Wednesday, January 31, 2018

બેન્ડથી બદલાઈ ગઈ જિંદગી

દિવ્યેશ વ્યાસ


પોતાની ગરીબીની બેન્ડ બજાવનાર બિહારના આ મહિલા જૂથે નારી સશક્તિકરણનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે

(સરગમ બેન્ડની આ તસવીરો જુદાં જુદાં અખબારોની વેબસાઇટ્સ પરથી મળી છે.)

‘સશક્તિકરણ’ (Empowerment) શબ્દ પણ ‘વિકાસ’ની જેમ જ  અનેક વિભાવનાઓ (Concepts) અને સિદ્ધાંતો (Theories) ધરાવે છે. વળી, સશક્તિકરણ અને વિકાસને માપવા-મૂલવવાના અનેક માપદંડો છે અને એટલે જ તેની ચર્ચા જરૂરી બનતી હોય છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી અમુક વંચિત-પછાત સમુદાયોના સશક્તિકરણની તેમજ ખાસ તો મહિલા સશક્તિકરણની વાતો ખૂબ સાંભળવા મળે છે. તાજેતરમાં બિહારના મહાદલિત સમુદાયના એક મહિલા જૂથે અનોખી સિદ્ધિ-પ્રસિદ્ધિ હાંસલ કરીને નારી સશક્તિકરણનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યુું છે.

બિહારની રાજધાની પટનાની નજીક દાનાપુર પંથકમાં ઢિબરા ગામ આવેલું છે. વિકાસથી વંચિત રહી ગયેલું અને માત્ર ખેતીવાડી પર નિર્ભર એવું આ નાનું-ગરીબ ગામ હવે સમગ્ર રાજ્યમાં નહિ, પરંતુ સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે. આ ગામની રવિદાસ સમુદાયની દસ મહિલાઓએ પૂર્વ ભારતનું સૌપ્રથમ મહિલા બેન્ડ તૈયાર કરીને નામના અપાવી છે. આપણે ત્યાં બેન્ડવાજા વગાડવવાનું કામ મોટા ભાગે પુરુષો દ્વારા જ કરવામાં આવતું હોય છે ત્યારે આ મહિલાઓએ સંપૂર્ણ મહિલા બેન્ડ ઊભું કરીને નવો ચીલો ચાતર્યો છે. આ બેન્ડનાં વડાં સવિતા દેવીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અમે બેન્ડ બનાવવાની તૈયારી કરતાં હતાં ત્યારે સમાજના લોકો અમારા પર હસતા હતા અને કહેતા હતા  કે આ તો પુરુષોનું કામ છે, તમે શા માટે કરો છો? અમે જવાબ આપતા કે આજે સ્ત્રીઓ ઑટોથી લઈને ટ્રેન ચલાવવા સુધીનાં તમામ કામો કરવા માંડી છે ત્યારે અમે બેન્ડવાળા કેમ ન બની શકીએ.’  બેન્ડ બનાવ્યું અને તેમનું આ સાહસ સફળ પણ રહ્યું છે  ત્યારે એ અંગે સવિતા દેવી કહે છે, ‘બેન્ડને કારણે અમારી જિંદગી બદલાઈ ગઈ  છે. બેન્ડના દરેક સભ્યને દર મહિને સરેરાશ 15,000ની આવક થઈ રહી છે. મહિલાઓ પોતાના દમ પર કમાતી થતાં પરિવાર અને ગામમાં તેમની પ્રતિષ્ઠા વધી છે. હવે અમારા ગામના લોકો સારી રીતે સમજી ગયા છે કે બેન્ડ વગાડવાનું કામ માત્ર પુરુષોનું જ નથી.’

અંતરિયાળ ગામની મહિલાઓને બેન્ડ બનાવવાનું કોણે સુઝાડ્યું અને કેવી રીતે  સફળતા મળી, એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. મૂળ કેરળનાં સુધા વર્ગીસ નામનાં સમાજસેવી બહેન ‘નારી ગુંજન’ નામની સંસ્થા થકી છેલ્લાં બે દાયકાથી બિહારમાં મહિલાઓ, ખાસ કરીને દલિત સમુદાયની સ્ત્રીઓના સશક્તિકરણ માટે કાર્યરત છે. તેમને મહિલા બેન્ડનો વિચાર આવ્યો હતો. ઢિબરા ગામની મહિલાઓએ જ્યારે તેમને ખેતીવાડી ઉપરાંત વધારાની કમાણી થાય એવું કોઈ કામ શરૂ કરાવવા વિનંતી કરી ત્યારે સુધાબહેેને કહ્યું, ગરીબીની બેન્ડ બજાવો. પહેલાં તો મહિલાઓ તેમની  વાત સમજી નહીં, પરંતુ પછી સુધાબહેને સમજાવ્યું કે બેેન્ડ શરૂ કરો અને તેમાંથી કમાણી કરો. શરૂઆતમાં તો કોઈને આ વાત ગળે ન ઊતરી પણ સુધાબહેેનના પ્રયાસો અને પ્રોત્સાહનથી 15 મહિલાઓ બેન્ડ માટે નગારા-ડ્રમ સહિતનાં સાધનો વગાડવાનું શીખવા માટે તૈયાર થઈ.

