહેરજગ્યાઓ પણ સેન્ટ્રલી હિટર ધરાવતી હોય છે. આપણે ત્યાં ઉનાળામાં અમદાવાદ સહિતનાં શહેરોમાં અગનગોળા વરસતા હોય છે. આપણી ધાર્મિક વૃત્તિને કારણે પાણીની પરબો ચોક્કસ બંધાય છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ લોકોના ઘર પણ ઠરે એ માટે કોઈ વિશેષ પગલાં ભરવામાં આવતાં નથી. એક વડીલે (લલિતભાઈ લાડ) થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા એક વિદેશીની વાત કરી, જેમને આશ્ચર્ય થયું હતું કે અહીં આટલી બધી ગરમી પડે છે અને અધૂરામાં પૂરું મોંઘા ભાવના વિદેશી બ્રાંડના ફ્રિજ વેચાઈ રહ્યાં છે, છતાં તમારી સરકાર દરેક પરિવારને સસ્તા દરે ફ્રિજ મળી રહે, એ માટે કોઈ તકનીક વિકસાવવા કેમ પ્રયાસો નથી કરતી? કાળઝાળ ગરમીમાં ફ્રિજ ઉપરાંત એસી પણ હવે લક્ઝરી નહિ પરંતુ જરૂરિયાત બની ગયું છે.

ગુજરાતમાં તો ખબર નથી, પરંતુ ઉત્તરપ્રદેશના બુંદેલખંડ પ્રદેશની નવમા ધોરણમાં ભણતી કલ્યાણી શ્રીવાસ્તવ નામની તરુણીને વિચાર આવ્યો કે ગરમીથી ત્રસ્ત મારા પ્રદેશના લોકોને સસ્તા દરે એસી ઉપલબ્ધ થવું જોઈએ અને તેણે એ માટે પ્રયાસો શરૂ કર્યા. તેણે દેશી એસીનું મૉડલ તૈયાર કરવા માટે એક પછી એક અખતરા-પ્રયોગો કર્યા. બે વર્ષના અંતે તે જ્યારે 11મા ધોરણમાં લોકમાન્ય તિલક ઇન્ટર કૉલેજ, ઝાંસીમાં ભણતી હતી ત્યારે સૌર ઊર્જાથી ચાલતું દેશી એસીનું મૉડલ તૈયાર કર્યું. તેનું આ મૉડલ વિજ્ઞાન મેળામાં રજૂ કરવામાં આવ્યું અને તેનાથી શિક્ષકો અને વિજ્ઞાનીઓ એટલા પ્રભાવિત થયા કે તેનું મૉડલ આઈઆઈટી, દિલ્હીના રાષ્ટ્રીય સ્તરની મૉડલ કોમ્પિટિશનમાં પસંદગી પામ્યું. વર્ષ 2016માં દિલ્હીમાં આયોજિત બાળ વિજ્ઞાન મેળામાં દેશ-વિદેશના વિજ્ઞાનીઓ અને તકનીક-નિષ્ણાતો પણ કલ્યાણીના મૉડલની પ્રશંસા કર્યા વિના ન રહી શક્યા. જાપાનના વિજ્ઞાનીઓ તો એટલા પ્રભાવિત થયા કે જાપાન સરકાર દ્વારા બાળ વિજ્ઞાની સંમેલન માટે તેને આમંત્રિત કરવામાં આવી હતી.

હવે વાત કરીએ કલ્યાણીના દેશી એસીની. આ એસીની રચના સરળ છે. થર્મોકોલના આઈસબોક્સમાં 12 વોલ્ટના ડીસી ફેન(પંખા)થી બહારની હવા બોક્સમાં મોકલવામાં આવે છે અને હવા ઠંડી થઈને એલ્બો દ્વારા બહાર ફેંકાય છે. કલ્યાણીએ પહેલા તો પંખો ચલાવવા માટે વીજળીનો ઉપયોગ કરેલો, પરંતુ પછી તેણે ગ્રામીણ વિસ્તારને ધ્યાનમાં રાખીને સૌરઊર્જા થકી ચાલે એવું મૉડલ વિકસાવ્યું. આ દેશી એસી એક કલાકમાં ખંડનું તાપમાન 4થી 5 ડિગ્રી ઘટાડી શકે છે. વર્ષ 2016માં આ દેશી એસી માત્ર 1850માં પડતું હતું, જેનો ખર્ચ આજની સ્થિતિ મુજબ કદાચ રૂ. 2500 સુધી પહોંચે. આમ, આ સસ્તું, ટકાઉ અને પર્યાવરણ-મિત્ર એસી છે.

