Wednesday, November 29, 2017

જાતિવાદ : આ પણ એક ઉકેલ

દિવ્યેશ વ્યાસ


ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હવે જુદા જુદા વંશના લોકો પ્રત્યે સમભાવ-સદભાવ પેદા કરતો કોર્સ ફરજિયાત કરાયો છે


(મેગડેલન કૉલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

જાતિવાદનો જ્વાળામુખી ચૂંટણીના માહોલમાં અચૂક ફાટતો હોય છે. આપણું રાજકારણ જાતિકેન્દ્રિત થઈ ગયું છે, તે વાસ્તવિકતા છે. રાજકીય પક્ષો દરેક જાતિને પોતાની મતબેન્કની જેમ જોતા હોય છે. ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીની વ્યૂહરચનામાં જાતિનાં સમીકરણો જ કેન્દ્રસ્થાને હોય છે. રાજકીય પક્ષો ‘સારા’ નહિ, ’જીતાડે’ એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળતા હોય છે. મોટા ભાગના લોકો મત આપવા જાય ત્યારે ઉમેદવારની જાતિને અચૂક ધ્યાને લેતા હોય છે, એ રાજકારણીઓ જાણે છે. સત્તાલોલુપ રાજનેતાઓ લોકોની નાડ (આમ તો નબળી કડી) પારખી ગયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની ધમાધમી ચાલી રહી છે ત્યારે સામસામે જાતિવાદ ચલાવવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, છતાં સૌ જાણે છે કે બધા પક્ષો જાતિવાદનું રાજકારણ જ રમતા હોય છે. દરેક પક્ષ અન્ય પક્ષો પણ જાતિવાદ ચલાવવાનો આક્ષેપ અચૂક મૂકે છે, છતાં તેઓ જ્યારે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીનાં સમીકરણો માંડે ત્યારે જાતિવાદનું પડખું જરૂર સેવતા હોય છે.

જાતિવાદનો જ્વાળામુખી કોઈ જાતિનું ભલું કરી નાખે, એવું માનવાને કોઈ કારણ નથી. જાતિનાં સંગઠનોની પ્રવૃત્તિનો તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આ બધી પ્રવૃત્તિ પર માન-મોભા-પ્રતિષ્ઠા માટે વધારે હોય છે, જાતિના મોટા ભા બનેલાઓ એકબીજાની પીઠ થાબડતા રહેતા હોય છે, પરંતુ તેનાથી જાતિના જ છેવાડેના, કચડાયેલા, વંચિત, ગરીબના જીવનમાં કોઈ મોટો ફરક આવતો નથી. જાતિના નામે નાની મોટી સખાવતો થાય છે, અમુક પ્રસંગો સચવાય છે, પરંતુ લાંબેગાળાનો હિસાબ માંડતા આ બધું સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવું જ બની રહેતું હોય છે.

જાતિ જાણે આપણા સામાજિક ડીએનએનો ભાગ બની ગઈ હોય, એટલી જડ છે, કદાચ એટલે જ વિનોબા ભાવે દ્વારા કહેવાયું હતું કે ‘જો જાતી નહિ વહ જાતિ હૈ!’ જોકે, આપણે ભારતને સુપરપાવર બનાવવા માગતા હોઈએ તો સમાજને જાતિના વાડાઓથી મુક્ત કર્યા વિના છૂટકો નથી. સત્તાલોલુપો જાતિવાદી રાજકારણ રમીને લોલીપોપથી વિશેષ કશું આપતા નથી અને તેને કારણે સમાજનો અને દેશનો વિકાસ રૂંધાતો રહે છે. આધુનિક સમયમાં જાતિવાદ ઓગળવાને બદલે વધારે ઘટ્ટ બન્યો છે ત્યારે આપણે એના વિશે વધારે ગંભીરતાથી વિચારવું રહ્યું.
ભારતમાં જેમ જાતિવાદ છે તેમ પશ્ચિમી દેશોમાં રંગભેદ અને વંશવાદ છે. અમેરિકા અને યુરોપે રંગભેદને મીટાવવા માટે વ્યવસ્થાગત-માળખાગત પગલાં (એફર્મેટિવ એક્શન્સ) ભરીને ઘણા અંશે સફળતા મેળવી છે. યુરોપમાં દુનિયાભરના અનેક દેશોના લોકો સ્થાયી થયા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં વંશવાદનો મુદ્દો ગંભીર બન્યો છે. યુરોપમાં પણ મૂળનિવાસી જેવા વંશો અંગેના સવાલો પેદા થયા છે. વંશવાદ વધુ વકરે તો સામાજિક ભેદભાવ આગળ જતાં રમખાણોનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સ્થિતિને નિવારવા માટે ત્યાંના રાજનેતાઓ કેટલું વિચારે છે, એ ખબર નથી પરંતુ શિક્ષણ સંસ્થાઓએ પોતાની જવાબદારી સમજીને આગળ વધવાનું મુનાસિબ માન્યું છે.

તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સૌથી માલદાર ગણાતી મેગડેલન કૉલેજે આવતા વર્ષથી નવા વિદ્યાર્થીઓ માટે વંશ જાગૃતિ અભ્યાસક્રમ ફરજિયાત કરી દીધો છે. આ કોર્સ અંતર્ગત યુરોપના પરંપરાગત લઘુમતી વંશો અંગે જાણકારી આપવામાં આવશે. જોકે, જાણકારી કોરી નહીં હોય, પરંતુ તેમણે એ વંશના લોકોની પરંપરાઓ, ભોજન, વસ્ત્રો વગેરેનો જાતઅનુભવ પણ મેળવવાનો રહેશે. યુરોપમાં ભારતીય લોકો સારી એવી સંખ્યામાં છે, તેને ધ્યાનમાં રાખીને આ કોર્સ અંતર્ગત ભારતીય ભોજનની વાનગી ઇન્ડિયન ફિશ પાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે!

વિદ્યાર્થીઓને જુદા જુદા વંશ અને તેમની પરંપરાથી પરિચિત કરીને વંશવાદને બદલે તમામ વંશ પ્રત્યે સમભાવ-સદ્્ભાવ કેળવવાની આ કોશિશ ખરેખર અનુકરણીય જણાય છે. આપણે જો ખરેખર જાતિવાદથી મુક્ત થવા માગતા હોઈએ તો જાતિઓ વચ્ચે સંવાદ અને વ્યવહાર વધે એવા પ્રયાસોના ભાગ રૂપે નવી પેઢીને જુદા અભિગમથી કેળવવાની દિશામાં વિચારવું રહ્યું. ચૂંટણીની ચર્ચામાંથી ફ્રી પડો ત્યારે જરા વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 22, 2017

અંધશ્રદ્ધાને પંપાળવાની શી જરૂર?

દિવ્યેશ વ્યાસ


મહારાષ્ટ્ર પછી હવે કર્ણાટકે પણ અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની દિશા પકડી છે. શું ગુજરાતમાં આવા કાયદાની જરૂર નથી?

(તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આજે આપણા દેશમાં લોકશાહીની જે કંઈ અવદશા થઈ છે, તેના મૂળમાં છે આપણા સમાજજીવનમાં વિમર્શનો અભાવ. જાહેર જીવનમાંથી વિમર્શ જ્યારે ગાયબ થાય છે ત્યારે વિખવાદ અચૂક વકરે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે રાજકારણના નામે જે કાવાદાવા, ષડ્યંત્રો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની મારામારી ચાલી રહી છે, તે ગુણવંતા ગુજરાતીઓને શોભે એવી છે? આવી ચિંતાજનક સ્થિતિ પેદા થવાનું કારણ છે કે આપણે ત્યાં કોઈ પણ મુદ્દે જાહેર ચર્ચા-વિચારણા થાય, એવી સંસ્કૃતિ લગભગ લુપ્ત થઈ ગઈ છે. ચૂંટણીના માહોલમાં તમે કોઈ પણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હોય એવું જોયું? ટીવી ચેનલો સહિતનાં માધ્યમો ચર્ચા કરાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાં ચર્ચાના નામે કકળાટ અને કાદવઉછાળ જ ચાલતો હોય છે. દેશનું એક વિકસિત રાજ્ય પાંચ વર્ષ માટે પોતાના સત્તાધીશોની પસંદગી કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રાણપ્રશ્નો, આરોગ્ય-શિક્ષણ અંગેના મુદ્દાઓ, નાગરિકોને મળતી સુવિધાઓ અને કનડતી સમસ્યાઓ, મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે ભાવિ આયોજનો વગેરે અંગે વિચાર-વિમર્શ થવા જોઈએ, પરંતુ કદાચ એકેય રાજકીય પક્ષને આવી બાબતોમાં રસ નથી અને લોકો પણ જોઈએ એટલા સભાન-સક્રિય નથી. તેને કારણે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ હાંસિયામાં જ ધકેલાયેલા રહે છે. સરકારનું એક અગત્યનું કામ સામાજિક વિકાસ પણ હોય છે, પરંતુ જ્ઞાતિવાદી વિખવાદોની આગમાં મૂળ મુદ્દાઓનું બાષ્પીભવન થઈ જતું હોય છે. આવો જ એક મુદ્દો છે આપણા સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા.

ગુજરાત આમ તો પ્રગતિશીલ રાજ્ય છે. અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે ત્યાં શહેરીકરણનો દર વધારે છે, તેમ સાક્ષરતાનો દર પણ વધારે છે. ગુજરાતના લોકો આધુનિક અભિગમ ધરાવતા હોવાની છાપ છે, છતાં આપણા રાજ્યમાં પણ અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના બનાવો વારંવાર અખબારોમાં ચમકતા જોવા મળે છે. સતનાં પારખાં માટે ઉકળતા તેલમાં હાથ નાખવાથી માંડીને માતાજીના નામે આર્થિક છેતરપિંડી થતી હોવાના અનેક કિસ્સાઓ આપણી આજુબાજુ બનતા જોવા મળે છે. એવા કેટલાય રિવાજોનાં ઉદાહરણ આપી શકાય, જે આજે પણ જાતિભેદને ઘાટો બનાવતા હોય. અમુક તહેવારો પર એવી વિધિઓ અને ઉજવણીઓ પણ થતી હોય છે, જે માનવીય ધોરણે યોગ્ય ન લાગે. ધર્મ અને પરંપરાના નામે અનેક કુરિવાજો લગભગ તમામ ધર્મોમાં જોવા મળે છે. જોકે, ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષ આવા કુરિવાજો કે અંધશ્રદ્ધા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ જણાય છે. આજે સ્થિતિ એવી છે કે ચૂંટણીમાં મત ગુમાવવાના ડરે આવો કોઈ મુદ્દો ઊભો થાય તોપણ ઢાંકપિછોડો કરવામાં આવે છે કે પછી રૂઢિવાદીઓને જાહેરમાં સમર્થન આપી દેવામાં આવે છે.

શું ગુજરાતમાં ચૂંટણી લડતો એક પણ પક્ષ એવી જાહેરાત કરવાની હિંમત દાખવશે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની જેમ તેઓ સત્તા પર આવશે તો અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદો ઘડવામાં આવશે? આવા સવાલોને મોટા ભાગે અવગણવામાં જ આવતા હોય છે. જોકે, કર્ણાટકના રાજકારણીઓ એક રીતે સાહસિક કહેવાય કે તેમણે સામી ચૂંટણીએ પણ અંધશ્રદ્ધા વિરોધી વિધેયકને વિધાનસભામાંથી પસાર કર્યું છે. કર્ણાટકની કૉંગ્રેસ સરકારની પ્રતિબદ્ધતાની સાથે સાથે ભાજપ અને જનતા દળ (એસ) સહિતના પક્ષોના સહકારને કારણે લગભગ સર્વસંમતિથી આ વિધેયક વિધાનસભામાંથી પસાર થયું છે અને ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