2014માં મહિલાઓની તાલીમ શરૂ થઈ. જુદાં જુદાં કારણોસર પાંચ મહિલાઓ ખસી ગયાં અને 10 બહેનો વાજિંત્રો વગાડતા શીખી ગયાં અને આખરે એપ્રિલ-2015માં સરગમ મહિલા બેન્ડની રચના થઈ. આજે આ મહિલાઓ લગ્નપ્રસંગો, સામાજિક પ્રસંગો, સરકારી કાર્યક્રમોમાં પણ બેન્ડ વગાડવા જાય છે, બિહારની આજુબાજુુનાં રાજ્યોમાંથી પણ તેમને આમંત્રણ મળી રહ્યા છે અને મહિલા બેન્ડ ધૂમ મચાવે છે.

બેન્ડના સૌથી નાના સભ્ય પંચમ દેવી કહે છે, ‘ગામના લોકો શરૂઆતમાં અમને મહેણાં મારતાં અને અમે શરમાઈ  જતાં. પરંતુ આજે અમારા પતિ જ નહિ, અમારાં બાળકો પણ અમારી સફળતા માટે ગર્વ અનુભવે છે.’ ખેતમજૂરી કરીને રોજના 100 રૂપિયા પણ ન કમાઈ શકનાર મહિલાઓ આજે દર મહિને સરેરાશ 15,000 રૂપિયાની આવક તો આસાનીથી મેળવી લે છે. એક સમય  હતો જ્યારે લોકો તેમની મજાક જ નહોતા ઉડાવતા, પરંતુ તેમનો વિરોધ પણ કરતા હતા.  પરિવાર અને પતિનો પણ  ઉગ્ર વિરોધ સહન કરવો પડેલો. જોકે, આજે આખું ગામ આ બહેનોને સન્માનની દૃષ્ટિએ  જોતું થયું છે.

ભારતમાં દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પણ મહિલા બેન્ડ સ્થપાયા છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ જેવાં રાજ્યોમાં મહિલા ડીજેની હવે નવાઈ નથી, પરંતુ બિહાર જેવું રાજ્ય અને એમાંય મહાદલિત સમુદાયમાંથી મહિલાઓ પોતાનું બેન્ડ બનાવે અને પ્રતિષ્ઠા હાંસલ કરે નાનીસૂની સિદ્ધિ ન ગણાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 31 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, January 24, 2018

વ્યક્તિ-વૃક્ષ ભાઈ-ભાઈનો સંદેશો

દિવ્યેશ વ્યાસ


સિક્કિમ નામનું ટચૂકડું રાજ્ય સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા પૂરી પાડે છે કે પર્યાવરણ અને પ્રગતિ, બન્નેેને કઈ રીતે એકસાથે સાધી શકાય છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકેલી છે.)

સિક્કિમ ભારતનાં સૌથી નાનાં રાજ્યોમાં બીજા ક્રમે આવે છે. અંગૂઠા આકારનું કદ (નકશો) ધરાવનારું આ ટચૂકડું રાજ્ય છેલ્લાં કેટલાંક વર્ષથી એક પછી એક અણમોલ સિદ્ધિઓ હાંસલ કરતું રહ્યું છે. એક તો આ રાજ્ય નાનું છે, એમાં તેનો 35 ટકા વિસ્તાર તો કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવરી લેવાયો છે. દેશમાં સૌથી ઓછી (સવા છ લાખ કરતાં પણ ઓછી) વસ્તી ધરાવતું આ રાજ્ય જીડીપીની દૃષ્ટિએ પણ સૌથી નબળાં ત્રણ રાજ્યોમાંનું એક ગણાય છે. રાજ્યનું અર્થતંત્ર કૃષિ અને પ્રવાસન પર જ ટકેલું છે. રાજ્યનો સાક્ષરતા દર પણ બહુ વખાણવાલાયક નહીં, એટલો 82.6 ટકા છે. 32 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં લોકસભા અને રાજ્યસભાની પણ એક-એક બેઠક જ છે. 1975થી ભારત સાથે અધિકૃત રીતે જોડાનારા આ રાજ્યના લોકોએ રાજકીય અસ્થિરતા પણ બહુ જોઈ છે. આમ, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ નાનું અને નબળું એવું આ રાજ્ય છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રગતિના પંથે ચાલી રહ્યું છે. ના, એણે રાતોરાત આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી લીધી છે, એવું જરાય નથી. સિક્કિમે જે કંઈ પ્રગતિ કરી છે, તે ખરેખર પ્રેરણા આપે એવી છે. સિક્કિમે સમગ્ર દેશને જ નહીં, વિશ્વને બતાવ્યું છે કે પર્યાવરણ અને પ્રગતિ (કે વિકાસ કહો), એ બન્નેને એકસાથે કેવી રીતે સાધી શકાય.

મકરસંક્રાંતિના આગલા દિવસે જ સિક્કિમમાંથી સમાચાર જાણવા મળ્યા હતા કે સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને વૃક્ષ સાથે કાયમી નાતો બાંધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. સરકારે રાજ્યની દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વૃક્ષને પોતાનાં ભાઈ કે બહેન, (સિક્કિમની સ્થાનિક ભાષામાં મિથ/મિત કે મિતિની) તરીકે દત્તક લેવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. સિક્કિમ રાજ્યના વન, પર્યાવરણ અને વન્યજીવ મંત્રાલય દ્વારા સિક્કિમ ફોરેસ્ટ ટ્રી (એમિટી એન્ડ રેવરન્સ) રૂલ્સ-2017 અનુસાર રાજ્યની કોઈ પણ વ્યક્તિ પોતાની માલિકીની કે જંગલની જમીન પરના વૃક્ષને પોતાના ભાઈ કે બહેન તરીકે દત્તક લઈ શકશે. કોઈ વ્યક્તિ વૃક્ષને પોતાના સંતાન તરીકે પણ દત્તક લઈ શકે છે. વૃક્ષને ભાઈ-બહેન બનાવવા કે સંતાન તરીકે દત્તક લેવા માટે એક સરળ ફોર્મ ભરીને સરકારી કચેરીમાં જમા કરાવવાનું રહેશે. સરકારી અધિકારી દ્વારા વ્યક્તિ અને વૃક્ષની ચકાસણી કરાયા પછી સરકારી ચોપડે એ વૃક્ષ અને વ્યક્તિનો સંબંધ નોંધાઈ જશે. ટૂંકમાં, વૃક્ષો હવે સિક્કિમના લોકોના પરિવારનો  હિસ્સો બની જશે.

આમ તો સિક્કિમના 47.80 ટકા વિસ્તારો પર વૃક્ષો છવાયેલાં છે, પરંતુ બદલાતા સમય મુજબ વૃક્ષોની જાળવણી કરવી જરૂરી બની છે. સિક્કિમે લોકોની સહભાગિતા સાથે વૃક્ષો-વનોની સંભાળ રાખવાની પહેલ કરી છે, જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. સિક્કિમ દ્વારા રાજ્યમાં રહેલાં હેરિટેજ વૃક્ષોની જાળવણી માટે પણ કમર કસી છે.

સિક્કિમની અન્ય સિદ્ધિઓ જોઈએ તો તે સમગ્ર દેશનું પહેલું એવું રાજ્ય છે, જેણે 100 ટકા સ્વચ્છતા હાંસલ કરી છે તો વર્ષ 2016માં સિક્કિમ દેશનું પહેલું 100 ટકા સજીવ ખેતી કરનારું રાજ્ય પણ બની ગયું છે. આવી મોટી મોટી બે સિદ્ધિઓ હાંસલ કરીને તે ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે.

સિક્કિમમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ તેમજ સ્ટીરોફોમની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવાં પગલાં અને પ્રયાસોને કારણે સિક્કિમ દેશના સૌથી વધુ ઇકો-ફ્રેન્ડલી રાજ્ય તરીકે નામના મેળવતું જાય છે. ગ્લોબલ વૉર્મિંગ સહિતના પ્રદૂૂષણના પડકારો વચ્ચે સિક્કિમે એક નિરાળો માર્ગ ચીંધ્યો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 24 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, January 17, 2018

ઓશો : મૃત્યુ શીખવનારા ગુરુ

દિવ્યેશ વ્યાસ


19 જાન્યુઆરીના રોજ ઓશોએ આ દુનિયામાંથી વિદાય લીધાને વધુ એક વર્ષ પૂર્ણ થશે. ઓશોના મૃત્યુ વિશેના મૌલિક વિચારો વાગોળીએ 

(ઓશોની આ મનોહર તસવીર તેમના અનુયાયીઓ દ્વારા ચાલતી વેબસાઇટ પરથી લીધેલી છે.)

સામાન્ય રીતે ગુરુ આપણને શીખવે છે કે કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું, કેવું વર્તન રાખવું, કેવી રીતે સંકટ કે સમસ્યાઓનો સામનો કરવો, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે સફળ થવું, કઈ રીતે મોક્ષ મેળવવો... પણ ઓશો રજનીશ નામના ગુરુએ આપણને શીખવ્યું હતું કે કઈ રીતે મૃત્યુને ભેટવું, કઈ રીતે મરવું, કઈ રીતે મૃત્યુના અવસરને ઉત્સવ બનાવવો,  મૃત્યુને કઈ દૃષ્ટિએ જોવું, કઈ રીતે મૃત્યુનું મૂલ્યાંકન કરવું. મૃત્યુ શીખવનારા ગુરુ ઓશો રજનીશને પરમ દિવસે (19 જાન્યુઆરી, 1990) આ દુનિયામાંથી વિદાય લીધાને વધુ એક વર્ષ પૂર્ણ થશે.

ઓશો એક મૌલિક વિચારક હતા. ઓશો સાથે સહમત થઈ શકીએ કે નહીં, પરંતુ એટલું નિશ્ચિત છે કે તેમના સ્ફોટક વિચારો આજેય આપણને વિચારવા મજબૂર કરે છે. મૃત્યુ અંગે તેમને પોતાનાં અનેક ભાષણોમાં વાત કરી છે. તેમની પુણ્ય તિથિ નિમિત્તે તેમના મૃત્યુ વિશેના મૌલિક વિચારોને વાગોળવાની તક ઝડપવા જેવી છે.

ઓશો એક ઘા ને બે કટકા જેવી વાત કહેવા માટે જાણીતા હતા, તેનો એક સ્ફોટક નમૂનો જુઓ: ‘મૃત્યુ વિશે પહેલી વાત તમને એ કહેવા માગીશ કે મૃત્યુ કરતાં મોટું અસત્ય બીજું એકેય નથી. પરંતુ આપણને મૃત્યુ જ સત્ય જણાય છે. જીવનને આપણે જે સ્વરૂપ આપ્યું છે, તે પણ મૃત્યના ભયને કારણે જ આપ્યું છે. મૃત્યુના ડરથી સમાજ બનાવ્યો છે, રાષ્ટ્ર બનાવ્યું છે, પરિવાર બનાવ્યો છે, મિત્ર ભેગા કર્યા છે. મૃત્યુના ડરથી જ ધન એકઠું કરવાની દોડ જામી છે, મૃત્યુના ડરે જ પદોની આકાંક્ષા પેદા કરી છે. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે મૃત્યુના ડરથી જ આપણે ભગવાન અને મંદિર પણ રચ્યાં છે. અને મૃત્યુ કરતાં વધારે મોટું અસત્ય બીજું એકેય નથી. એટલે મૃત્યુને સાચું માનીને આપણે જે પણ જીવનની વ્યવસ્થા ઊભી કરી છે, તે બધી પણ અસત્ય જ બની ગઈ છે.’

મૃત્યુથી આપણે સૌ ડરતા હોઈએ છીએ, પરંતુ ભાગ્યે જ એ અંગે વિચારવા તૈયાર નથી. આપણી આ ભાગેડુવૃત્તિ પર પ્રહાર કરતા ઓશોએ કહેલું, ‘આપણને મૃત્યુમાં જરાય રસ નથી. આપણને જીવન માટે જ ચિંતા છે. જીવન માટેની આ અતિ-ચિંતા માત્ર ભાગેડુવૃત્તિ છે, બસ એક ભય છે... જીવન પ્રત્યેના આ આગ્રહમાં પરિવર્તન લાવો, તમારું ધ્યાન ચારેકોર લઈ જાવ. તમે જો મૃત્યુ સાથે જોડાઈ જશો, તો પહેલી વાર તમારું જીવન પ્રગટ થઈ જશે, કારણ કે જે ક્ષણે તમે મૃત્યુ સાથે સહજ થઈ જાવ છો, તમે એવું જીવન પ્રાપ્ત કરી લો છો, જેનું મૃત્યુ થઈ શકતું નથી. જે ક્ષણે તમે મૃત્યુને જાણી લીધું, તમે એ જીવન જાણી લીધું, જે શાશ્વત છે.’

મૃત્યુને બહુ સહજ પ્રક્રિયા ગણાવીને ઓશોએ એક સુંદર વાત કરી હતી કે, ‘દરેક વસ્તુ પોતાના મૂળભૂત સ્રોત પર પાછી ફરે છે, તેણે પોતાના મૌલિક સ્રોત પર આવવું જ પડે છે. તમે જો જીવનને સમજતા હો તો તમે મૃત્યુને પણ સમજી શકો છો. જીવન પોતાના મૂળભૂત સ્રોતનું વિસ્મરણ છે, મૃત્યુ તેનું ફરીથી સ્મરણ. જીવન પોતાના મૂળ સ્રોતથી દૂર જવું છે, મૃત્યુ પોતાના ઘરે પાછા ફરવા સમાન છે.’

જીવન કરતાં મૃત્યુ કઈ રીતે વધારે મહત્ત્વપૂર્ણ છે, એ સમજાવતા ઓશો બોલેલા કે, ‘મૃત્યુ જીવન કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે. જીવન તો તુચ્છ છે, મૃત્યુ ગહન છે... જીવન તો માત્ર મૃત્યુ તરફની યાત્રા છે. તમે જો સમજી શકો કે તમારું સમગ્ર જીવન માત્ર એક યાત્રા છે અને બીજું કંઈ નહીં, ત્યારે તમે જીવનમાં ઓછા અને મૃત્યુમાં વધારે રસ લેતા થશો. અને કોઈ એક વાર જ્યારે મૃત્યુ વિશે જાણવા વધારે ઉત્સુક બને પછી તે જીવનના ગહનતમ ઊંડાણમાં જઈ શકો છો, નહિ તો તમે માત્ર સપાટી પર રહી જશો.’

મૃત્યુનું માહાત્મ્ય સમજાવતાં રજનીશ કહેતા, ‘જીવનનું મહાનતમ રહસ્ય જીવન પોતે નથી, પરંતુ મૃત્યુ છે. મૃત્યુ જીવનની પરાકાષ્ઠા છે, જીવનની પૂર્ણ ખીલવણી છે. મૃત્યુમાં સમગ્ર જીવન સમાઈ જાય છે, મૃત્યુમાં તમે ઘરે પાછા ફરો છો. જીવન, મૃત્યુ તરફ લઈ જતી તીર્થ યાત્રા છે.’

મૃત્યુની સુંદરતા કેવી હોય અને તે ક્યારે પ્રગટી શકે, એની સમજ આપતાં ઓશોએ કહેલું, ‘મૃત્યુ કુરૂપ નથી, મૃત્યુ સુંદર છે. પરંતુ મૃત્યુ એ લોકો માટે જ સુંદર છે, જેમણે પોતાની જિંદગી કોઈ અવરોધ વિના, કોઈ અંતરાયો વિના અને કોઈ પણ દબાણ-દમન વિના જીવી છે. મૃત્યુ એ લોકો માટે જ સુંદર છે જેમણે જીવવાનું સાહસ કર્યું છે, જેમણે પ્રેમ કર્યો છે, જેમણે નૃત્ય કર્યું છે, જેમણે ઉત્સવ મનાવ્યો છે.’

ઓશો રજનીશે મૃત્યુ સાથે સંકળાયેલો જીવન અંગેનો એક માપદંડ પણ આપણને આપ્યો છે, ‘આ માપદંડ હંમેશા યાદ રાખજો. કોઈ વ્યક્તિ જો પોતાના મૃત્યુનો પણ આનંદ અને ઉત્સવ મનાવી શકે તો તે દર્શાવે છે કે તેણે પોતાનું જીવન સારી રીતે જીવ્યું છે. આ ઉપરાંત બીજો કોઈ માપદંડ નથી. તમારું મૃત્યુ સાબિત કરી દેશે કે તમે કઈ રીતે જીવ્યા.’

‘આત્મા અમર છે’ એવું આપણે ત્યાં બધા કહેતા હોય છે, એમાંય ખાસ કોઈના મૃત્યુ પછી આવું આશ્વાસન અપાતું હોય છે. આ સંદર્ભે ઓશોએ ધારદાર રીતે કહેલું, ‘હું એમ નથી કહી રહ્યો કે આત્મા અમર નથી. હું એમ કહી રહ્યો છું કે આત્માની અમરતાનો સિદ્ધાંત મોતથી  ડરનાર લોકોનો સિદ્ધાંત છે. આત્માની અમરતાને જાણવી બિલકુલ જુદી વાત છે. અને એ પણ ધ્યાનમાં રાખજો કે આત્માની અમરતાને એ જ જાણી શકે છે, જે જીવતેજીવત મરવાનો પ્રયોગ કરી લે છે. આ સિવાય જાણવાનો બીજો કોઈ ઉપાય નથી.’

જીવતેજીવ મરવાનો પ્રયોગ પણ ઓશોએ શીખવાડ્યો હતો. તેમણે કહેલું, ‘સમાધિમાં સાધક પોતે જ મરે છે, અને તે પોતે મૃત્યુમાં પ્રવેશ કરે છે, એટલે તે આ સત્ય જાણી લે છે કે હું અલગ છું, શરીરથી અલગ. અને જો એક વખત ખબર પડી જાય કે હું અગલ છું તો મૃત્યુ ખતમ થઈ જાય. અને એક વાર ખ્યાલ આવી જાય કે હું અલગ છું તો જીવનનો અનુભવ શરૂ થઈ જાય. મૃત્યુની સમાપ્તિ અને જીવનનો અનુભવ એક જ સરહદ પર થાય છે, એક જ સાથે થાય છે. જીવનને જાણ્યું કે મૃત્યુ ગયું, મૃત્યુને જાણ્યું તો જીવન થયું. સારી રીતે સમજી લઈએ તો આ એક જ વાતને કહેવાની બે રીત છે. આ એક જ દિશામાં ઇંગિત કરનારા બે ઈશારા છે.’

કેવી વ્યક્તિ મૃત્યુનો ઉત્સવ મનાવી શકે, એની સમજ આપતા ઓશો બોલ્યા હતા, ‘જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન કોઈ ભય વિના, પ્રામાણિક રીતે, સહજ રીતે જીવી હોય તો મૃત્યુ તેનામાં કોઈ ભય પેદા નહીં કરે, જરાય નહીં. ખરેખર તો એમના માટે મૃત્યુ એક મહાન વિશ્રાંતી સ્વરૂપે આવશે. ત્યારે મૃત્યુ જીવનની પરમ ખીલવણીની જેમ આવશે. તે મૃત્યુનો પણ આનંદ લઈ શકશે, તે મૃત્યુનો પણ ઉત્સવ મનાવી શકશે.’

મૃત્યુ અંગે સાવ અલગ જ  એન્ગલથી ઓશોએ કહેલુ, ‘જીવનમાં તમે ગરીબ કે અમીર હોઈ શકો છો, પરંતુ મૃત્યુમાં સૌ સમાન છે. મૃત્યુમાં સર્વાધિક સામ્યવાદ છે. તમે ગમે તે રીતે જીવો, તેનાથી કોઈ ફરક પડતો નથી. મૃત્યુ એકસમાન રીતે જ ઘટે છે. જીવનમાં સમાનતા અશક્ય છે, મૃત્યુમાં અસમાનતા અશક્ય છે.’

ઓશોના મૃત્યુ પરના મૌલિક વિચારો આપણું મૃત્યુ કેટલું સુધારી શકશે ખબર નથી પણ તેમના વિચારો આપણા જીવનને તો ચોક્કસ સુધી શકે છે. મિસ યુ ઓશો!

(‘દિવ્ય ભાસ્કર’ની 17મી જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, January 10, 2018

સાઇકલ મારી સરરર ક્યારે જાય?

દિવ્યેશ વ્યાસ


ઘણા યુવાનો પેડલ-મેન બનવા ઉત્સુક હોય છે, પરંતુ માળખાકીય સુવિધાનો અભાવ અને પ્રતિષ્ઠાના પોકળ ખ્યાલો નડી જતા હોય છે


(નોએડામાં ખાસ સાઇકલ માટે બનાવાયેલો ટ્રેક. આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

સાઇકલ. આ ચાર અક્ષરનું નામ ધરાવતી સાઇકલ વાહન-વિશ્વમાં કક્કા (એબીસીડી) જેવું સ્થાન અને માન ધરાવે છે. મોટા ભાગના લોકો પોતાની જિંદગીમાં સૌથી પહેલું કોઈ વાહન શીખતા-ચલાવતા હોય તો તે સાઇકલ જ છે. સાઇકલ સાથે દરેકનાં કોઈ ને કોઈ સંભારણાં જોડાયેલાં જ હોય છે. ક્યારેક ‘સાઇકલ મારી સરરર જાય... ટ્રિન ટ્રિન ટોકરી વગાડતી જાય...’  ગીત સંભળાઈ જાય તો બાળપણ અને શાળાજીવનના અનેક પ્રસંગો માનસપટ પર ઊપસી આવતા હોય છે.

આમ તો સાઇકલ આપણું લાડકું વાહન છે, પરંતુ મોટા થયા પછી સાઇકલ સાથેની લેણાદેણી પૂરી કરી નાખવામાં આવતી હોય છે. સાઇકલ સાથેનો સંબંધ ખોટકી-અટકી પડવા પાછળનું કારણ એ છે કે આપણે ત્યાં વાહનને પણ મોભા-પ્રતિષ્ઠાની દૃષ્ટિએ જોવામાં આવે છે. પ્રતિષ્ઠા ઉપરાંતનો બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો આપણી ખામીયુક્ત માર્ગ-પરિવહન વ્યવસ્થાનો પણ છે. સાંકડા અને દબાણથી વધારે સાંકડા બનેલા રસ્તાઓ, બેફામ ડ્રાઇવિંગ, સતત વધતી ટ્રાફિક સમસ્યાઓ, ટ્રાફિક સેન્સનો અભાવ, માર્ગ-વ્યવસ્થામાં તકનીકી ખામીઓ અને ખાડાઓના સામ્રાજ્યને કારણે સાઇકલચાલક માટે આપણા રસ્તાઓ જોખમી પુરવાર થઈ રહ્યા છે. માર્ગ પરિવહન અને હાઇ-વે મંત્રાલયના ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગના અહેવાલ અનુસાર વર્ષ 2011થી 2015ના પાંચ વર્ષના ગાળામાં 25,435 સાઇકલ-ચાલકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. આ આંકડો જોતાં આપણા દેશમાં સાઇકલ ચલાવવી કેટલી જોખમી છે, એ સમજાય છે. જોકે, છેલ્લા એક દાયકાથી આપણાં શહેરોમાં સાઇકલ ચલાવવાનું ચલણ વધે એ માટે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકાર તથા નગરપાલિકાઓ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમુક શહેરોમાં તો સાઇકલ સંબંધિત પ્રોજેક્ટને સ્માર્ટ સિટી યોજના સાથે જોડીને પણ આગળ વધારવામાં આવી રહ્યા છે.

સાઇકલ સૌથી વધારે ઇકો-ફ્રેન્ડલી વાહન છે. સાઇકલ ન તો વાયુ કે ન ધ્વનિ પ્રદૂષણ વધારે છે એ ઉપરાંત તેનું ચલણ વધે તો ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાઓ પણ હળવી બની શકે છે, એટલે નાગરિકોને સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવાના પ્રયાસો શરૂ થયા છે. ગત 3 ડિસેમ્બર, 2017ના રોજ ન્યૂઝ મળ્યા કે મુંબઈના સાઇકલ શોખીનો માટે હવે દર રવિવારે સ્પેશિયલ સાઇકલ ટ્રેક ઉપલબ્ધ થશે. એનસીપીએ (નરિમાન પોઇન્ટ)થી વરલી સી લિંક સુધીનો 11 કિલોમીટરનો માર્ગ ‘સન્ડે સાઇકલ ટ્રેક’ તરીકે જાહેર કરાયો હતો, જેમાં સવારે છથી 10 સુધીના સમયમાં માત્ર સાઇકલ જ ચાલશે. આ ટ્રેક પર ચાર પોઇન્ટ્સ પર સાઇકલ અને હેલ્મેટ ભાડે મળે, એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે 2 સપ્ટેમ્બર, 2017ના રોજ મુંબઈમાં સાઇકલ ટ્રેક ડેવલપ કરવા માટે 300 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. દસ મીટર પહોળા 39 કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર કરવાની યોજના છે.

મહારાષ્ટ્રના જ અન્ય શહેરની વાત કરીએ તો એક સમયે ‘સાઇક્લિંગ કેપિટલ ઑફ ઇન્ડિયા’ ગણાતું પુના ફરી પોતાની આ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મથી રહ્યું છે. આમ તો પુનામાં સાઇકલ માટે 300 કિમીના અલગ ટ્રેક બનાવાયેલા છે, પરંતુ તેની હાલત સારી નથી. જોકે, હવે પુના મ્યુનિ. કોર્પો. દ્વારા 2030 સુધીમાં શહેરના અડધોઅડધ રસ્તાઓ પર માત્ર સાઇકલ જ દોડે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વર્ષ 2017માં સાઇકલ નેટવર્ક પ્લાન તૈયાર કરાયો છે અને 470 કિલોમીટરના અલગ સાઇકલ ટ્રેક માટે 300 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર, 2017માં સમાચાર મળેલા કે ન્યૂ ટાઉન કોલકાતા ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા નવા વિકસેલા શહેરમાં સાઇકલ ટ્રેક તૈયાર કરાયો છે અને લોકોને ભાડેથી સાઇકલ મળી રહે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો રાજકોટમાં વર્ષ 2012માં જ સાઇકલ માટે અલગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. લોકોને સાઇકલ ભાડે મળી રહે એ માટેના બાઇસિકલ શેરિંગ પ્રોગ્રામ માટે રાજકોટ મ્યુનિ. કોર્પો.ને 2015માં રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. અમદાવાદમાં પણ બીઆરટીએસ અને રિવર ફ્રંટના પ્રોજેક્ટમાં સાઇક્લિંગને પ્રોત્સાહન મળે, એવા પ્રયાસો કરવામાં આવે છે.

નોએડામાં સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે અને ઘાટા લાલ રંગથી રંગવામાં આવ્યો છે. 25 કિલોમીટર લાંબો ટ્રેક બનાવાયો છે. તો ચેન્નાઈમાં પણ કુલ 14 કિલોમીટરના સાઇકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને 14 શાળાઓની આજુબાજુના વિસ્તારોમાં સાઇકલ ચલાવતા 7000 વિદ્યાર્થીઓ આનો લાભ મેળવી રહ્યા છે.

ન્યૂ યૉર્ક, સિડની, કોપનહેગન, કુઆલાલમ્પુર જેવાં આંતરરાષ્ટ્રીય શહેરોમાં સાઇક્લિંગને જબરદસ્ત પ્રોત્સાહન મળે છે અને તેનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે. સાઇક્લિંગ માટે માળખાકીય સુવિધાઓ (અલાયદા રસ્તા) વધારવાની તાતી જરૂર છે. સાઇકલ માટેના અલગ ટ્રેકની સારસંભાળ-સુરક્ષા પણ થવી જોઈએ. આશા રાખીએ આપણા દેશમાં પણ સાઇકલ-ચાલકને સન્માનની નજરે જોવાનું શરૂ થાય અને એવો માહોલ સર્જાય કે યુવા પેઢી પેડલ-મેન બનવામાં સહેજેય નાનપ ન અનુભવે.

(‘દિવ્ય ભાસ્કર’ની 10 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, January 3, 2018

યોદ્ધાઝ : કેન્સર સામે કેસરિયા

દિવ્યેશ વ્યાસ


કેન્સર ધીમે ધીમે પોતાનો કાળો કેર વર્તાવતું જાય છે ત્યારે તેની સામે યુદ્ધ લડવા સ્ટ્રોંગર ધેન કેન્સર્સ બનવું જરૂરી છે

(તસવીરો ગૂગલ ઇમેજ અને આ બન્ને યૌદ્ધાઓની વેબસાઇટ્સ પરથી લીધેલી છે, જેનો દિપક ઇનામદારે કોલાજ કરી આપ્યો છે.)


વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે પાંચ પુરુષોમાંથી એક પુરુષ અને છ મહિલાઓમાંથી એક મહિલાને 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થઈ શકે છે. આઠ પુરુષોમાંથી એક પુરુષ અને 12 મહિલાઓમાંથી એક મહિલા કેન્સરને કારણે મૃત્યુ પામી શકે છે. તાજા આંકડા અનુસાર દર વર્ષે 1 કરોડ 40 લાખ લોકોને કેન્સરનું નિદાન થાય છે. એક અંદાજ મુજબ 2025 સુધીમાં આ આંકડો વધીને 1 કરોડ 90 લાખે પહોંચી શકે અને 2035માં તો 2 કરોડ 40 લાખ લોકો દર વર્ષે કેન્સરનો ભોગ બને, એવી આશંકા સેવાઈ રહી છે. આ આંકડા ગંભીર ચેતવણી રૂપ છે. આપણી બદલાયેલી જીવનશૈલી, ભોજનની ટેવો, ખોરાકની ગુણવત્તા અને પ્રદૂષણને લીધે બદલાયેલા હવા-પાણીને કારણે કેન્સરના કેસોમાં દિનબદિન વધારો થતો જાય છે. માન્યામાં ન આવે તો કોઈ પણ કેન્સર હોસ્પિટલમાં ક્યારેક ડોકિયું કરજો, કેન્સરના દર્દીઓની લંબાતી લાઇન સતત વધતી જ જોવા મળે છે.

નિદાન અને સારવારની આધુનિક તકનીક અને પદ્ધતિઓ ઉપલબ્ધ બની છે ત્યારે ‘કેન્સર એટલે કેન્સલ’વાળી વાત હવે ભૂતકાળ બની ગઈ છે. પ્રારંભિક તબક્કાના કેન્સર હવે ક્યોરેબલ બન્યા છે. જોકે, કેન્સરની સારવાર હજુ અફોર્ડેબલ નથી બની, પણ એ ચર્ચાનો સાવ જુદો જ મુદ્દો છે, એટલે એની વિગતમાં ઊંડા ઊતરવું નથી. ટૂંકમાં, કેન્સર સામે લડાઈ લડી શકાય છે અને જીતી પણ શકાય છે. અહીં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે લડાઈ લડવી પડે છે! કેન્સરના દર્દીની સેવા-સુવિધા માટે સમગ્ર પરિવાર હાજર હોય, છતાં પણ રોગ સામેની ખરી લડાઈ તો દર્દીએ પોતે જ લડવી પડતી હોય છે. શરીરમાં પેસેલા કર્ક રોગના ઝેર અને જાળાને મારી-હટાવીને કેન્સરને દેહવટો આપવા માટે એક લાંબી લડાઈ માટે શારીરિક અને ખાસ તો માનસિક રીતે સજ્જ થવું જરૂરી છે.

કેન્સરની સારવારમાં સર્જરી, કીમોથેરપી કે રેડિયેશન જેવી પ્રક્રિયામાંથી પસાર થવું એ આગના દરિયાને પાર કરવા જેટલું કપરું હોય છે. આ પ્રક્રિયામાં અપાર સહનશક્તિની સાથે સાથે સકારાત્મક વલણ તથા કેન્સરને હરાવવા માટે શૌર્યની ખાસ જરૂર પડતી હોય છે.

કેન્સર સામે કેસરિયા કર્યા વિના જંગ જીતી શકાતો નથી. કેન્સરના દર્દીઓમાં જુસ્સો ટકાવવા અને મદદરૂપ થવા માટે રાહુલ યાદવ નામના દિલ્હીના એક કેન્સરપીડિત યુવાને ‘યોદ્ધાઝ’ નામનું ભારતનું સૌપ્રથમ ઓનલાઇન સપોર્ટ નેટવર્ક (https://www.yoddhas.com/)ઊભું કર્યું છે. આ નેટવર્કમાં કેન્સર સામે ઝઝૂમી રહેલા લોકો પોતાની વાત રજૂ કરી છે અને અન્યોની વાત જાણી શકે છે. આ નેટવર્ક થકી તેમને માર્ગદર્શન પણ મળે છે અને સાંત્વના પણ સાંપડે છે. એટલું જ નહીં, કેન્સર સામે જંગે ચડેલા યોદ્ધાઓ એકબીજાને મદદરૂપ પણ બને છે. પોતાના જુસ્સા અને ઝુંઝારું વૃત્તિથી ત્રણ ત્રણ વખત કેન્સરને હરાવનારા રાહુલ યાદવનું 2017ના અંતમાં મોત થયું, પરંતુ એમનું મોત યુદ્ધ મેદાનમાં લડતાં લડતાં થયું. મોત થયું પણ તેઓ હાર્યા નહીં.

દિલ્હીનાં જ મોનિકા બક્ષી, જેઓ બ્લડ કેન્સરથી પીડિત હતાં, તેમણે કેન્સર સામેનો જંગ જીતી ગયેલા લોકોની વાત કરતી વેબસાઇટ શરૂ કરી હતી, જેનું નામ રાખ્યું હતું. www.strongerthancancers.com. મોનિકાબહેન આ વેબસાઇટ થકી એવું પુરવાર કરવાનો પ્રયાસ કરવા માગતાં હતાં કે કેન્સર સામે લડી શકાય છે અને જંગ જીતી શકાય છે. કેન્સર સામેનો જંગ જીતવો હોય તો સ્વાભાવિક છે કે કેન્સર કરતાં પણ સ્ટ્રોંગર થવું પડે. જે લોકો સ્ટ્રોંગર બની બતાવે છે, તેઓ જંગ જીતી શકે છે.

રાહુલભાઈ અને મોનિકાબહેન જેવાં અન્ય પણ લોકો અને સંસ્થાઓ પણ છે, જેઓ કેન્સર સામેના જંગમાં જુસ્સો વધારવાનું પુણ્ય કાર્ય કરી રહ્યાં છે. સૌ કેન્સર યોદ્ધાઓને નવા વર્ષનાં અભિનંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 3 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)