દિવ્યેશ વ્યાસ
બિરસા મુંડાની ખરી મુક્તિ દેશના વનવાસીઓના રોજિંદા સંઘર્ષના સકારાત્મક અંતમાં છે
(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)
ગયા સપ્તાહે બિરસા મુંડા સમાચારોમાં ચમક્યા હતા. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો કે બિરસા મુંડાની પ્રતિમાઓ બેડીઓથી મુક્ત થવી જોઈએ. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું હતું કે બેડીઓથી જકડાયેલી બિરસા મુંડાની પ્રતિમાઓ અંગ્રેજોની ગુલામીની પ્રતીક છે, જેનાથી આજની યુવા પેઢીની મનોભાવના પર ખરાબ અસર પડી શકે છે. એટલે બેડીઓમાં જકડાયેલા બિરસા મુંડાની તસવીરો અને પ્રતિમાઓને તત્કાળ હટાવી દેવામાં આવશે. બિરસા મુંડાના મૃત્યુના આશરે 116 વર્ષ પછી તેમની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવામાં આવશે, એ ચોક્કસ આવકાર્ય ઘટના છે. જોકે, વિચારવાનો અને શરમજનક મુદ્દો એ છે ઇતિહાસના આ અવગણાયેલા વીરની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવાનો વિચાર આપણને આઝાદીના સાત દાયકા પછી આવ્યો છે!
આદિવાસી સમાજમાં ‘ધરતીબાબા’ તરીકે પૂજાતા બિરસા મુંડાએ અંગ્રેજોની જળ, જમીન અને જંગલમાં ખોટી દખલ અને દાદાગીરી સામે સંઘર્ષ માંડ્યો હતો. બિરસાના નેતૃત્વમાં 1897થી 1900 દરમિયાન મુંડાઓ અને અંગ્રેજી સૈનિકો વચ્ચે અનેક નાની-મોટી લડાઈઓ થઈ હતી અને મુંડાઓએ અનેક લડાઈ જીતી હતી. અંગ્રેજોની બંદૂકો અને તોપો સામે વિષયુક્ત તીરોથી તેમણે શૌર્યપૂર્ણ સંઘર્ષ કર્યો હતો. બિરસાએ માત્ર અંગ્રેજો સામે જ નહિ, સામંતી અને જમીનદારી પ્રથાને કારણે થતાં આદિવાસીઓના શોષણ સામે પણ સંઘર્ષ આદર્યો હતો. બિરસાના ‘ઉલગુલાન’ (ભારે કોલાહલ અને ઊથલપાથલ) આંદોલનનો અંત 3 ફેબ્રુઆરી, 1900ના રોજ તેમની ચક્રધરપુરમાં થયેલી ધરપકડ બાદ આવ્યો હતો. 9મી જૂન, 1900ના રોજ માંડ 25 વર્ષના બિરસાને રાંચીની જેલમાં જ શહીદી પ્રાપ્ત થઈ હતી. કહેવાય છે કે તેમને અંગ્રેજોએ ધીમું ઝેર આપ્યું હતું.
ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને આજે ભગવાન તરીકે પૂજવામાં આવે છે. બિરસા મુંડાની ખરી મુક્તિ ઇચ્છતા હોઈએ તો દેશના આદિવાસીઓને શોષણમુક્ત કરવા પડશે, તેમને તેમના અધિકારો સોંપવા પડશે. તેમને સન્માનપૂર્ણ-ભેદભાવમુક્ત જીવન જીવવાની તક આપવી પડશે. શું આ માટે આપણે પ્રતિબદ્ધ છીએ?
(‘દિવ્ય ભાસ્કર’ની 8 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
No comments:
Post a Comment