કર્ણાટક પહેલાં મહારાષ્ટ્રે દેશમાં સૌપ્રથમ આવો કાયદો બનાવીને નવો ચીલો પાડ્યો હતો. નરેન્દ્ર દાભોળકરના અંતિમ શ્વાસ સુધીના અથાક પ્રયાસોને પરિણામે મહારાષ્ટ્ર સરકાર પર અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવાનું દબાણ ઊભું થયું હતું. કર્ણાટકમાં પણ એમ.એમ. કલબુર્ગી સહિતના રેશનાલિસ્ટોએ અંધશ્રદ્ધામાં હોમાતા અજ્ઞાની નાગરિકોને બચાવવા માટે રાજ્ય સરકાર પર દબાણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં જેમ દાભોળકરની હત્યા પછી આવો કાયદો થયો, એવું જ કર્ણાટકમાં પણ કલબુર્ગી અને આવા કાયદાની પ્રબળ માગણી કરનારાં ગૌરી લંકેશની હત્યા પછી આવો કાયદો બનાવવાની ગંભીરતા ઊભી થઈ હતી. કર્ણાટકના અંધશ્રદ્ધા વિરોધી કાયદાને કદાચ કલબુર્ગીના નામ સાથે જોડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શકે છે. અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાનાં મૂળિયાં આપણે ત્યાં એટલાં ઊંડાં અને મજબૂત થઈ ગયાં છે કે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવનારે જીવ પણ ગુમાવવો પડતો હોય છે.

અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને કારણે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, ભેદભાવનો સામનો કરી રહ્યા છે, મહિલાઓ જાતીય શોષણનો ભોગ બનતી હોય છે, એટલું જ નહીં સેંકડો લોકો જીવ પણ ગુમાવતા હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ વર્ષ 2015માં 135 મહિલાને ડાકણ જાહેર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી!

હવે તમે જ નક્કી કરો, ધર્મ-પરંપરાના નામે ફેલાવાતી અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને સમાજમાં સ્થાન હોઈ શકે? હા, કાયદો બનાવી દેવાથી સમસ્યા ઉકેલાઈ જવાની નથી, છતાં એ દિશામાં ડગ માંડવા માટે કાયદો ઉપયોગી બને છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાની પહેલ કોણ કરશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 15, 2017

ગિજુભાઈનું અધૂરું ‘દિવાસ્વપ્ન’

દિવ્યેશ વ્યાસ


બાળ શિક્ષણ બાબતે આપણી સરકાર અને સમાજ તરીકે આપણે બાઘા પુરવાર થઈ રહ્યા છીએ ત્યારે ગિજુભાઈનું સ્મરણ વધુ તીવ્ર બને છે




ગિજુભાઈ બધેકા. આ શબ્દો કાને પડતાં જ આપણને તેમનું લોકલાડીલું નામ ‘મુછાળી મા’ યાદ આવ્યા વિના રહેતું નથી. બાળકો પ્રત્યે અનહદ લાગણી અને લગાવ ધરાવતા ગિજુભાઈએ ‘મુછાળી મા’ નામને સાર્થક કરેલું, પરંતુ તેમને મળેલું બીજું અને ઓછું જાણીતું નામ છે, ‘બાલસાહિત્યનો બ્રહ્મા’. કાકાસાહેબ કાલેલકરે તેમના બાલસાહિત્ય ક્ષેત્રના યોગદાનને ધ્યાનમાં લઈને તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને પોંખ્યા હતા.

આજે ગિજુભાઈનો જન્મદિવસ (15 નવેમ્બર, 1884) છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે તથા બાલ સાહિત્ય ક્ષેત્રે મબલખ યોગદાન આપનારા ગિજુભાઈના જન્મદિવસની દર વર્ષે મોટા પાયે ઉજવણી થવી જોઈએ, પણ કમનસીબે થતી નથી. આ વર્ષે કોઈ ચૂંટણીનું બહાનું કાઢી શકે, પણ ખરેખર તો ચૂંટણીના મહિનાઓમાં તો ગિજુભાઈના પ્રદાનની ચર્ચા કરવાની સાથે સાથે આપણું રાજ્ય બાળશિક્ષણ ક્ષેત્રે ક્યાં છે, કેવી દિશામાં આગળ વધી રહ્યું છે, રાજ્યમાં બાળકોની હાલત કેવી છે, એનું વિશ્લેષણ કરવા માટે વિશેષ આયોજનો થવાં જોઈએ, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ‘પૈસા બોલતા હૈ’ યુગ પ્રવર્તી રહ્યો હોય, ત્યારે આવું તો કોને સૂઝે? વળી, જ્ઞાતિ કે ધર્મના કેફી રાજકારણમાં મસ્ત અથવા તો પછી વાહિયાત મુદ્દાઓની ચર્ચામાં વ્યસ્ત રહેનારાઓની કમી નથી ત્યારે આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કોઈ વિચાર કરતા નથી.

યુવાન ગિજુભાઈની મહેચ્છા તો પોતાના પિતાની જેમ વકીલ બનવાની હતી અને મુંબઈમાં જઈને ભણીને બન્યા પણ ખરા. વઢવાણ શહેરમાં રહીને વકીલાત કરીને નામ અને દામ પણ કમાયાં, પરંતુ તેમની નિયતિ કંઈક જુદી હતી. ઘરે પારણું બંધાયું પછી બાળ કેળવણી બાબતે સભાનતા વધી. વઢવાણમાં વારંવાર આવતા દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે દોસ્તી થયેલી. તેમણે સૂચવ્યું કે તમારે બાળશિક્ષણનું સાહિત્ય વાંચવું હોય તો વસો જાઓ અને ત્યાં મોતીભાઈ અમીનને મળી માર્ગદર્શન મેળવો. ગિજુભાઈનો જુસ્સો એવો હતો કે તેઓ તરત વસો ગયા. રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ગણાતા મોતીભાઈએ પોતાની નવી બાળશાળા બતાવી અને છોટુભાઈ પુરાણીએ લખેલું ‘મોન્ટેસોરી પદ્ધતિ’ નામનું પુસ્તક આપ્યું. આ મુલાકાત અને પુસ્તક ગિજુભાઈના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ પુરવાર થયાં. કેળવણી અંગેનું ચિંતન વધતું ગયું અને વકીલાતમાં રસ ઘટતો ગયો. દરમિયાન તેમના મામા હરગોવિંદદાસ પંડ્યાએ નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં સેવા આપવા ભાવનગર બોલાવ્યા. ભાવતું હતું અને વૈદ્યે કહ્યા જેવો ઘાટ થયો. ગિજુભાઈએ રાજી રાજી થઈને વકીલાતના વાઘા ઉતાર્યા, વઢવાણ છોડ્યું અને શિક્ષણની ધૂણી ધખાવવા ભાવનગર સ્થાયી થયા. પછી ભાવનગરમાં જે કંઈ થયું, તે ગુજરાતી બાળ કેળવણીનો સુવર્ણ ઇતિહાસ છે.

ગિજુભાઈએ બાળ કેળવણીનાં તમામ પાસાંઓ પર ખૂબ જ ઝીણવટથી કામ કર્યું અને એક ફિલોસોફી વિકસાવી, એક દર્શન (વિઝન) પૂરું પાડ્યું, જે આજે પણ અગાઉ ક્યારેય નહોતું એટલું માર્ગદર્શક અને ઉપયોગી છે. ગિજુભાઈ મોન્ટેસોરીના કુળના બાળ કેળવણીકાર હતા, છતાં તેમણે પોતાની કોઠાસૂઝથી આ ક્ષેત્રે ઘણા મૌલિક વિચારો અને પ્રયોગો આપ્યા છે, જે બાળશિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી રૂપ છે. ‘દિવાસ્વપ્ન’ નામનું ગિજુભાઈનું મૂલ્યવાન પુસ્તક દરેક શિક્ષકે, એમાંય પ્રાથમિક શાળાના શિક્ષકે વાંચવા જેવું છે. આ પુસ્તક વંચાશે-ચર્ચાશે તો ગિજુભાઈનું સપનું પૂરું કરવાની દિશામાં આગળ વધી શકાશે.

લેખના અંતિમ પડાવમાં ગિજુભાઈની એક રચના વાંચીએ:

જ્યાં સુધી બાળકો ઘરમાં માર ખાય,
શેરીમાં દુર્ગંધ ખાય અને શાળામાં ગાળ ખાય
- ત્યાં સુધી જંપ કેમ વળે?

જ્યાં સુધી આંધળા અને લૂલાં, ગાંડાં ને બાંડાં,
નાદાન અને ઊખડેલનો કોઈ બેલી નથી, ધણી નથી
- ત્યાં સુધી જંપ કેમ વળે?

ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી સ્થળે સ્થળે, બાળકો માટે શાળા નથી,
વાંચનાલય નથી, ક્રીડાંગણો નથી,
બાગબગીચા નથી, નાટકો નથી, સિનેમા નથી?

ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી એક પણ બાળક સન્માન વિનાનું છે,
 અસ્પૃશ્ય છે, માંદું છે, ગંદું છે, અવ્યવસ્થિત છે?

બાળ શિક્ષણની વર્તમાન સ્થિતિ જોઈને તમને અજંપો થાય છે ને? ગિજુભાઈ જિંદાબાદ!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 8, 2017

વીસ વર્ષની વિદ્યાદાત્રી

દિવ્યેશ વ્યાસ


બિહારની છોટી કુમારી સિંહને મહાદલિત મુસહર જાતિનાં બાળકો માટે શિક્ષણનો યજ્ઞ પ્રગટાવવા બદલ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે



ગયા સપ્તાહમાં એક સારા સમાચાર મળ્યા કે કેરળમાં કોચીન દેવસ્વમ્ બોર્ડે જાતિવાદી બંધનો અને ભેદભાવોની ભીંતો ભાંગવા માટે દલિત પૂજારીની નિમણૂક કરી છે. મથિલાકમના કુઝુપુલી ઉમેશ કૃષ્ણન હવે પૂજારી તરીકે કોચીન દેવસ્વમ્ બોર્ડના તાબા હેઠળના મહાદેવના મંદિરમાં સેવાપૂજા કરી શકશે. આ અગાઉ કેરળના જ ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે છ દલિતોને અધિકૃત રીતે પૂજારી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે રાજ્યમાં સંચાલિત પોતાનાં 1,504 મંદિરોના પૂજારીઓની નિયુક્તિમાં સરકારની અનામત નીતિનું પાલન કરવાનો નિર્ણય લીધો અને લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ જેવી પ્રક્રિયામાંથી છ દલિત પૂજારીની નિયુક્તિ કરવામાં આવી.

કેરળના દલિતોને તેમનો અધિકાર મળી રહ્યો છે, એ ચોક્કસપણે આનંદની વાત છે, પરંતુ ગુજરાત જેવા પ્રગતિશીલ મનાતાં રાજ્યો સહિતના દેશનાં અન્ય રાજ્યોમાં આઝાદીના સાત દાયકા પછી પણ દલિતની આર્થિક, સામાજિક કે રાજકીય સ્થિતિમાં કોઈ ગૌરવલાયક સુધારો જોવા મળતો નથી. બિહાર દેશનું એવું રાજ્ય છે, જ્યાં દલિતોમાં પણ અતિ પછાત હોય એવા સમુદાયો માટે મહાદલિત શ્રેણી ઊભી કરવામાં આવી છે. બિહારનો સૌથી પછાત અને વંચિત સમુદાય છે - મુસહર. બે ટંક ભોજન પણ ન પામી શકે, એવું આર્થિક પછાતપણું ભોગવતા આ સમુદાયના લોકો એક સમયે ઉંદરો પકડીને પેટ ભરતા હતા અને એટલે જ તેમની જાતિનું નામ મુસહર પડ્યું હતું.

મુસહર સમુદાયના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ ઉપરાંત નેપાળના તરાઈ પ્રદેશમાં વસે છે. આ સમુદાયના 96.3 ટકા લોકો જમીનવિહોણા છે અને 92.5 ટકા લોકો ખેતમજૂર તરીકે પેટિયું રળે છે. આ સમુદાયમાં સાક્ષરતાનો દર માંડ 9 ટકા છે. આઝાદીનાં 70 વર્ષમાં મુસહર જાતિમાંથી માત્ર એક વ્યક્તિ મેડિકલ ડૉક્ટર બન્યો છે અને એક જ વીરલો પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી શક્યો છે. આમ, સામાજિક ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક રીતે પણ આ સમુદાય અત્યંત પછાત છે.

કોઈ પણ સમુદાયના વિકાસ માટે સાક્ષરતા-શિક્ષણ અનિવાર્ય છે, છતાં આ સમુદાયના લોકોમાં પોતાનાં સંતાનોને શિક્ષણ આપવા બાબતે આજે પણ ઉદાસીનતા જોવા મળે છે. આ સ્થિતિમાં બિહારની 20 વર્ષની છોટી કુમારી સિંહે મુસહર સમુદાયનાં બાળકો માટે શિક્ષણનો યજ્ઞ પ્રગટાવ્યો છે અને તાજેતરમાં છોટી કુમારીની પ્રવૃત્તિ અને પ્રતિબદ્ધતાને આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખવામાં આવી છે. છોટી કુમારીને ‘વિમેન્સ ક્રિએટિવિટી ઇન રૂરલ લાઇફ એવોર્ડ’ અપાયાના સમાચાર ગત 25મી ઑક્ટોબરના રોજ ચમક્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડની વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન નામની સંસ્થા 1994થી આ એવોર્ડ આપી રહી છે. આ એવોર્ડ ગ્રામીણ સમુદાયોના જીવનની ગુણવત્તાને સુધારવા માટે સર્જનાત્મકતા, સાહસ અને પ્રતિબદ્ધતા દર્શાવનારા અને કંઈક હટકે કામગીરી કરનારને અપાય છે. અત્યાર સુધી આ એવોર્ડ હાંસલ કરનારાઓમાં છોટી કુમારીએ પોતાના નામ પ્રમાણે સૌથી નાની વયે જ હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે.

બિહારના ભોજપુર જિલ્લાના રતનપર ગામની છોટીકુમારી આમ તો રાજપૂત પરિવારની દીકરી છે, પરંતુ માતા અમૃતાનંદમયી મઠ સાથે સંકળાયા પછી તેણે પોતાના ગામના મુસહર સમુદાયનાં બાળકોને નિ:શુલ્ક ટ્યુશન આપવાનું બીડું વર્ષ 2014થી ઝડપ્યું છે. શિક્ષણ અંગે બેપરવા માતા-પિતાઓને પોતાનાં સંતાનોને ટ્યુશન માટે મોકલવા માટે રાજી કરવા કંઈ આસાન નહોતું, પરંતુ છોટી કુમારીએ ધીમે ધીમે માતા-પિતાનો વિશ્વાસ અને બાળકોનો પ્યાર હાંસલ કર્યો છે. છોટી કુમારી બાળકોને શિક્ષણ અને સ્વચ્છતાના પાઠ ભણાવવાની સાથે સાથે ગામની મહિલાઓને આરોગ્ય અને આર્થિક સ્વાવલંબનના પાઠ પણ ભણાવી રહી છે. રતનપર હવે ખુલ્લામાં શૌચમુક્ત ગામ બની ગયું છે. આજે રતનપરમાં શિક્ષણ અને સ્વચ્છતા અંગે અભૂતપૂર્વ કહી શકાય, એટલી જાગૃતિ આવી છે, તેમાં છોટી કુમારીની મોટી ભૂમિકા છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, November 1, 2017