અનેક એસી બનાવતી કંપનીઓએ કલ્યાણીનો સંપર્ક કરેલો છે, પરંતુ તે હજું આ મૉડલને વિકસાવવા અને ઉત્કૃષ્ટ બનાવવા માગે છે. આપણે આશા રાખીએ કલ્યાણી જેવા યુવા વિજ્ઞાનીઓ વધુ ને વધુ સક્રિય થાય, તેમને વિવિધ સંશોધનો કરવા માટે સરકાર અને સમાજ તરફથી પ્રોત્સાહન મળતું રહે અને આપણી સમસ્યાઓનો વૈજ્ઞાનિક અને વ્યવહારુ ઉકેલ લાવવા કોશિશ કરે. કલ્યાણીની ટેલેન્ટને સલામ!

(દિવ્ય ભાસ્કરની 30મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Monday, June 13, 2016

વર્ષાને વધાવજો : જળસિંચન જિંદાબાદ!

દિવ્યેશ વ્યાસ


આપણે સૌ વરસાદની કાગડોળે રાહ જોઈએ છીએ પણ વરસાદની વધામણી કરવાની સાચી રીત જાણીએ છીએ ખરા? વરસાદ નામના આશીર્વાદને જ્યાં ત્યાં વહી જવા થોડા દેવાય?


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

આ ઉનાળામાં સૂરજદાદા એવા તપ્યા એવા તપ્યા કે હમણાં સુધી લક્ઝરીમાં ખપતું એરકન્ડિશનર હવે જીવનજરૂરિયાતની ચીજ બની ગઈ! દેવું કરીને પણ કૂલર-એસીની હવા ખાવી પડે એવા કાળઝાળ દિવસો આપણે અનુભવી રહ્યા છીએ. ગરમીથી ત્રસ્ત લોકોના જીભે એક વાક્ય કૉમન છે, "ઉફ્ફ... આ ગરમી! હવે તો વરસાદ આવે તો સારું!" ગરમીની તમતમતી તીવ્રતાને લીધે વર્ષાના ઇંતેજારની તીવ્રતા અનેક ગણી વધી ગઈ છે.

વરસાદના વરતારાને સાચાં માનીએ તો આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારું-સંતોષકારક રહેવાનું છે. ગયા વર્ષે એક દાયકા પછી કુદરત ગુજરાતથી થોડી નારાજ જણાઈ હતી અને મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ઘણો ઓછો પડયો હતો. ઉનાળો હજુ તો શરૂ પણ નહોતો થયો ત્યાં સૌરાષ્ટ્રમાંથી પાણીના પોકારો ઊઠવા પામ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષો સારાં ગયાં હોવા છતાં કેટલાક કૃષિકારોએ જીવન ટૂંકાવ્યાની વસમી ઘટનાઓ પણ ઘટી હતી. આપણે ત્યાં સિંચાઈની સગવડો વધી હોવા છતાં આકાશી ખેતીનું પ્રમાણ ઘણું મોટું છે. સિંચાઈ માટે કૂવા-બોરની સગવડ ઊભી થઈ છે તો સામે ભૂતળ વધારે ને વધારે ઊંડાં થતાં ગયાં છે. આમ, રાજ્ય અને દેશના અર્થતંત્ર માટે આજે પણ સારું ચોમાસું અનિવાર્ય છે.

ચોમાસું કેરળથી આગળ નીકળી ગયું છે ત્યારે વરસાદ હવે વધારે રાહ નહીં જોવડાવે, એવું લાગે છે. વરસાદને વધાવવા આપણે તલપાપડ છીએ, પણ શું આપણે વરસાદની વધામણી કરવાની સાચી રીત જાણીએ છીએ ખરા? કોઈ માસૂમ યુવાન કહી શકે, હા અમે તો વરસાદને બહુ એન્જોય કરીએ છીએ, વરસાદ પડે કે તરત મિત્રો સાથે નહાવા નીકળી પડીએ છીએ, ભજિયાં, દાળવડાં અને મકાઈની મોજ માણીએ છીએ, ગરમાગરમ ચાની ચૂસ્કી અને જલસો... જલસો. .. વર્ષાની વધામણીની આ રીત ખોટી નથી, પણ અધૂરી જરૂર ગણાય. વરસાદના પાણીથી ભીંજાઈને મોજમસ્તી જરૂર માણીએ પણ સાથે સાથે અમૃત સમાં વરસાદી પાણીને નક્કામું વહી જતું પણ અટકાવીએ.

