Wednesday, April 26, 2017

પેરુમલ મુરુગન પોંખાય છે ત્યારે...

દિવ્યેશ વ્યાસ


પેરુમલ મુરુગનની જે કૃતિ પર કટ્ટરવાદીઓ પ્રતિબંધ લાદવા માગતા હતા, તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, એ શું સૂચવે છે?

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)


વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે - પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’

 પેરુમલ મુરુગનની આ પોસ્ટ સમગ્ર દેશમાં ચર્ચિત બની હતી. એક વ્યક્તિને જીવતેજીવ લેખક તરીકે મરી જવા મજબૂર કરે, એવા ઘટનાક્રમે સમગ્ર દેશના સાહિત્યકારો અને સંવેદનશીલ લોકોને ઝકઝોરી નાખ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડેલા પડઘા જોઈને કટ્ટરવાદીઓએ જાહેરમાં વિરોધ પ્રદર્શનો તો બંધ કર્યાં, પણ લેખક પર યેનકેન પ્રકારેણ દબાણ લાવવા અશ્લીલતા, ઈશનિંદાથી માંડીને ધાર્મિક લાગણી દુભાવવાના તેમજ સ્ત્રીના અપમાન સુધીના આરોપો લગાવીને પુસ્તકને પ્રતિબંધિત કરવા કેસ કર્યા હતા. તો સામે પીયુસીએલ જેવી સંસ્થાઓએ લેખકની તરફેણમાં તેમના રક્ષણ માટે કોર્ટકાર્યવાહીનો માર્ગ લીધો હતો. આખરે જુલાઈ-2016માં મદ્રાસ હાઇકોર્ટે પેરુમલ મુરુગન તરફી આપેલા સજ્જડ ચુકાદાએ સૌનાં મોં બંધ કરી દીધાં હતાં. પેરુમલ મુરુગન નામના લેખકના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો અને તેમણે ફરી હાથમાં કલમ પકડી હતી. મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો અભિવ્યક્તિની આઝાદીની લડાઈ માટેનો એક માઇલસ્ટોન ગણાયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મ-સંપ્રદાય કે જાતિ-સમાજના નામે જે કટ્ટરતા અને અસહિષ્ણુતા વધતી જાય છે ત્યારે આ ચુકાદો લેખકો-સર્જકો-કલાકારો માટે આઝાદ પંછીની જેમ ઊડવાનો જાણે પરવાનો લઈને આવ્યો હતો!

તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને  2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જોકે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.

જે પુસ્તક પર પ્રતિબંધ લાદવા માટે કટ્ટરવાદીઓ તરફથી ધમપછાડા કરવામાં આવ્યા, એ જ પુસ્તક જ્યારે રાષ્ટ્રીય સ્તરે પોંખાય છે ત્યારે કટ્ટરવાદીઓ-સંકુચિત સંસ્થાઓએ આત્મમંથન કરવું જોઈએ. કટ્ટરતા કોઈ એક ધર્મનો ઇજારો નથી. દરેક ધર્મમાં કટ્ટરવાદી પરિબળો હોય જ છે અને અમુક રાજકીય કારણસર તેમને પોષવામાં પણ આવતાં હોય છે. આપણો દેશ બહુ સહિષ્ણુ છે, એવા અધકચરા સત્યના સહારે ગૌરવમાં જ રાચવાનું આપણને પોષાય નહીં. અસહિષ્ણુતાના મામલાની મજાક ઉડાવનારાઓએ એક વખત પેરુમલ મુરુગનનો આખો કિસ્સો જાણવો જોઈએ.એક નાગરિક તરીકે આપણે કટ્ટરતાનો તો વિરોધ કરવો જ પડે, પણ સાથે સાથે એ કટ્ટરતાને પોષક એવાં પરિબળોને પણ શોધવા પડે, ઓળખવાં પડે અને ‘સુધારવાં’ પડે.

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment