Saturday, October 6, 2018

લોકશાહી શાસન પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જોઈએ : ગિરીશ પટેલ

દિવ્યેશ વ્યાસ
તેજસ વૈદ્ય

(ગિરીશભાઈની આ તસવીર https://counterview.org પરથી લીધેલી છે.)


પ્રશ્ન: લોકશાહી અંગે આપના વિચારો શું છે? આઝાદી પછી આપણે કયાં થાપ ખાધી છે?

ગિરીશભાઈ: ‘લોકશાહી’ના ખયાલનો વિકાસ તેની દાયકાઓ જૂની વ્યાખ્યા ‘લોકો દ્વારા ચાલતી, લોકો માટેની, લોકોની બનેલી સરકાર’ મુજબ થયેલો છે. જે રાજયમાં એકહથ્થું શાસન હોય, તેમાં બળનું એકત્રીકરણ હોય છે. કાયદો બનાવવાની, અમલમાં મૂકવાની અને કાયદામાં નિયમો બનાવવાની સત્તા એટલે સમાજને સ્પર્શતા દરેક સવાલ અંગે રાજ્ય પાસે સત્તા રહેલી છે.

એક જમાનામાં રાજાશાહીનો ખયાલ હતો કે રાજા રાજ ચલાવે અને લોકો તેની પ્રજા ગણાય. અલબત્ત, માત્ર સુશાસન હોય તે પૂરતું નથી, પરંતુ સ્વશાસન હોવું જરૂરી છે. સુશાસન એક વસ્તુ છે અને સ્વશાસન તેનાથી ઘણી જુદી વસ્તુ છે. લોકો પાસે સુખ-સુવિધા હોય, પણ તેમાં તેનું સ્થાન શું છે, તે મહત્ત્વનું છે. દરેક વ્યકિત સ્વતંત્ર વિચાર ધરાવે છે ત્યારે તેના વિકાસનો વિચાર બીજા કેમ કરી શકે? લોકોની જરૂરિયાતો સંતોષાતી હોય તોય લોકોને સ્વતંત્ર સ્વવિકાસની ઝંખના રહે જ છે. મનુષ્ય માત્ર મળેલું જીવન જીવવા જ અસ્તિત્વ ધરાવતો નથી, તેના માટે સ્વવિકાસ જરૂરી છે અને તે ત્યારે જ ફળીભૂત થઈ શકે જયારે મનુષ્ય સ્વતંત્રતા ભોગવતો હોય અને તંત્રમાં લેવાતા નિર્ણયોમાં તેની ભાગીદારી હોય. રાજય કે શાસન લોકો માટે હોય તે પૂરતું નથી, પરંતુ તે લોકોનું જ હોવું જોઈએ અને લોકો દ્વારા જ ચાલવું જોઈએ. સ્વશાસન ન હોય ત્યાં સુધી સુશાસન કદી સશક્ત ન બની શકે. આ બન્ને ખયાલો અલગ નથી, પણ પૂરક છે. લોકશાહીનો ખયાલ વિકસતો વિકસતો હવે વેલફેર સ્ટેટમાંથી આગળ વધીને વિકાસ રાજ્ય (ડેવલપમેન્ટ સ્ટેટ) સુધી પહોંચ્યો છે, જેમાં લોકોના વિકાસની ચિંતા સેવાય છે.

લોકોના વિકાસ માટે સ્વાતંત્ર્ય જરૂરી છે. તેનામાં ખુદનો અવાજ વ્યકત કરવાની અને પોતાના વિચારોને અમલમાં મૂકવાની શક્તિ હોવી જોઈએ. અલબત્ત, લોકશાહીમાં કોઈ એક વ્યક્તિ  માટે સમગ્ર વ્યવસ્થા નથી હોતી, સમગ્ર સમાજ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય છે. કોઈ વ્યવસ્થા કે પદ્ધતિ ઊભી કરવા પાછળનો ઉદ્દેશ માત્ર આ જ છે. અલબત્ત, કમનસીબે એવું બનતું હોય છે કે સંસ્થાકીય માળખું જ મહત્ત્વનું બની જાય છે અને તેનું હાર્દ મરી જાય છે. માત્ર માળખું જ રહે એ અગત્યનું નથી. લોકશાહી માળખા દ્વારા લોકોનું સ્વશાસન સિદ્ધ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. લોકશાહીનો ખયાલ આદર્શને સિદ્ધ કરવા માટેનો છે. સંસ્થાકીય માળખું અને લોકશાહી ત્યારે જ સફળ થાય જયારે આદર્શ અને માળખું બન્ને એક બને.

બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો ને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ ત્રણેય ભાગો બંધારણનો આત્મા છે. તેનો ઉદ્દેશ સુશાસન અને સ્વશાસન સ્થાપવાનો છે. માત્ર લોકશાહી રાજ્ય એટલું જ પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જરૂરી છે. બંધારણ લોકશાહી રાજ્ય સ્થાપે છે. કુટુંબ સહિત સમાજના દરેક ભાગમાં લોકશાહીની ભાવના વ્યક્ત થવી જોઈએ અને તેમાં ભાગીદારીપૂર્ણ લોકશાહી (પાર્ટીસીપેટરી ડેમોક્રસી) એ લોકશાહીનો આદર્શ હોવો જોઈએ. આપણે બંધારણ તો બનાવ્યું પણ તે મુજબનો સમાજ ન હતો. ઊંચ-નીચના ભેદ, ધર્મ-સંપ્રદાયના પ્રશ્નો, આદિવાસી-દલિતના પ્રશ્નો વગેરે અનેક સમસ્યાઓ હતી. ખ્યાલ એવો હતો કે નવું બંધારણ દેશમાં પરિવર્તન લાવવાનું બળ બનશે અને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ બન્યું એવું કે સામાજિક માળખું એટલી હદે બળવત્તર રહ્યું કે કે બંધારણને હડપ કરી ગયું. આમ, ખરેખર બંધારણ એ કોઈ સિદ્ધ થયેલી હકીકત ન હતી, સિદ્ધ કરવાનું હતું. આ ભૂલને લીધે સમાજનું પાયાગત પરિવર્તન થવું જોઈતું હતું, પરંતુ તે પ્રક્રિયા તૂટી ગઈ. પ્રજાની અંદર જ સહિષ્ણુતા અને લોકશાહીની ભાવના નહિ હોય તો લોકશાહી ટકશે નહીં. તેથી લોકશાહીમાં લોકોની જવાબદારી મહત્ત્વની છે.

ભારતમાં એકવીસમી સદીમાં પ્રવેશ્યું છે ત્યારે ઘણી વિપરીત પરિસ્થિતિઓ સામે આવીને ઊભી છે. લોકશાહી સમાજ માટેના પ્રયત્નો થવા જોઈએ, તે ન થયા તેને કારણે આમ થયું છે. આજે સક્રિયતા ઘણી જોવા મળે છે, તેની ના નહીં, પરંતુ ઘણું અઘકચરું રહી ગયું છે. કામ કરનારા ઓછા થતાં જાય છે, તંત્ર નબળું પડતું જાય છે. આજની પરિસ્થિતિ નિરાશાજનક છે. મૂલ્યો ઓછાં થતાં જાય છે. સ્ત્રીઓની આધુનિકતાની વાત ચાલે છે, પરંતુ સ્ત્રી કયાંય વ્યક્તિ બનતી નથી. એક જગ્યાએ સ્ત્રી મોડલ બને છે તો એક જગ્યાએ સ્ત્રીને સળગાવી દેવામાં આવે છે. વિજ્ઞાનની તકનીકોમાં આપણે ઘણી સિદ્ધિ મેળવી છે, પરંતુ પાયાનો સ્તર નબળો પડી રહ્યો છે.

ગિરીશભાઈના અમૃત પર્વ નિમિત્તે સન્માન સમિતિ દ્વારા પ્રકાશિત પુસ્તક
પ્રશ્ન: ન્યાયતંત્રમાં જાહેર હિતની અરજીનું મહત્ત્વ અને ફાળો શું છે?

ગિરીશભાઈ: આઝાદી પછી આપણે લોકોનું શાસન સ્થાપવાનું હતું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેવી હતી નહીં એટલે બંધારણ આવ્યા પછી આજે એનાં પરિણામે લોકોએ ચૂંટેલી સરકારો તો આવી, પરંતુ લોકોની સરકાર ન આવી. કાયદો ગમે તેટલો સારો હોય, પરંતુ તે કદી પોતાની મેળે અમલમાં આવતો નથી. જે કાયદા બન્યા છે, તેનો અમલ થવો જોઈએ. કાયદાના અસરકારક અમલ માટે લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે. જાગૃતિ પણ માત્ર ઉપરછલ્લી કે ખપ પૂરતી નહીં. માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ તે અમલમાં મૂકવાની ક્ષમતા હોવી જોઈએ.

આ પરિસ્થિતિમાં બંધારણ બન્યા પછી ઈ.સ. ૧૯૮૦ સુધી સામાન્ય લોકો કોર્ટમાં આવતા, પણ તેના માટે નાણાં અને ધીરજ જોઈએ. સામાન્ય માણસો એમના મૂળભૂત અધિકારો માટે લાચાર હતા. જેના અધિકારનું હનન થાય તે જ કોર્ટમાં જઈ શકે એ કાયદો બદલાયો. સુપ્રીમે ઈ.સ. ૧૯૮૨માં જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થાપ્યો.

જે કેસમાં વ્યકિતગત હિત નહિ, પરંતુ અનેક લોકોનું હિત સમાયેલું હોય તો તેના માટે કોણ લડે? જાહેર હિતમાં રાજ્યની સંપત્તિનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર વગેરે સામે લોકોના હિતને ઘ્યાનમાં રાખી અન્ય કોઈ અરજી કેમ ન કરી શકે? એવા સવાલ આવ્યા અને જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થપાતાં ગરીબો, વંચિતો, દલિતોના પ્રશ્નો, સામાજિક મૂલ્યોની જાળવણી, રાષ્ટ્રની સંપત્તિની સાચવણી વગેરે માટેનો કેસ ‘જેન્યુઇન’ માણસ કોર્ટમાં લાવે એવો શિરસ્તો શરૂ થયો. આમ, જાહેરજીવનમાં લોકોમાં સભાનતા-જાગૃતિ આવે અને કાયદાકીય રીતે તેમનું સશકિતકરણ થાય એવા ઉદ્દેશથી  જાહેર હિતની અરજી અમલમાં આવી. જોકે, કોર્ટમાં જાહેર હિતની અરજીનો ચુકાદો બે-ત્રણ વર્ષે આવે એટલે તેમાં હિત ન સચવાય, એવું પણ બને છે. આજે જાહિત હિતની અરજીનો ઉપયોગ પ્રસિદ્ધિ મેળવવા કે પછી વ્યકિતગત કે રાજકીય હિત સાધવા માટે પણ થઈ રહ્યો છે, તે દુ:ખદ બાબત છે.

પ્રશ્ન: કાયદાઓનો અસરકારક અમલ કઈ રીતે થઈ શકે? કાયદાના અમલની જવાબદારી કોની?

ગિરીશભાઈ: કાયદા હોવા છતાં અમલ થતો નથી, અસરકારકતા ઊભી થતી નથી, તેનાં અનેક કારણો છે. જેમકે, તે અંગેની જાગૃતિનો અભાવ, આ દેશમાં કાયદાની ભાષા અંગ્રેજી છે અને કાયદા અટપટા છે. વળી, કાયદો પણ એક ભાષા છે, તેથી તેના અનેક અર્થો નીકળી શકે. કાયદાઓમાં જાણ્યે-અજાણ્યે અનેક છટકબારી રહેલી છે. મૂળે કાયદાને સારો બનાવવાની ચીવટ હોવી જોઈએ, પણ એ બનતું નથી. ખરા અર્થમાં જાહેર હિત એ સામાજિક મૂલ્યોને સાચવવાની વાત છે. કોઈ કાયદામાં માત્ર પોલીસને જ સત્તા આપો તો લોકો શું કરી શકે? સપોર્ટિવ એકશન એન્ડ મેજર્સ ન હોય તો કાયદો નબળો પુરવાર થાય. કાયદાની બાબતમાં તેના અમલીકરણની પણ અગત્યતા છે. કાયદાની પ્રાયોરિટી અલગ હોય તો તેનું અમલીકરણ માત્ર કહેવાથી થઈ જતું નથી. વળી, કાયદાના પાલન માટે દૃષ્ટિ અને શકિત જ સમાજમાં ન હોય તો આંતરિક રીતે જ તે સ્વીકાર્ય બનતો નથી. કાયદો માત્ર ફોર્સ નથી, તેની પાછળ કન્સેપ્ટ હોય છે. કાયદાને સફળ બનાવવા માટે તેનો પ્રચાર જરૂરી છે. આમ, આવી અનેક બાબતો કાયદાની સક્રિયતા માટે જરૂરી છે, જેના અભાવથી કાયદાનો અમલમાં આવતો નથી.

પ્રશ્ન: પહેલાંના જમાનામાં ગામોમાં પંચ નિર્ણય કરતું, તો એવી કોઈ વ્યવસ્થા કોર્ટને બદલે સંભવે તે કેટલું યોગ્ય અને જરૂરી છે?

ગિરીશભાઈ: વિકલ્પો ત્યારે જ વિચારવા પડે જયારે ચાલુ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય. કોર્ટને અસરકારક બનાવવાનાં પગલાં આપણે ક્યારેય લેતાં જ નથી. હાલની વ્યવસ્થાને કેટલા ટકા સુધારી શકાય તેની ચકાસણી કરી વ્યવસ્થા સુધારવા માટે કંઈક નક્કર કરવું જોઈએ. તે માટેના સેમિનારો યોજવાનો કોઈ મતલબ નથી. કોઈ પણ સમાજમાં માત્ર અદાલતો જ સમાજના તમામ પ્રશ્નો હલ ન કરી શકે. સમાજમાં એક જીવંત વ્યવસ્થા હોવી જોઈએ અને ન છૂટકે જ અદાલતની મદદ લેવાવી જોઈએ. જેમકે, કુટુંબના પ્રશ્નો કુટુંબમાં જ ઉકેલાવા જોઈએ. તેના માટે અદાલતમાં જવાની જરૂર ન ઊભી થવી જોઈએ.

ગામ સ્તરે ન્યાય માટે સારી સ્થાનિક સુવિધા વિકસે, એવી વ્યવસ્થા આવકાર્ય છે. ગામમાં પંચ બને, પણ પંચમાં અમુક જ્ઞાતિના લોકો જ બેસતા હોય તો તેનો કોઈ અર્થ નથી. અલબત્ત, ગામના દરેક પક્ષ-જ્ઞાતિના પ્રતિનિધિ હોય તો તે વધુ યોગ્ય અને અસરકારક બને છે. ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય છે અને બધા બધું જાણતા જ હોય છે, તેથી ખોટી બાબતો ટકતી નથી. પંચ જેવી વૈકિલ્પક વ્યવસ્થા સારી છે, પરંતુ તેમાં પણ પ્રશ્નો ઊભા ન થાય એવું નથી.

પ્રશ્ન: માહિતી અધિકારની માગ સમાજમાંથી કેમ નથી ઊઠતી? (મુલાકાત સમયે  માહિતી અધિકારનો કાયદો અમલમાં નહોતો આવ્યો.) આપણા સમાજમાં માહિતી અધિકાર કેટલે અંશે સફળ થશે?

ગિરીશભાઈ: લોકો માહિતી અધિકાર માગતા જ હોય છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આવી માગ કયાં અને કેવી રીતે કરી શકાય? ભૂખ લાગે ત્યારે કહેવાની જરૂર નથી રહેતી, માણસ જાતે ખોરાક શોધવા માંડે છે. માહિતીની જરૂરિયાત લોકોને મહેસૂસ થાય છે, પરંતુ તેને ઉપલા સ્તરે લઈ જવી અને તેને અધિકારનું સ્વરૂપ આપવું, તે સમાજના જાગૃત નાગરિકોની ફરજ છે. સમાજ જ્યારે નાનો હતો ત્યારે માહિતી પ્રત્યક્ષ જ હતી, પરંતુ વખત જતાં સમાજ, સાધનો, વ્યવસ્થા વિકસતા ગયાં, સંકુલ થતાં ગયાં અને તેને લીધે લોકોને બધી વાતની જાણકારી હોતી નથી તથા તેમને એ ખ્યાલ નથી હોતો કે માહિતી કયાંથી મળે? અથવા તો હું માહિતી કેવી રીતે માગી શકું? માહિતી અધિકાર એ સમાજના ખુલ્લાપણાનું એક આગવું લક્ષણ છે. સંકુલ સમાજને ખુલવાની-ખીલવાની વાત માહિતી અધિકાર કરે છે. લોકશાહી એ સમાજનો આદર્શ હોય તો લોકોને માહિતી અધિકાર આપવો જ જોઈએ. લોકશાહીમાં લોકો પાસે માહિતી જ ન હોય તો લોકો કઈ રીતે નિર્ણય લઈ શકે? માહિતી માત્ર આપવાથી કંઈ વળતું નથી. કોઈ પણ અધિકાર મેળવવા માટે સમાજે મોટા પાયે સામાજિક ઝુંબેશ કરવી પડે છે. કાયદો સ્વયં તમને મદદ કરતો નથી. તેને માટે માણસે હિંમત દર્શાવવી પડે.