આજે જ્યારે બોટલ્ડ વોટર માટે પરિવારદીઠ મહિને ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા ખર્ચાવા લાગ્યા છે, એક લિટર પાણીની બોટલ માટે ૧૫થી ૨૦ રૂપિયા ચૂકવવા પડે છે, છતાં લોકોને વરસાદના એકદમ પ્યોર અને પ્રદૂષણમુક્ત પાણીની કિંમત કેમ નહીં સમજાતી હોય? એવો પ્રશ્ન મનમાં જાગ્યા વિના રહેતો નથી. અનમોલ વરદાન સમા વરસાદી પાણીને એમ વહી જવા થોડું દેવાય? છતાં પણ કાં તો આપણી સભાનતા-સક્રિયતાના અભાવે કે પછી વરસાદી પાણીના સંગ્રહ માટેની પદ્ધતિના જ્ઞાનના અભાવે આપણે વરસાદી પાણીને વેડફાવા દેતા હોઈએ છીએ. વરસાદ વખતે છતના પાણીને બહુ સાદી રીતોથી આપણે ખાનગી બોરવેલમાં વહાવીને બોરવેલને રિચાર્જ કરી શકીએ છીએ તથા શુદ્ધ પાણીને ટાંકામાં ભરી રાખીને આખું વર્ષ ચોખ્ખું પાણી પી શકીએ છીએ. ગ્રામીણ વિસ્તારનાં ઘરો કે શહેરી વિસ્તારનાં બંગલા-ટેનામેન્ટમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ શુદ્ધ પાણી વગરપૈસે મેળવી શકાય છે. તાજેતરમાં બેંગલુરુના એ.આર. શિવાકુમાર નામના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સાથે સંકળાયેલા ભાઈની સ્ટોરી વાંચવા મળી હતી, જેઓ વરસાદી પાણીનો આખા વર્ષ માટે સંગ્રહ કરે છે અને છેલ્લાં ૧૯ વર્ષથી તેમણે નગરપાલિકાનો પાણીવેરો ભરવો પડયો નથી! શહેરી વિસ્તારમાં જ્યાં લોકો ફ્લેટ-એપાર્ટમેન્ટ્સમાં વસે છે, તેઓ અંગત ધોરણે કદાચ વરસાદી પાણીનો સંચય ન કરી શકે પણ સામૂહિક ધોરણે તો સોસાયટીની અગાશીઓ પર વરસતા પાણીને બોરવેલ કે ખંભાતી કૂવામાં વાળીને જળસ્તર ઊંચું લાવી શકે છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વાત આપણા માટે નવી ન ગણાવી જોઈએ, અમદાવાદ સહિતનાં જૂનાં નગરોનાં ઘરો-હવેલીઓમાં વરસાદી પાણીના વિશાળ ટાંકાઓ આજેય જોવા મળે છે. કેટલાંક ઘરોમાં તો નાની કૂઈ જોવા મળે છે, જે પાણીનો એકમાત્ર છતાં સાબૂત સ્રોત હતો. એક અંદાજ પ્રમાણે દરેક ઘરની અગાશી પર એટલું તો પાણી વરસતું જ હોય છે કે જો તેનો સંગ્રહ કરવામાં આવે તો એક પરિવારને આખું વર્ષ પીવાનું પાણી આસાનીથી મળી જાય છે. જૂની પરંપરાને નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ સજીવન કરવાની જરૂર છે. વરસાદ આવવાને આડે હજુ એટલા દિવસો તો બચ્યા જ છે કે તમે જળસિંચન માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી શકો. અનેક એનજીઓ અને ખુદ સરકાર પણ આ માટે માર્ગદર્શન અને મદદરૂપ બને છે. તો ચાલો, વર્ષાને ખરા અર્થમાં વધાવવા તૈયાર થઈ જાઓ. જળસિંચન જિંદાબાદ! 

(આ ‘સમય સંકેત’ કૉલમ ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 8મી જૂન, 2013ના રોજ પ્રસિદ્ધ થઈ હતી.)