Wednesday, October 25, 2017

કચરો! એ વળી કઈ બલા?

દિવ્યેશ વ્યાસ


તમે માનશો? લોરેન સિંગર નામની અમેરિકન યુવતી છેલ્લાં પાંચ વર્ષથી કચરામુક્ત જીવન જીવી રહી છે!


(લોરેન સિંગરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આપણે સૌએ રંગેચંગે દિવાળી ઊજવી અને નવા વિક્રમ સંવતને હેમખેમ વધાવી પણ લીધું. દિવાળી દીપ, રંગોળી, ફટાકડા, શુભેચ્છાઓની સાથે સાથે સ્વચ્છતાનું પણ પર્વ છે! ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જ્યાં દિવાળીને વધાવવા-ઊજવવા માટે સાફસફાઈ અભિયાન ન ચલાવાતું હોય. આખા વર્ષમાં ઘરના ખૂણેખાંચરે એકઠા થતાં કચરા-ધૂળ-બાવાજાળાંને એકઝાટકે ઘરવટો આપી દેવામાં આવતો હોય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની બોલબાલા વધી છે ત્યારે શું આપણે કલ્પના કરી શકીએ કે કચરામુક્ત જીવન પણ જીવી શકાય? કોઈ પણ પ્રકારનો કચરો પેદા કર્યા વિના રોજિંદી જિંદગી જીવી શકાય? આપણા માન્યામાં ન આવે એવી હકીકત છે કે અમેરિકાની એક 26 વર્ષની યુવતી છેલ્લાં પાંચ વર્ષથી ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’ના સિદ્ધાંતનું સુપેરે પાલન કરી રહી છે.

હાલ ન્યૂ યૉર્કમાં રહેતાં લોરેન સિંગરે વર્ષ 2012થી કચરામુક્ત જીવન અપનાવ્યું છે અને આજે તેઓ સફળતાપૂર્વક અને સહજતાપૂર્વક 100 ટકા કચરામુક્તિનો લુત્ફ ઉઠાવી રહી છે. લોરેન મૂળે તો પર્યાવરણની વિદ્યાર્થિની હતી અને ત્યાંથી જ તેમને પર્યાવરણ-મિત્ર જીવન જીવવાનો ‘સોલો’ ચડેલો. કચરામુક્ત જીવન માટે લોરેન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. ‘TED’માં ટૉક આપી ચૂકેલાં લોરેન www.trashisfortossers.com નામનો બ્લોગ ચલાવે છે તથા યુ ટ્યૂબ પર પોતાના વીડિયો થકી રોજિંદા જીવનમાં કઈ રીતે કચરાને પેદા થતો અટકાવી શકાય, એ માટે ટિપ્સ આપે છે અને લોકોના પ્રશ્નો-મૂંઝવણોનો જવાબ આપે છે.

લોરેને પોતાને કચરામુક્ત જીવન જીવવાનો ધક્કો ક્યાંથી અને કઈ રીતે લાગ્યો, એ અંગે પોતાના લેખોમાં ખુલાસો કરેલો છે કે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં પર્યાવરણની વિદ્યાર્થી તરીકે ભણતી વખતે જ પર્યાવરણની મોટી મોટી વાતો અને નવા નવા સમજાયેલા ખયાલોથી હું મારી જાતને મોટી પર્યાવરણવાદી માનવા માંડેલી. એ સમયે અમારી એક સહપાઠી યુવતી રોજ પ્લાસ્ટિકની થેલીમાં પ્લાસ્ટિકના ડબ્બાઓમાં તૈયાર ખાવાનું લાવતી, તેમાં ડિસ્પોઝેબલ ડિસ અને ચમચી-કાંટા વગેરે પણ રહેતાં. તે ભોજન કરીને આ બધી સામગ્રી કચરાપેટીમાં પધરાવી દેતી. આ જોઈને મને રોજ ખીજ ચડતી, પણ હું અંદરથી સમસમીને ચૂપ રહેતી. એક દિવસ મને પેલી વિદ્યાર્થિની પર ગુસ્સો ચડ્યો જ હતો ને હું ઘરે ગઈ. મૂડ ઠીક કરવા મેં રસોઈ બનાવવા વિચાર્યું. મેં જેવું મારું ફ્રીઝ ખોલ્યું કે કે હું થીજી ગઈ. મેં જોયું કે ફ્રીઝમાં દરેક વસ્તુ કાં તો પ્લાસ્ટિકના ડબ્બામાં હતી કે પછી પ્લાસ્ટિકની થેલીમાં. મને અહેસાસ થયો કે પર્યાવરણપ્રેમીના નામે હું તો નર્યો દંભ જ કરું છે. આ અહેસાસે મારી આંખ ઉઘાડી અને કચરામુક્ત જીવન જીવવાની દૃષ્ટિ મળી.

