Showing posts with label અરુણા શાનબાગ. Show all posts
Showing posts with label અરુણા શાનબાગ. Show all posts

Wednesday, March 14, 2018

અરુણા જીવ્યાં, એવું કોઈ ન જીવો

દિવ્યેશ વ્યાસ

અરુણા શાનબાગ 42 વર્ષ સુધી બેસહારા-લાચાર જીવન જીવ્યાં હતાં. ઈશ્વર આવું જીવન કોઈને ન આપે!

(અરુણા શાનબાગનો આ સ્કેચ www.dnaindia.com પરથી લીધેલો છે.)

ગત 9મી માર્ચ, શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ માટે એક ગાઇડલાઇન જાહેર કરતાં કહ્યું કે દરેક વ્યક્તિને ગરિમાપૂર્વક મરવાનો અધિકાર છે. વધુ ઇલાજ શક્ય જ ન હોય એવી મરણાસન્ન વ્યક્તિને હવે કૃત્રિમ જીવન સહાયક વ્યવસ્થા (લાઇફ સપોર્ટ સિસ્ટમ) થકી રિબાવું નહીં પડે. વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની મરજીથી ઇલાજ અટકાવીને શાંતિપૂર્વક મૃત્યુને શરણે જઈ શકે, એ માટેનો કાનૂની માર્ગ મોકળો થયો છે.

સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય ખંડપીઠના આ ચુકાદા પછી મીડિયામાં સૌથી વધુ ચર્ચા જો કોઈની થઈ હોય તો તે અરુણા શાનબાગની થઈ રહી છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં જ પરલોક સિધાવી ગયેલાં અરુણાબહેનની ચર્ચા થવી સ્વાભાવિક હતી, કારણ કે તેમના કેસને કારણે જ આપણા દેશમાં ઇચ્છામૃત્યુ અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું.

અરુણાબહેનની કરુણ કથની ટૂંકમાં જોઈએ તો કર્ણાટકની આ આશાસ્પદ યુવતી મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં જુનિયર નર્સ તરીકે જોડાઈ હતી. આ કોડભરી યુવતીનાં ટૂંક સમયમાં લગ્ન પણ થવાનાં હતાં. જોકે, 27 નવેમ્બર, 1973ની એ રાતે તેની જિંદગીમાં કાયમ માટે અંધારા ફેલાવી દીધાં. એ રાતે નોકરી પતાવીને તે હોસ્પિટલના બેઝમેન્ટમાં કપડાં બદલી રહી હતી ત્યારે સ્વીપર તરીકે ફરજ બજાવતા સોહનલાલ નામના સફાઈકર્મીએ તેના પર હુમલો કર્યો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. અરુણાને વશ કરવા માટે સોહનલાલે કૂતરાં બાંધવાની ચેઇનથી તેનું ગળું દબાવવાની કોશિશ કરેલી, જેને કારણે મગજને ઓક્સિજન પહોંચાડતી નળી દબાઈ ગયેલી. જાતીય હુમલાથી હેબતાઈ ગયેલી અને આ રીતે ગંભીરપણે ઘાયલ થનાર અરુણા બેભાન થઈ ગઈ અને પછી તેને સો ટકા ભાન ક્યારેય ન આવ્યું. મૃત્યુપર્યંત ન તે બોલી શક્યાં, ન હાથ-પગ પણ હલાવી શક્યાં. બસ, માત્ર શ્વાસ ચાલી રહ્યા હતા.

દાયકાઓથી અર્ધબેભાન (કોમા) અવસ્થામાં કેઈએમ હોસ્પિટલમાં માંડ માંડ જીવી રહેલાં અરુણાબહેન અંગે કર્મશીલ પત્રકાર પિંકી વિરાણીએ ‘અરુણાઝ સ્ટોરી : ટ્રુ એકાઉન્ટ ઑફ રેપ એન્ડ ઇટ્સ આફ્ટરમાથ' નામનું પુસ્તક લખ્યું હતું. પુસ્તક લેખનની પ્રક્રિયા દરમિયાન પિંકીબહેને જોયું કે અરુણા માટે તેના જીવન કરતાં મૃત્યુ વધારે સુખદાયી હોઈ શકે છે. તેમણે અરુણા માટે ઇચ્છામૃત્યુની અપીલ કરી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. જોકે, સુપ્રીમ કોર્ટે 7 માર્ચ, 2011ના રોજ આ અંગે ચુકાદો આપ્યો, જે ઇચ્છામૃત્યુ માટે શકવર્તી ગણાય છે, કારણ કે આ ચુકાદાએ આપણા દેશમાં પેસિવ યુથેનેસિયાનો માર્ગ આસાન કર્યો હતો. અલબત્ત, અરુણાબહેન પોતે પોતાના જીવન કે મૃત્યુ અંગે કંઈ પણ નિર્ણય લેવા તો શું, કહેવા પણ સમર્થ નહોતાં. વળી, તેમના વતી નિર્ણય લઈ શકે એવું કોઈ પરિવારજન તેમની સાથે ઊભું રહ્યું નહોતું. દાયકાઓથી અરુણાબહેનની સારસંભાળ લેનાર કેઈએમ હોસ્પિટલની નર્સો અને ડૉક્ટરો તેમને મોત તરફ ધકેલી દેવા તૈયાર નહોતાં, એવી સ્થિતિમાં તેમને મોત નસીબ નહોતું થયું. 18મી મે, 2015ના રોજ અરુણા શાનબાગે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે ગુજરાતી પત્રકાર પિંકી દલાલે પોતાના બ્લોગમાં બહુ માર્મિક વાત લખી હતી, ‘દિલ્હીનો નિર્ભયા કાંડ લોકો હજી ભૂલી શક્યા નથી, પણ નિર્ભયા અને અરુણામાં વધુ દુર્ભાગી કોણ એવી સરખામણી કરવાની આવે તો? નિર્ભયા પર થયેલો બળાત્કાર નિ:શંકપણે બર્બર, પણ એ છોકરી એક જ કારણસર અરુણા કરતાં વધુ નસીબદાર કે એ છૂટી ગઈ. મોત એની પીડા હરવા આવ્યું હોય તેમ ગણતરીના દિવસોમાં જ એને સાથે લઈ ગયું અને આ અરુણા? 42 વર્ષ સુધી મરવાને વાંકે જીવવું એ કેવી સજા? વિશ્વભરના મીડિયાએ કદાચ એ જ કારણસર આ અરુણાના અવસાનની નોંધ લેવી જરૂરી સમજી છે.’ ખરેખર અરુણાબહેને પોતાના જીવનમાં ખૂબ ખૂબ સહન કરવું પડેલું.

ઇચ્છામૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા આપી છે, પરંતુ સરકારે આ અંગેનો કાયદો બનાવવા વિધેયક ઘડીને સંસદમાંથી પસાર કરવું પડશે, એ ક્યારે થશે આપણે જાણતા નથી. આપણે આશા રાખીએ આ દિશામાં વહેલી તકે કાર્યવાહી થાય.

ખેર, અરુણા શાનબાગની કરુણ કથની જાણ્યા પછી સૌનાં દિલમાં એક જ વાત નીકળી શકે, અરુણા જીવ્યાં, એવું કોઈ ન જીવો!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી માર્ચ, 2018ની ‘કળશ’  પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ની મૂળ પ્રત)