મૂછો : અહંકાર નહિ, આરોગ્ય

દિવ્યેશ વ્યાસ


નવેમ્બરના મહિનાને મોવેમ્બર તરીકે પણ મનાવવામાં આવે છે. મૂછોના પ્રતીક સાથે પુરુષોના આરોગ્યને સાંકળવામાં આવે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોળી તોળી, છેલછબીલો ગુજરાતી હું છેલછબીલો ગુજરાતી...’ ગુજરાતના વિશિષ્ટ નાટ્યપ્રકાર ભવાઈમાં ખાસ ગવાતી આ પંક્તિથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. અહીં વાંકડી મૂછોને ગુજરાતીની ઓળખ તરીકે ઉપસાવવામાં આવી છે. ખરેખર તો સમગ્ર ભારતમાં કે ભારતીય સંસ્કૃતિમાં મૂછો એ પુરુષોની, પુરુષત્વની, મરદાનગીની નિશાની મનાઈ છે. મૂછો એ સ્વાભિમાન અને નાસમજ હોય તેમના માટે અભિમાનનું પણ પ્રતીક ગણાય છે. મૂછો અંગેના રૂઢિપ્રયોગો જોઈએ તો તેમાં ‘મૂછ ઊંચી રહેવી’, ‘મૂછ ચડાવવી’, ‘મૂછ નીચી કરવી’, ‘મૂછ નીચી થઈ જવી’, ‘મૂછ પર લીંબુ રાખવા’, ‘મૂછ મરડવી’ કે ‘મૂછમાં હસવું’ વગેરમાં પણ પુરુષના સ્વમાનનો જ સંદર્ભ જોવા મળે છે. ‘મરદમૂછાળા’ એવો શબ્દપ્રયોગ પણ આપણે ત્યાં જાણીતો છે. આમ, મૂછ એ પુરુષત્વની નિશાનીની સાથે સાથે તેમાં પુરુષાભિમાન પણ વરતાતું હોય છે. જોકે, આપણે આજે મૂછને પુરુષના અભિમાન નહીં, પરંતુ આરોગ્ય સાથે સાંકળીને વાત કરવી છે.
નવેમ્બર મહિનાને દુનિયાના કેટલાક દેશોમાં મોવેમ્બર તરીકે મનાવવામાં આવે છે. મોવેમ્બર એ ખરેખર તો એક ઝુંબેશનું નામ છે, જેમાં પુરુષોના આરોગ્ય બાબતે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોવેમ્બર શબ્દને ‘મૂછો’ (moustache) અને ‘નવેમ્બર’ને જોડીને રચવામાં આવ્યો છે. દર વર્ષે નવેમ્બરમાં મૂછો વધારવાની સાથે સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આમ તો મોવેમ્બર સાથે બે ઝુંબેશ જોડાયેલી છે, જેમાંની એક ઝુંબેશ મોવેમ્બર ફાઉન્ડેશન નામની ઓસ્ટ્રેલિયાની બિનસરકારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. આ ઝુંબેશની શરૂઆત 2003થી થઈ હતી. આ ઝુંબેશ અંતર્ગત પુરુષોમાં પ્રોસ્ટેટ અને ટેસ્ટીક્યુલરના કેન્સર અંગે જાણકારી વધારવાના પ્રયાસ કરવામાં આવે છે અને આ માટે જરૂરી આર્થિક સંસાધનો માટે દાન પણ ઉઘરાવવામાં આવે છે.
મોવેમ્બરની બીજી ઝુંબેશ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન મૂછો વધારવા પ્રોત્સાહન આપે છે. અમેરિકન કેન્સર સોસાયટી સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા 2009થી મૂછો વધારવાની સાથે સાથે કેન્સર અંગે પુરુષોમાં જાગૃતિ કેળવવાની કોશિશ કરે છે. સમગ્ર વિશ્વમાં મોટા ભાગે પુરુષપ્રધાન સમાજ જોવા મળે છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષોને દરેક વાતે જલસા જ હોય એવું જરૂરી નથી, પરંતુ સમગ્ર પરિવારનું ભરણપોષણ-સંચાલન કરવાની જવાબદારી નિભાવવાની હોય છે. કેન્સર જેવી મહામારી જ્યારે પુરુષને થાય છે ત્યારે પોતાના આરોગ્ય કે જીવન કરતાં તેને વધારે ચિંતા પરિવારના ભવિષ્યની હોય છે. વળી, ઘરમાં કમાનારી વ્યક્તિ જ્યારે મહામારીનો ભોગ બને ત્યારે પરિવાર પર બેવડો ફટકો પડતો હોય છે. આ સ્થિતિમાં ઘણા પુરુષો હતાશામાં પણ ધકેલાઈ જતા હોય છે. આવા પુરુષોનું કાઉન્સેલિંગનું કામ પણ મોવેમ્બર ફાઉન્ડેશન અને તેના જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
સોશિયલ મીડિયાના આગમન પછી મોવેમ્બર અંગેની જાગૃતિ સતત વધતી જાય છે અને દર વર્ષે મોવેમ્બરની ઉજવણી અને પ્રવૃત્તિઓને વેગ મળતો જાય છે. મોવેમ્બરની ઉજવણી આજે ઓસ્ટ્રેલિયા ઉપરાંત દુનિયાના 21 દેશોમાં થાય છે. આ વર્ષે પૂનામાં મોવેમ્બર નિમિત્તે દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
મૂછો અંગે દુનિયામાં અવનવા રેકોર્ડ પણ નોંધાતા હોય છે. મૂછોની લંબાઈથી માંડીને તેની તાકાતની કસોટીએ રેકોર્ડ રચવામાં આવે છે. વળી, મૂછોની જુદી જુદી ફેશન અને શૉઝ પણ અવારનવાર ચર્ચામાં આવે છે. જોકે, મૂછોને, પુરુષત્વની નિશાનીને આ રીતે પુરુષોના આરોગ્ય સાથે સાંકળવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે. મરદ કો દર્દ નહીં હોતા, એવા ડાયલોગ હિન્દી ફિલ્મોમાં ચાલે, બાકી જાતજાતનાં અને કેન્સર જેવાં જીવલેણ દર્દોથી પીડાતા મરદોની સારવાર અને સારસંભાળ જરૂરી છે. આ અંગે સભાનતા કેળવવા માટે મોવેમ્બર નામની ઝુંબેશ આદરવામાં આવી છે. નવેમ્બર મહિનો આવી પહોંચ્યો છે, મૂછો વધારો કે નહીં, આરોગ્ય અંગેની જાગૃતિ વધારવી જરૂરી છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 1 નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

Wednesday, October 25, 2017

કચરો! એ વળી કઈ બલા?

દિવ્યેશ વ્યાસ


તમે માનશો? લોરેન સિંગર નામની અમેરિકન યુવતી છેલ્લાં પાંચ વર્ષથી કચરામુક્ત જીવન જીવી રહી છે!


(લોરેન સિંગરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આપણે સૌએ રંગેચંગે દિવાળી ઊજવી અને નવા વિક્રમ સંવતને હેમખેમ વધાવી પણ લીધું. દિવાળી દીપ, રંગોળી, ફટાકડા, શુભેચ્છાઓની સાથે સાથે સ્વચ્છતાનું પણ પર્વ છે! ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જ્યાં દિવાળીને વધાવવા-ઊજવવા માટે સાફસફાઈ અભિયાન ન ચલાવાતું હોય. આખા વર્ષમાં ઘરના ખૂણેખાંચરે એકઠા થતાં કચરા-ધૂળ-બાવાજાળાંને એકઝાટકે ઘરવટો આપી દેવામાં આવતો હોય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની બોલબાલા વધી છે ત્યારે શું આપણે કલ્પના કરી શકીએ કે કચરામુક્ત જીવન પણ જીવી શકાય? કોઈ પણ પ્રકારનો કચરો પેદા કર્યા વિના રોજિંદી જિંદગી જીવી શકાય? આપણા માન્યામાં ન આવે એવી હકીકત છે કે અમેરિકાની એક 26 વર્ષની યુવતી છેલ્લાં પાંચ વર્ષથી ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’ના સિદ્ધાંતનું સુપેરે પાલન કરી રહી છે.

હાલ ન્યૂ યૉર્કમાં રહેતાં લોરેન સિંગરે વર્ષ 2012થી કચરામુક્ત જીવન અપનાવ્યું છે અને આજે તેઓ સફળતાપૂર્વક અને સહજતાપૂર્વક 100 ટકા કચરામુક્તિનો લુત્ફ ઉઠાવી રહી છે. લોરેન મૂળે તો પર્યાવરણની વિદ્યાર્થિની હતી અને ત્યાંથી જ તેમને પર્યાવરણ-મિત્ર જીવન જીવવાનો ‘સોલો’ ચડેલો. કચરામુક્ત જીવન માટે લોરેન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. ‘TED’માં ટૉક આપી ચૂકેલાં લોરેન www.trashisfortossers.com નામનો બ્લોગ ચલાવે છે તથા યુ ટ્યૂબ પર પોતાના વીડિયો થકી રોજિંદા જીવનમાં કઈ રીતે કચરાને પેદા થતો અટકાવી શકાય, એ માટે ટિપ્સ આપે છે અને લોકોના પ્રશ્નો-મૂંઝવણોનો જવાબ આપે છે.

લોરેને પોતાને કચરામુક્ત જીવન જીવવાનો ધક્કો ક્યાંથી અને કઈ રીતે લાગ્યો, એ અંગે પોતાના લેખોમાં ખુલાસો કરેલો છે કે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં પર્યાવરણની વિદ્યાર્થી તરીકે ભણતી વખતે જ પર્યાવરણની મોટી મોટી વાતો અને નવા નવા સમજાયેલા ખયાલોથી હું મારી જાતને મોટી પર્યાવરણવાદી માનવા માંડેલી. એ સમયે અમારી એક સહપાઠી યુવતી રોજ પ્લાસ્ટિકની થેલીમાં પ્લાસ્ટિકના ડબ્બાઓમાં તૈયાર ખાવાનું લાવતી, તેમાં ડિસ્પોઝેબલ ડિસ અને ચમચી-કાંટા વગેરે પણ રહેતાં. તે ભોજન કરીને આ બધી સામગ્રી કચરાપેટીમાં પધરાવી દેતી. આ જોઈને મને રોજ ખીજ ચડતી, પણ હું અંદરથી સમસમીને ચૂપ રહેતી. એક દિવસ મને પેલી વિદ્યાર્થિની પર ગુસ્સો ચડ્યો જ હતો ને હું ઘરે ગઈ. મૂડ ઠીક કરવા મેં રસોઈ બનાવવા વિચાર્યું. મેં જેવું મારું ફ્રીઝ ખોલ્યું કે કે હું થીજી ગઈ. મેં જોયું કે ફ્રીઝમાં દરેક વસ્તુ કાં તો પ્લાસ્ટિકના ડબ્બામાં હતી કે પછી પ્લાસ્ટિકની થેલીમાં. મને અહેસાસ થયો કે પર્યાવરણપ્રેમીના નામે હું તો નર્યો દંભ જ કરું છે. આ અહેસાસે મારી આંખ ઉઘાડી અને કચરામુક્ત જીવન જીવવાની દૃષ્ટિ મળી.

લોરેને કોઈ મુલાકાતમાં કબૂલ કર્યું છે કે સંપૂર્ણ કચરામુક્ત (ઝીરો પર્સેન્ટ વેસ્ટ) જીવન કંઈ એક રાતમાં લાવી શકાય એવી પ્રક્રિયા નથી. મેં મહિનાઓ સુધી મારા રોજિંદા જીવનનો અભ્યાસ કર્યો, ક્યાં, કેવો અને કઈ રીતે કચરો પેદા થાય છે, તેનું નિરીક્ષણ કર્યું અને પછી કચરો કઈ રીતે નિવારી શકાય, એ માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. લગભગ એક-દોઢ વર્ષે અનેક પ્રયોગો અને પ્રયાસોથી આખરે કચરામુક્તિ સિદ્ધ થઈ શકી. ચાર વર્ષના અંતે એક નાની કાચની બરણીમાં સમાઈ જાય, એટલો જ કચરો તેણે પેદા કર્યો હતો.

કચરામુક્ત જીવન જીવવા માટે પ્રેરણારૂપ બનેલાં લોરેન કહે છે કે ઝીરો પર્સેન્ટ વેસ્ટને કારણે હું આજે ઘણા બધા પૈસા બચાવું છું, સારું-પૌષ્ટિક-તાજું ભોજન લઉં છું અને વધારે સુખી છું, સ્વસ્થ છું અને આનંદમાં રહી શકું છું.

આવતી દિવાળીએ ઘરમાં કચરો સાફ કરવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો તમે પણ ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’નો સિદ્ધાંત અપનાવો. 100 ટકા કચરામુક્તિ શક્ય ન બને તોપણ ‘શક્તિ (કે સમજ) એટલી ભક્તિ (પ્રયાસ)’ કરીને કચરાને ઓછામાં ઓછો કરીને પોતાની સાથે સાથે પર્યાવરણનું પણ કલ્યાણ કરી શકો છો. પૃથ્વી અને પર્યાવરણના અસ્તિત્વ માટે કંઈક તો કરવું જ પડશે. બોલો, ક્યારથી શરૂ કરવું છે?

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 18, 2017

દિવાળી અને સમૃદ્ધિની કામના

દિવ્યેશ વ્યાસ


દિવાળીના પર્વ પર લક્ષ્મીજીની પૂજા સાથે સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. સમૃદ્ધિ અંગેની સમજ ‘ગરીબ’ ન ચાલે! સંત વિનોબાના લક્ષ્મી અંગેના વિચારો જાણીને આપણી સમજ સમૃદ્ધ કરીએ... 


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. ભારતનાં અન્ય રાજ્યો-પ્રદેશો કરતાં ગુજરાતમાં દિવાળીનો ઉત્સાહ બેગણો વધારે હોય છે, કારણ કે આપણે ત્યાં દિવાળીના બીજે દિવસે નવા વર્ષના વધામણા પણ કરવામાં આવે છે. ગુજરાત વિક્રમ સંવતનું નવું વર્ષ ઊજવે છે, જેની ઉજવણી બહુ ઓછા પ્રદેશોમાં થતી હોય છે.
પ્રકાશમય આ પર્વ આપણા જીવનમાં ઉજાસ ફેલાવવાની પ્રેરણા આપે છે. આ ઉજાસ જ્ઞાનનો પણ હોઈ શકે, વિદ્યા-વિવેકનો પણ હોઈ શકે છે, સમજ-સંસ્કારનો પણ હોઈ છે, સંવેદનાનો પણ હોઈ શકે, પરિશ્રમ અને પુણ્યતાનો હોઈ શકે અને સુખ-સમૃદ્ધિનો પણ હોઈ શકે. દિવાળીના જુદા જુદા દિવસોના તહેવારોમાં ખાસ કરીને લક્ષ્મીજી અને સરસ્વતી દેવી તથા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મા સરસ્વતી વિદ્યાની દેવી ગણાય છે, જ્યારે લક્ષ્મીજી સમૃદ્ધિની દેવી ગણાય છે. દિવાળીની શુભેચ્છાઓની સાથે નૂતન વર્ષના અભિનંદન પાઠવતું એક વાક્ય બહુ સર્વસામાન્ય રીતે જોવા-વાંચવા મળતું હોય છે, ‘આપનું નવું વર્ષ સુખ-સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છાઓ.’ સુખમય જીવન માટે સમૃદ્ધિ જરૂરી છે. લોકો શ્રદ્ધાપૂર્વક એવું માનતા હોય છે કે લક્ષ્મીજીની કૃપાથી આપણે સમૃદ્ધિ પામી શકીએ છીએ. સમૃદ્ધિને આપણે લક્ષ્મીજીનું સ્વરૂપ જ માનીએ છીએ અને મોટા ભાગે લક્ષ્મી જ કહીએ છીએ.

લક્ષ્મી કે સમૃદ્ધિ અંગેની આપણી સમજ ‘ગરીબ’ હોય એ તો કેમ ચાલે! આપણે મોટા ભાગે પૈસાને જ લક્ષ્મી ગણી લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. વિનોબા ભાવેએ રોજિંદા જીવનમાં પૈસા/રૂપિયાનો વ્યવહાર જ ન રહે એવી નવી વ્યવસ્થા માટે કાંચનમુક્તિનો પ્રયોગ આદર્યો હતો. એ સમયગાળામાં વિનોબાની ‘લફંગા પૈસાનું અનર્થકારણ’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ થઈ હતી, જેમાં પૈસા અને લક્ષ્મી કે શ્રી વચ્ચે કેવો અને કેટલો મોટો ભેદ છે, એ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું, ‘લક્ષ્મી અને પૈસાને એક માની લેવા જેવી ગેરસમજ બીજી કોઈ નથી. આ ભારે મોટો ગોટાળો થઈ ગયો છે. લક્ષ્મી અને પૈસો હરગિજ એક નથી. પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. તેની કિંમત કાયમ ઓછીવત્તી થયા કરે છે, કારણ કે તેની પોતાની કિંમત જ નથી હોતી. એટલે મેં તો તેને લફંગો પૈસો જ કહ્યો છે અને પાછો આપણે તેને આખા સમાજનો કારભારી બનાવી દીધો છે! તેને લીધે સમાજની આજે બહુ જ ભયાનક અવસ્થા થઈ ગઈ છે.’

વિનોબાએ આગળ લક્ષ્મી એટલે શું એ સુંદર રીતે સમજાવ્યું છે, ‘લક્ષ્મી એટલે તો શ્રી, શોભા, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, સૃષ્ટિની વિષ્ણુશક્તિ, સૃષ્ટિનું નિર્માણ. જ્યારે પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. નાસિકના સરકારી પ્રેસમાં નોટો છપાય છે. એક ઠપ કર્યો કે એક રૂપિયાની નોટ અને એક ઠપ કર્યો કે એકસો રૂપિયાની નોટ! એક રૂપિયાની ને એકસો રૂપિયાની નોટ પાછળ એટલો ને એટલો એક સરખો પરિશ્રમ! આવી છે રૂપિયાની ઘટોત્કચની માયા! પૈસાનું કોઈ સ્થિર મૂલ્ય નહીં. જ્યારે લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે. અનાજ લક્ષ્મી છે. પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું, આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે. એક શેર અનાજ ઉત્પન્ન કરવા જેટલો પરિશ્રમ કરવો પડે છે, તેના કરતાં બે શેર અનાજના ઉત્પાદન માટે બમણો પરિશ્રમ કરવો પડે છે.’
વિનોબાએ લક્ષ્મી અંગે બીજી એક મહત્ત્વની વાત કરેલી છે, ‘લક્ષ્મી તો દેવી છે અને તે શ્રમથી ઉત્પન્ન થાય છે. જે શ્રમનો ઉપાસક હશે, ઉદ્યોગ કરનારો હશે, તેને જ લક્ષ્મી વરશે. અનાજ, શાકભાજી, ફળફૂલ એ બધું લક્ષ્મી છે. તેને ઉત્પન્ન કરવા માટે મહેનત કરવી પડે છે. લક્ષ્મી તો આપણા હાથની આંગળીઓમાં વસે છે! ‘કરાગ્રે વસતે લક્ષ્મી’. ભગવાને આપણને જે હાથ આપ્યા છે, તેનાથી પરિશ્રમ કરવાથી લક્ષ્મી મળશે, પરંતુ આપણે આજે શ્રમને બદલે પૈસાને મહત્ત્વ આપી દેવાયું છે. આ બહુ ખોટું થયું છે.’

વિનોબા સોય ઝાટકીને કહેતાં, ‘સુર અને અસુર વચ્ચે જેટલો ફરક હોય તેટલો લક્ષ્મી અને પૈસા વચ્ચે ફરક છે. લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ. પૈસાને લક્ષ્મી માની લેવાથી મોટો ભ્રમ બીજો કયો હોય?’
આમ, પૈસો મારો પરમેશ્વર ક્યારેય ગણી શકાય નહીં. લક્ષ્મીજીની પૂજા કરતાં પહેલાં તેમનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. લક્ષ્મી અને પૈસા વચ્ચે કરાતી ગેરસમજનાં જાળાં હટાવવાનું રખે ચુકાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 18 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)