લોરેને કોઈ મુલાકાતમાં કબૂલ કર્યું છે કે સંપૂર્ણ કચરામુક્ત (ઝીરો પર્સેન્ટ વેસ્ટ) જીવન કંઈ એક રાતમાં લાવી શકાય એવી પ્રક્રિયા નથી. મેં મહિનાઓ સુધી મારા રોજિંદા જીવનનો અભ્યાસ કર્યો, ક્યાં, કેવો અને કઈ રીતે કચરો પેદા થાય છે, તેનું નિરીક્ષણ કર્યું અને પછી કચરો કઈ રીતે નિવારી શકાય, એ માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. લગભગ એક-દોઢ વર્ષે અનેક પ્રયોગો અને પ્રયાસોથી આખરે કચરામુક્તિ સિદ્ધ થઈ શકી. ચાર વર્ષના અંતે એક નાની કાચની બરણીમાં સમાઈ જાય, એટલો જ કચરો તેણે પેદા કર્યો હતો.

કચરામુક્ત જીવન જીવવા માટે પ્રેરણારૂપ બનેલાં લોરેન કહે છે કે ઝીરો પર્સેન્ટ વેસ્ટને કારણે હું આજે ઘણા બધા પૈસા બચાવું છું, સારું-પૌષ્ટિક-તાજું ભોજન લઉં છું અને વધારે સુખી છું, સ્વસ્થ છું અને આનંદમાં રહી શકું છું.

આવતી દિવાળીએ ઘરમાં કચરો સાફ કરવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો તમે પણ ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’નો સિદ્ધાંત અપનાવો. 100 ટકા કચરામુક્તિ શક્ય ન બને તોપણ ‘શક્તિ (કે સમજ) એટલી ભક્તિ (પ્રયાસ)’ કરીને કચરાને ઓછામાં ઓછો કરીને પોતાની સાથે સાથે પર્યાવરણનું પણ કલ્યાણ કરી શકો છો. પૃથ્વી અને પર્યાવરણના અસ્તિત્વ માટે કંઈક તો કરવું જ પડશે. બોલો, ક્યારથી શરૂ કરવું છે?

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 18, 2017

દિવાળી અને સમૃદ્ધિની કામના

દિવ્યેશ વ્યાસ


દિવાળીના પર્વ પર લક્ષ્મીજીની પૂજા સાથે સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. સમૃદ્ધિ અંગેની સમજ ‘ગરીબ’ ન ચાલે! સંત વિનોબાના લક્ષ્મી અંગેના વિચારો જાણીને આપણી સમજ સમૃદ્ધ કરીએ... 


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. ભારતનાં અન્ય રાજ્યો-પ્રદેશો કરતાં ગુજરાતમાં દિવાળીનો ઉત્સાહ બેગણો વધારે હોય છે, કારણ કે આપણે ત્યાં દિવાળીના બીજે દિવસે નવા વર્ષના વધામણા પણ કરવામાં આવે છે. ગુજરાત વિક્રમ સંવતનું નવું વર્ષ ઊજવે છે, જેની ઉજવણી બહુ ઓછા પ્રદેશોમાં થતી હોય છે.
પ્રકાશમય આ પર્વ આપણા જીવનમાં ઉજાસ ફેલાવવાની પ્રેરણા આપે છે. આ ઉજાસ જ્ઞાનનો પણ હોઈ શકે, વિદ્યા-વિવેકનો પણ હોઈ શકે છે, સમજ-સંસ્કારનો પણ હોઈ છે, સંવેદનાનો પણ હોઈ શકે, પરિશ્રમ અને પુણ્યતાનો હોઈ શકે અને સુખ-સમૃદ્ધિનો પણ હોઈ શકે. દિવાળીના જુદા જુદા દિવસોના તહેવારોમાં ખાસ કરીને લક્ષ્મીજી અને સરસ્વતી દેવી તથા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મા સરસ્વતી વિદ્યાની દેવી ગણાય છે, જ્યારે લક્ષ્મીજી સમૃદ્ધિની દેવી ગણાય છે. દિવાળીની શુભેચ્છાઓની સાથે નૂતન વર્ષના અભિનંદન પાઠવતું એક વાક્ય બહુ સર્વસામાન્ય રીતે જોવા-વાંચવા મળતું હોય છે, ‘આપનું નવું વર્ષ સુખ-સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છાઓ.’ સુખમય જીવન માટે સમૃદ્ધિ જરૂરી છે. લોકો શ્રદ્ધાપૂર્વક એવું માનતા હોય છે કે લક્ષ્મીજીની કૃપાથી આપણે સમૃદ્ધિ પામી શકીએ છીએ. સમૃદ્ધિને આપણે લક્ષ્મીજીનું સ્વરૂપ જ માનીએ છીએ અને મોટા ભાગે લક્ષ્મી જ કહીએ છીએ.

લક્ષ્મી કે સમૃદ્ધિ અંગેની આપણી સમજ ‘ગરીબ’ હોય એ તો કેમ ચાલે! આપણે મોટા ભાગે પૈસાને જ લક્ષ્મી ગણી લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. વિનોબા ભાવેએ રોજિંદા જીવનમાં પૈસા/રૂપિયાનો વ્યવહાર જ ન રહે એવી નવી વ્યવસ્થા માટે કાંચનમુક્તિનો પ્રયોગ આદર્યો હતો. એ સમયગાળામાં વિનોબાની ‘લફંગા પૈસાનું અનર્થકારણ’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ થઈ હતી, જેમાં પૈસા અને લક્ષ્મી કે શ્રી વચ્ચે કેવો અને કેટલો મોટો ભેદ છે, એ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું, ‘લક્ષ્મી અને પૈસાને એક માની લેવા જેવી ગેરસમજ બીજી કોઈ નથી. આ ભારે મોટો ગોટાળો થઈ ગયો છે. લક્ષ્મી અને પૈસો હરગિજ એક નથી. પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. તેની કિંમત કાયમ ઓછીવત્તી થયા કરે છે, કારણ કે તેની પોતાની કિંમત જ નથી હોતી. એટલે મેં તો તેને લફંગો પૈસો જ કહ્યો છે અને પાછો આપણે તેને આખા સમાજનો કારભારી બનાવી દીધો છે! તેને લીધે સમાજની આજે બહુ જ ભયાનક અવસ્થા થઈ ગઈ છે.’

વિનોબાએ આગળ લક્ષ્મી એટલે શું એ સુંદર રીતે સમજાવ્યું છે, ‘લક્ષ્મી એટલે તો શ્રી, શોભા, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, સૃષ્ટિની વિષ્ણુશક્તિ, સૃષ્ટિનું નિર્માણ. જ્યારે પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. નાસિકના સરકારી પ્રેસમાં નોટો છપાય છે. એક ઠપ કર્યો કે એક રૂપિયાની નોટ અને એક ઠપ કર્યો કે એકસો રૂપિયાની નોટ! એક રૂપિયાની ને એકસો રૂપિયાની નોટ પાછળ એટલો ને એટલો એક સરખો પરિશ્રમ! આવી છે રૂપિયાની ઘટોત્કચની માયા! પૈસાનું કોઈ સ્થિર મૂલ્ય નહીં. જ્યારે લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે. અનાજ લક્ષ્મી છે. પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું, આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે. એક શેર અનાજ ઉત્પન્ન કરવા જેટલો પરિશ્રમ કરવો પડે છે, તેના કરતાં બે શેર અનાજના ઉત્પાદન માટે બમણો પરિશ્રમ કરવો પડે છે.’
વિનોબાએ લક્ષ્મી અંગે બીજી એક મહત્ત્વની વાત કરેલી છે, ‘લક્ષ્મી તો દેવી છે અને તે શ્રમથી ઉત્પન્ન થાય છે. જે શ્રમનો ઉપાસક હશે, ઉદ્યોગ કરનારો હશે, તેને જ લક્ષ્મી વરશે. અનાજ, શાકભાજી, ફળફૂલ એ બધું લક્ષ્મી છે. તેને ઉત્પન્ન કરવા માટે મહેનત કરવી પડે છે. લક્ષ્મી તો આપણા હાથની આંગળીઓમાં વસે છે! ‘કરાગ્રે વસતે લક્ષ્મી’. ભગવાને આપણને જે હાથ આપ્યા છે, તેનાથી પરિશ્રમ કરવાથી લક્ષ્મી મળશે, પરંતુ આપણે આજે શ્રમને બદલે પૈસાને મહત્ત્વ આપી દેવાયું છે. આ બહુ ખોટું થયું છે.’

વિનોબા સોય ઝાટકીને કહેતાં, ‘સુર અને અસુર વચ્ચે જેટલો ફરક હોય તેટલો લક્ષ્મી અને પૈસા વચ્ચે ફરક છે. લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ. પૈસાને લક્ષ્મી માની લેવાથી મોટો ભ્રમ બીજો કયો હોય?’
આમ, પૈસો મારો પરમેશ્વર ક્યારેય ગણી શકાય નહીં. લક્ષ્મીજીની પૂજા કરતાં પહેલાં તેમનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. લક્ષ્મી અને પૈસા વચ્ચે કરાતી ગેરસમજનાં જાળાં હટાવવાનું રખે ચુકાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 18 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 11, 2017

નોબેલ અને ન્યુક્લિયર બૉમ્બ

દિવ્યેશ વ્યાસ


આ વર્ષે જાહેર થયેલા શાંતિ અને સાહિત્યના નોબેલ પારિતોષિકોમાં પરમાણુ શસ્ત્રોનો મુદ્દો સંકળાયેલો છે

(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધી છે.)

દર વર્ષે 5 ઑક્ટોબરથી 12 ઑક્ટોબરના દિવસોમાં નોબેલ પુરસ્કારો જાહેર થતા હોય છે. કોઈ પણ પુરસ્કાર કે એવોર્ડ વિવાદોથી પર હોય, એવું આપણે જાણ્યું નથી. નોબેલનું નામ પડતાં જ આપણને તરત રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી યાદ આવી જતા હોય છે. ટાગોરને એવોર્ડ મળ્યો હતો, એટલા માટે અને મહાત્મા ગાંધીને નહોતો મળ્યો એટલા માટે. ટાગોરને તો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળવો જ જોઈતો હતો, પરંતુ  દુનિયામાં શાંતિના નોબેલ પારિતોષિક માટે જો કોઈ સૌથી વધારે લાયક હોય તો એ ગાંધીજી ગણાય, છતાં તેમને નહોતો મળ્યો અને એટલે જ એ વિવાદનો મુદ્દો આજેય ભૂલ્યે ભુલાતો નથી. અલબત્ત, ગાંધીજીની પ્રેરણાથી આગળ વધેલા કે તેમના વિચારોનું પાલન કરનારા ઘણા લોકો શાંતિનો નોબેલ મેળવી શક્યા છે, એ સંતોષકારક હકીકત છે.

ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અપાતા નોબેલ પારિતોષિક અંગે ભાગ્યે જ વિવાદ પેદા થતો હોય છે, પરંતુ સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક કોઈ ને કોઈ કારણસર વિવાદમાં આવતો હોય છે. જોકે, આ વર્ષે સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક જેમને અપાયો છે, તેનો કોઈ ખાસ વિવાદ પેદા થયો નથી. અલબત્ત, ઉલ્લેખનીય મુદ્દો એ છે કે આ બન્ને એવોર્ડ હાંસલ કરનારા કોઈ ને કોઈ રીતે પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલા છે.

‘રિમેઇન્સ ઑફ ધ ડે’ નામની નવલકથા માટે મેન બુકર પ્રાઇઝ જીતેલા બ્રિટિશ સાહિત્યકાર કાઝુઓ ઇશિગુરોને આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. દુનિયા સાથે જોડાયેલી આપણી ગૂઢ સંવેદનાઓને શબ્દયાત્રા કરાવનારા કાઝુઓ પાંચ વર્ષની વયથી બ્રિટનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ તો જાપાનના છે. કાઝુઓનો પરમાણુ શસ્ત્રો સાથેનો સંબંધ સાહિત્યને લગતો નહીં પણ જીવનને લગતો છે. કાઝુઓનો જન્મ ઈ.સ. 1954માં જાપાનના નાગાસાકી શહેરમાં થયો હતો, આ એ જ શહેર છે, જ્યાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો. તેમના સાહિત્યમાં, ખાસ કરીને ‘રિમેઇન્સ ઑફ ધ ડે’માં બીજા વિશ્વયુદ્ધની વાતો આવે છે.

ખેર, આપણો મૂળ મુદ્દો તો શાંતિનું નોબેલ પારિતોષિકનો છે, જે આ વર્ષે ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN)ને મળ્યો છે. આ વર્ષે શાંતિના નોબેલ માટેના દાવેદારોમાં આ સંસ્થાનો ભાગ્યે જ ક્યાંય ઉલ્લેખ જોવા મળતો હતો, છતાં આ સંસ્થા મેદાન મારી ગઈ છે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું છે. અલબત્ત, આ સંસ્થાને શા માટે પસંદ કરવામાં આવી, એ અંગેની સ્પષ્ટતા નોબેલ પસંદગી સમિતિએ કરી છે. નોર્વેની સમિતિએ 2017ના શાંતિના નોબેલને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોને 15000 પરમાણુ હથિયારો નષ્ટ કરી દેવાની અપીલ ગણાવી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે અંટશ વધી રહી છે અને યુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એમાંય ઉત્તર કોરિયા તો પરમાણુ હુમલાની ધમકીઓ આપ્યા કરે છે. આવા માહોલમાં પરમાણુ શસ્ત્રો જગતની શાંતિ જ નહીં અસ્તિત્વ સામેનો પણ મોટો પડકાર બની ગયો છે. આ સંજોગોમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જ્યારે દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરાવવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરમાણુ સંપન્ન દેશોને પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દેવા સમજાવી રહી છે, એ પ્રશંસનીય અને પોંખવાલાયક પ્રયાસ છે.

ICAN નામની સંસ્થા છેલ્લા એક દાયકાથી દુનિયાને પરમાણુ શસ્ત્રથી મુક્ત કરવા મથી રહી છે અને તેની સાથે દુનિયાના કુલ 101 દેશોની 468 સંસ્થાઓ પણ આ મામલે સક્રિય છે. આ સંસ્થાને હમણાં જુલાઈ-2017માં જ એક મોટી સફળતા મળી હતી. આ સંસ્થાના પ્રયાસોને કારણે જ 7 જુલાઈ, 2017ના રોજ ન્યૂ યૉર્ક ખાતે દુનિયાના 122 દેશોએ યુનાઇટેડ નેશન્સ ન્યુક્લિયર વેપન બાન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા. અલબત્ત, પરમાણુ હથિયારો ધરાવતા દેશોએ આ સંધિમાં હસ્તાક્ષર કર્યા નહોતા, છતાં આજે દુનિયા પરમાણુ મુક્ત થવા માગે છે, એ વાત વધારે નક્કર રીતે વ્યક્ત થઈ હતી અને પરમાણુ હથિયારો માટે મૂછો મરડનારાને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાને નોબેલ મળ્યો, તેની સૌથી વધારે ખુશી જાપાનીઝ લોકોને થઈ છે, કારણ કે તેઓ પરમાણુ શસ્ત્રનો ભોગ બની ચૂક્યા છે. અમેરિકા સહિતના પરમાણુ શસ્ત્રોસમ્પન્ન દેશો પણ શું આવી દુર્ઘટનાનો ભોગ બન્યા પછી જ જાગશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 4, 2017

ઘડવૈયા મારે ‘કુમારી’ નથી થાવું!

દિવ્યેશ વ્યાસ


નેપાળમાં ‘જીવતી દેવી’ની પ્રથા સદીઓથી ચાલે છે. તાજેતરમાં ત્રણ વર્ષની એક બાળાને ‘કુમારી’ જાહેર કરવામાં આવી છે

(તસવીર ગૂગલ ઇમેર પરથી મેળવી છે)

થોડા દિવસ પહેલાં જ આશરે ત્રણેક વર્ષની ઈભ્યા ગુજરાતનાં અખબારોમાં ચમકી હતી. આ દીકરીનાં પિતા તથા માતા, એમ બન્નેએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરતાં આટલી નાની બાળાનું હવે શું થશે? માતા-પિતાની ગેરહાજરીમાં તેનું બાળપણ કેવું અને કેવી રીતે વીતશે? એવી ચિંતાઓ રાજ્યભરમાં પડઘાવા માંડી હતી. આ સમાચારના તરંગો હજુ શમ્યા નહોતા ત્યાં ઇન્ટરનેટ પર બીજા એક સમાચાર વાંચવા મળ્યા કે નેપાળમાં એક ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ (જીવતી દેવી) જાહેર કરવામાં આવી છે. આ બાળાએ હવે પોતાનું ઘર અને માતા-પિતાને છોડી દેવાં પડશે અને આશરે દશેક વર્ષ સુધી ઘર-પરિવારથી દૂર કુમારીઘરમાં રહેવાનું થશે!

નેપાળમાં ગત 28મી સપ્ટેમ્બરની મધરાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા તૃષ્ણા શાક્ય નામની ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ તરીકે સ્થાપિત કરવામાં આવી. દેવી બનવા માટે શાસ્ત્રોમાં વર્ણિત તમામ 32 લક્ષણો ધરાવતી તૃષ્ણા હવે તલેજુ (તુલજા) માતા તરીકે પૂજાશે. તૃષ્ણાએ હવે ઘર-પરિવારથી દૂર ચોવીસેય કલાક ‘કુમારી ઘર’માં જ રહેવાનું થશે. તૃષ્ણાકુમારી ઘરમાંથી બહાર નીકળી શકશે, પરંતુ વર્ષમાં માત્ર 13 વખત અને એ પણ વારે-તહેવારે- માત્ર ‘દર્શન’ આપવા માટે! જીવતી દેવી તરીકે તેની કાળજી બહુ લેવાશે, તેનો પડ્યો બોલ ઝિલાશે, તેની મોટા ભાગની જીદ પણ પૂરી કરાશે, તેને માન-સન્માન પણ ખૂબ મળશે, લોકો તેને દેવી તરીકે પૂજશે, પરંતુ એનું બાળપણ તો છિનવાઈ જ જશે. ‘કુમારી’ તરીકે તે પૂજાશે, પરંતુ તેના પર કેવાં કેવાં નિયંત્રણો હશે, કેવા નિયમો તેણે પાળવા પડશે, એનો બિચારી ત્રણ વર્ષની બાળાને અંદાજ પણ નહીં હોય.

નેપાળમાં કુમારીપ્રથા કંઈ આજકાલની નથી, આશરે અઢીસો વર્ષથી ચાલી આવે છે. કુમારિકાને તેઓ જીવતી દેવી ગણીને પૂજે છે. કુમારિકામાં સાક્ષાત્ મા દુર્ગાનાં દર્શન કરે છે. નેપાળમાં હવે રાજાશાહી નથી રહી, બાકી પહેલાં તો નેપાળના રાજા પણ કુમારીને વંદન કરીને આશીર્વાદ મેળવતા હતા. આજે પણ રાજપરિવાર જીવતી દેવી પર આસ્થા ધરાવે છે. પહેલી નજરે તો આ વાત જાણીને કોઈ પણને અહોભાવ થઈ શકે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આજે પણ ‘જીવતી દેવી’ આકર્ષણનું એક કેન્દ્ર છે જ. અલબત્ત, જીવતી દેવી બનાવાયેલી બાળાની દૃષ્ટિએ વિચારીએ તો તેનો સામાન્ય બાળકની જેમ બાળપણ ભોગવવાનો અધિકાર છિનવાઈ જતો હોય છે. દીકરી બનીને લાડકોડ કરવાની વયે તેણે માતા-દેવી બનવાનો ભાર ભોગવવો પડે છે. ખુલ્લા આકાશમાં રમવાની ઉંમરે તેણે મંદિરમાં કેદ થઈ જવું પડતું હોય છે. ખેલવા-કૂદવાની અવસ્થામાં તેણે પાલખીમાં ખોડાઈ જવું પડે છે. નથી તે પોતાના ઘરે જઈ શકતી કે નથી પોતાનાં ભાઈ-બહેનો સાથે રમી શકતી. કુમારી જાહેર થયેલી બાળાના બાળપણનાં સુવર્ણ વર્ષો છિનવાઈ જાય છે. આગળ જતાં તે તરુણાવસ્થામાં પ્રવેશે અને માસિક ધર્મની શરૂઆત થાય ત્યારે તેને ‘કુમારી’ કે ‘જીવતી દેવી’ તરીકે નિવૃત્ત કરવામાં આવે છે. કુમારી કે જીવતી દેવી ન રહ્યાં પછી પણ તે સામાન્ય યુવતી જેવું જીવન જીવી શકતી નથી. શાસ્ત્ર પ્રમાણે તે ‘કુમારી’ મટી ગયા પછી પરણીને સંસાર પણ માંડી શકે છે, પરંતુ દેવી બનેલી યુવતીને પરણવાનું પાપ કરનાર નાની વયે મૃત્યુ પામે છે, એવી લોકમાન્યતાને કારણે ભાગ્યે જ કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર થતું હોય છે. વળી, તેને શિક્ષણ પણ અપાતું નથી, એટલે સ્વતંત્ર-આત્મનિર્ભર જીવન પણ જીવી શકતી નથી અને પોતાના પરિવાર પર અવલંબિત રહેવું પડે છે. જોકે, બાળ અધિકારના કર્મશીલોની અરજી પછી નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં પોતાના ચુકાદામાં કુમારીના અધિકારોનું હનન ન કરવા માટે તાકીદ કરી હતી અને હવે કુમારીઘરમાં જ કુમારી માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. કુમારી જેવી પ્રથાથી સમાજનું કે ધર્મનું શું ભલું થતું હશે, આપણે જાણતા નથી, પણ જીવતી દેવી બનતી બાળાનું ભલું તો ભાગ્યે જ થતું હોય છે.

ઈભ્યા અને તૃષ્ણા, આ બન્ને બાળાઓનાં દૂધમલ જીવનમાં ધર્મ ખરેખર તો સાકર બનવો જોઈતો હતો, પરંતુ નમક કઈ રીતે બની ગયો? ધર્મ તો સૌનું રક્ષણ કરે છે, ત્યારે આપણે ધર્મને એવા તે કયા રસ્તે લઈ ગયા છીએ કે તે બાળાઓના નાજુક અધિકારોનું પણ રક્ષણ કરવા સમર્થ નથી રહ્યો? મનોમંથન જરૂરી છે. કરશોને?

(‘દિવ્ય ભાસ્કર’ની 4 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

Wednesday, September 27, 2017

દાસ કેપિટલ : શ્રમનો સૂર્યોદય

દિવ્યેશ વ્યાસ


કાર્લ માર્ક્સના શકવર્તી પુસ્તક ‘દાસ કેપિટલ’ના પ્રકાશનને 150 વર્ષ થયાં છે. માર્ક્સે દુનિયાને શ્રમનું મૂલ્ય સમજાવ્યું હતું 

(તસવીરો વિકિપીડિયાની સાઇટ પરથી લીધેલી છે.)

‘દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’ આ વાક્ય કોનું? એવો સવાલ આપણને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો મોટાભાગના સાચો જવાબ આપી શકે - કાર્લ માર્ક્સ. માર્ક્સનું બીજું એક વાક્ય પણ આપણા કાને અને આંખે વારંવાર અથડાતું હોય છે, ‘ધર્મ એ સમાજનું અફીણ છે.’ મૂડીવાદી માહોલમાં માર્ક્સ વિશે આનાથી વધારે આપણે ભાગ્યે જ જાણી શકવાના! પણ, કાર્લ માર્ક્સ એવા મહાનુભાવ છે, જેનું નામ દુનિયાના ઇતિહાસમાં કાલજયી છે અને રહેવાનું છે. કાર્લ માર્ક્સને આટલા બધા ‘માર્ક્સ’ તેમના પ્રત્યેના ભક્તિભાવને કારણે નહીં, પરંતુ તેમના વિચારો અને પુસ્તકોએ દુનિયા પર જે પ્રભાવ પાડ્યો, એને ઇતિહાસ અવગણી શકે એમ નથી. માર્ક્સના વિચારો સાથે કેટલા સહમત થવું, કેટલા અસહમત થવું, એ આપણી સમજ અને વિવેક પર આધીન છે, પરંતુ માર્ક્સના એકેય વિચારો સાથે સહમત ન હોવા છતાં તેમના વિચારો દ્વારા અનેક રાષ્ટ્રોમાં પેદા થયેલી ક્રાંતિ અને તેનાં વ્યાપક પરિણામોની વાતો કોઈને પણ પ્રભાવિત કરી શકે છે.

માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે શ્રમિકો-કામદારો-મજૂરોના (આમાં માત્ર મજૂરો જ નહીં, તમામ નોકરિયાતો-પગારદારો પણ આવી જાય!) શોષણ અને અન્યાયની વિરુદ્ધ લડત-સંઘર્ષની વાત કરી છે, એ  શું આજે પણ પ્રસ્તુત નથી? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, આર્થિક અસમાનતા પેદા થાય, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, પરિણામે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ સતત વધતી રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના... અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869)પણ નહોતા!

આજે માર્ક્સ પારાયણ કરવાનું નિમિત્ત બન્યું છે, તેમનું પુસ્તક ‘દાસ કેપિટલ’. ગત 14મી સપ્ટેમ્બરના રોજ આ શકવર્તી પુસ્તકના પ્રકાશનને 150 વર્ષ પૂરાં થયાં. ઈ.સ. 1867માં જોકે, દાસ કેપિટલનો પહેલો ભાગ જ પ્રકાશિત થયો હતો બાકીના બે ભાગ માર્ક્સના નિધન પછી તેમના સાથી-સહયોગી ફેડ્રીક એન્જલ્સે અને ચોથો ભાગ કાર્લ કૌટ્સ્કીએ સંપાદિત-પ્રસિદ્ધ કરેલો.

એક પુસ્તકનો શું પ્રભાવ હોઈ શકે, એની વાત કરવી હોય તો ‘દાસ કેપિટલ’ તેનું એક મોટું ઉદાહરણ બની શકે એમ છે, કારણ કે આ એક પુસ્તકે દુનિયાની કેટલીક સત્તાઓને ઊથલાવી દીધી હતી. વિશ્વમાં ‘બાઇબલ’ પછી સૌથી પ્રભાવશાળી પુસ્તકમાં તેનો બીજો ક્રમ આવે છે. ઘણા તો આને ‘રેડ બાઇબલ’ પણ ગણાવે છે. રશિયા અને ચીન જેવા દેશોમાં આ પુસ્તકના પ્રભાવને કારણે ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી હતી. આ દેશોની ક્રાંતિએ બીજા અનેક નાના-મોટા દેશોમાં ક્રાંતિનો ચેપ લગાવ્યો હતો અને મૂડીવાદ સામે સામ્યવાદનો પડકાર સર્જાયો હતો.

જોકે, માર્ક્સના વિચારો કરતાં પણ સામ્યવાદના નામે સંતોષાયેલી સત્તાવિસ્તારની લાલસાએ સામ્યવાદ અને માર્ક્સને ખૂબ જ બદનામ કર્યા છે. સામ્યવાદી શાસનમાં શ્રમિકો અને ખેડૂતોનું શોષણ અટક્યું ને તેમના ‘અચ્છે દિન’ આવી ગયા, એવું ન બન્યું, માત્ર શોષણખોર બદલાયા અને સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ લટકામાં. આને કારણે જ સામ્યવાદનાં વળતાં પાણી થયાં અને સમગ્ર વિશ્વમાં ફરી મૂડીવાદ મજબૂત બન્યો છે. સોવિયત સંઘના વિઘટન અને છેલ્લે ઇ.સ. 2011માં અરબ ક્રાંતિ પછી કહેવાતું સામ્યવાદી શાસન માંડ ચીન કે ઉ. કોરિયા જેવા રડ્યાખડ્યા દેશોમાં જ બચ્યું છે. તો શું માર્ક્સના વિચારો અને સામ્યવાદ નિષ્ફળ ગયા છે? અપ્રસ્તુત થયા છે? આનો જવાબ સ્પષ્ટ રીતે હા પાડી શકાય એમ નથી. સામ્યવાદે અર્થતંત્રમાં શ્રમ અને શ્રમિકના મૂલ્યને પ્રસ્થાપિત કરી આપ્યું છે અને એને કારણે જ આજે આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવાની સમજ અને શક્તિ જોવા મળે છે. કાર્લ માર્ક્સના પુસ્તક ‘દાસ કેપિટલે’ શ્રમનો સૂર્યોદય કરાવ્યો હતો, એવું કબૂલ કરવું જ પડે. તમે શું માનો છો?

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, September 20, 2017

ઝેન કથા : બૌદ્ધિક બુલેટ

દિવ્યેશ વ્યાસ


જાપાનના સહયોગથી મળનારી બુલેટ ટ્રેનના વધામણાની સાથે સાથે બૌદ્ધિક બુલેટ જેવી ઝેન કથાઓ કેમ વિસરાય?



‘આ વર્ષે મેં જીવનનો પૂરેપૂરો આનંદ ઉઠાવ્યો.’ શિષ્યે ગુરુને કહ્યું. ‘અચ્છા?’ ગુરુએ પૂછ્યું, ‘તેં શું શું કર્યું?’ ‘સૌથી પહેલાં સમુદ્રમાં ઊંડી ડૂબકી મારતા શીખ્યો.’ શિષ્યે જણાવ્યું, ‘પછી દુર્ગમ જંગલો પણ સર કર્યાં. મેં રણમાં પણ દિવસો વિતાવ્યા. મેં પેરાગ્લાઇડિંગ પણ કર્યું અને તમે માનશો નહીં મેં...’ ગુરુએ હાથ ઊંચો કરી શિષ્યને અટકાવતાં પૂછ્યું, ‘ઠીક છે, ઠીક છે, પરંતુ આ બધું કરતી વખતે તને જીવનનો આનંદ ઉઠાવવાનો સમય ક્યારે મળ્યો?’

આ છે ઝેન કથા. બુલેટ જેવી જ ટચૂકડી, પણ સોંસરવી ઊતરી જાય એવી! આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મ જાપાનમાં ઝેન સ્વરૂપે ફૂલ્યોફાલ્યો છે. ઝેન માણસની પૂર્ણ જાગૃતિમાં માને છે. આમ તો ધર્મને અફીણ સાથે સરખાવવામાં આવે છે, પણ ઝેન જરા હટકે વિચારધારા છે, તે કોઈ પણ જાતના કેફ કે ઘેનથી સદાય દૂર રહીને સતત જાગૃત રહેવાની સલાહ આપે છે. ઝેન સંતોએ મોટા મોટા બોધપાઠો-શીખને નાની નાની વાર્તાઓમાં વણી લઈને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. તર્કનાં તીરો ચલાવીને લોકોનાં દિમાગ પર ચડેલા ધર્મ સંપ્રદાયના કેફને ઉતારવા માટે મથનારા ઓશો રજનીશનાં પ્રવચનોમાં સહજપણે ઝેન કથાનો સમાવેશ થયેલો જોવા મળે છે. ગુજરાતમાં જાપાનના સહયોગથી આવનારી બુલેટ ટ્રેનની ચર્ચા ચાલી રહી છે ત્યારે બૌદ્ધિક બુલેટ સમી ઝેન કથાઓને કેમ વીસરી શકાય. બીજી એક ઝેન કથા માણીએ:

એક ઝેન સાધુની કુટીરમાં ચોર ઘૂસેલો. એવામાં સાધુ આવ્યા અને તેમણે ચોરને પકડ્યો. સાધુની કુટીરમાંથી તો ચોરને શું મળે? જોકે, સાધુએ ચોરને કહ્યું, ‘તું બહુ દૂરથી આવ્યો હશે. તારે ખાલી હાથે ન જવું જોઈએ. ચાલ, હું તને મારાં વસ્ત્રો આપી દઉં.’ ચોરને શરમ તો આવી, પણ તે વસ્ત્રો લઈને ચાલ્યો ગયો. સાધુ તો કુટીરમાં નગ્ન બેઠા આકાશમાં ચાંદને જોવા લાગ્યા. તેમણે વિચાર્યું, ‘બિચારો ચોર, કાશ હું તેને આ ચાંદ આપી શક્યો હોત!’

ટચૂકડી વાર્તામાં કેટકેટલા સંદેશા અને શીખ મળે છે! આ જ મજા છે, ઝેન કથાઓની. આજના મહત્ત્વાકાંક્ષી માનવીને વિચારતાં કરી દે, એવી વધુ એક ઝેન કથા જોઈએ:

એક પ્રખ્યાત અભિનેત્રી ઝેન આશ્રમમાં આવી અને કહ્યું, ‘જ્યારે હું અભિનેત્રી નહોતી ત્યારે મને થતું હું ‘કંઈ જ નથી’. હું કંઈક બનવા માગતી હતી. એ માટે મેં ખૂબ જ મહેનત કરી. મારી જે કંઈ ઇચ્છા હતી, એ બધું જ મેં મેળવ્યું. આજે મારી પાસે બધું જ છે.’ ઝેન સંતે પૂછ્યું, ‘તો પછી તું અહીં કેમ આવી છે?’ અભિનેત્રીએ જવાબ આપ્યો, ‘હું ફરી ‘કંઈ જ નથી’ બનવા માગું છું.’

બીજી પણ એક ઝેન કથા જોઈએ, જે જીવનને સહજતાથી અને જાગૃતિપૂર્વક આગળ વધારવાનો સંદેશો આપે છે.

એક નવા સાધકે ગુરુને પૂછ્યું, ‘હું હજુ હમણાં જ મઠમાં જોડાયો છું. કૃપા કરીને મને કોઈ શીખ આપો.’ ગુરુએ સામે પૂછ્યું, ‘શું તમે તમારી ખીચડી ખાઈ લીધી છે?’ નવો સાધક કહે, ‘હા જી.’ ગુરુએ કહ્યું, ‘તો તમારાં વાસણ પણ ધોઈ લો.’ કહે છે કે એ સાધકને તરત બોધિ પ્રાપ્ત થઈ ગઈ હતી.

છેલ્લે એક ઝેન કથા સાથે લેખ પૂરો કરું છું, પણ આશા રાખું છું આપનું ચિંતન ચાલુ રહેશે.

‘એક વ્યક્તિ બેકાબૂ બનેલા ઘોડા પર બેઠી હતી અને ઘોડો રસ્તા પર દોડ્યે જતો હતો. સડકના કિનારે ઊભેલા એક યાત્રીએ બૂમ પાડીને પૂછ્યું, ‘ભાઈ, ક્યાં જઈ રહ્યો છે?’ ઘોડેસવારે લગભગ ચીસ પાડીને જવાબ આપ્યો, ‘મને કંઈ ખબર નથી! તમે ઘોડાને પૂછી જુઓ!!’

આપને તો ખબર હશે જ કે તમે જેના પર સવાર છો, એ ઘોડો તમને ક્યાં લઈ જઈ રહ્યો છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 13, 2017

સૂ કી : સિદ્ધાંત V/s સત્તામોહ

દિવ્યેશ વ્યાસ


રોહિંગ્યા મુદ્દે સૂ કીના મૌન અને પછી લૂલા બચાવે તેમની વૈશ્વિક શાખ અને શાનને બટ્ટો લગાવ્યો છે

(લેખને અનુરૂપ હાવભાવવાળી આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડીએનએમાં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરાય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજા નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.

સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સસન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રીયતા તો દેખાવી જોઈએને?

રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જોકે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ-ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.  

સૂ કીના મીંઢા મૌનની ટીકા દ. આફ્રિકાના આર્કબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યા છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓનલાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)