પ્રશ્ન: વર્ષોથી ચાલ્યા આવતા કાયદાઓમાં બદલાવ લાવવો કેટલો જરૂરી છે?

ગિરીશભાઈ: બદલાતા પરિપ્રેક્ષ્યમાં કાયદા તો બદલાતા જ રહે છે, પરંતુ તેની બદલાવવાની પદ્ધતિ કેવી છે, તે જોવું જરૂરી છે. તેના સંદર્ભો સમજવા જરૂરી છે. કાયદો મૂળે રૂઢિચુસ્ત હોય છે. સમાજમાં બદલાતી પરિસ્થિતિમાં પ્રતિક્ષણે કાયદો ન બદલાય. તે બદલાય તે માટેનું વાતાવરણ ઉપસ્થિત થવું જોઈએ. એ મુજબનું તંત્ર અને લોકોની તૈયારી હોવી જોઈએ.

આજે જેટલી ઝડપી પરિવર્તન આવી રહ્યાં છે, તે ઝડપે કાયદો બદલાવી શકાયો નથી. પરિવર્તનની સ્થિરતા જોઈને બદલાવ લાવવો જોઈએ. દર વખતે કાયદો ન બદલાવી શકાય, પરંતુ કેસને અનુરૂપ જરૂરી અર્થઘટન કરવું જોઈએ. જુદા જુદા વર્ગોએ કાયદા અંગે ચર્ચા કરવી જોઈએ. આપણે ત્યાં સમાજમાંથી ઊઠવો જોઈતો પ્રત્યાઘાત જોવા મળતો નથી.

(હું અને તેજસ વૈદ્ય પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (સીઈઈ) દ્વારા પ્રકાશિત ‘આસ્થા’ સામયિક સંભાળતા હતા ત્યારે દરેક અંકમાં એક મહાનુભાવની મુલાકાતનો સમાવેશ કરતા હતા. ગિરીશભાઈની આ મુલાકાત પણ એ વિભાગ અંતર્ગત જ પ્રકાશિત કરવામાં આવી હતી. ‘આસ્થા’ના જુલાઈ-૨૦૦૩ના અંકમાં આ મુલાકાત પ્રસિદ્ધ થઈ હતી. વિપુલભાઈ કલ્યાણીએ આ મુલાકાત ઓપિનિયનમાં પણ (http://opinionmagazine.co.uk/details/147/લોકશાહી-શાસન-પૂરતું-નથી--લોકશાહી-સમાજ-હોવો-જોઈએ-ગિરીશ-પટેલ- સમાવી હતી. ઓનલાઇન હોવાથી જ અહીં આસાનીથી ઉપલબ્ધ થઈ શકી છે.)

Wednesday, July 25, 2018

દવાખાનું કોઈને દેખાડશો નહીં!

દિવ્યેશ વ્યાસ


બીમારી કે અકસ્માતની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે પરિવારની આર્થિક હાલત સિરીયસ થઈ જાય છે!

(તસવીર પ્રતીકાત્મક છે અને ઇન્ટરનેટ પરથી મેળવેલી છે.)

પરિવારના વૃદ્ધજનોના મોંઢે કદાચ તમે સાંભળ્યું હશે કે ‘ભગવાન, ત્રણ વસ્તુથી કાયમ અમને દૂર રાખજે : દવાખાનું, કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન’. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું સ્થાન દવાખાનાને મળ્યું છે, તેનાં ચોક્કસ કારણો છે. શાંતિપૂર્વક જીવન જીવો, નિયમ-કાયદાનું પાલન કરો અને ટંટાફસાદથી દૂર રહો તો તમે આસાથીની કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનથી દૂર રહી શકો છો, પરંતુ તબિયત કે તંદુરસ્તી પર એક હદથી વધારે આપણું નિયંત્રણ રહેતું નથી. બીમાર પડવાનાં એટલાં બધાં કારણો છે કે ક્યારેક તો કોઈને કોઈ આપણને લપેટમાં લઈ લે છે અને દવાખાનાભેગા થવું પડે છે. એમાંય અકસ્માતમાં તો વગરવાંકે પણ ઉપાધિ માથે પડી શકે છે. આવા સંજોગોમાં સારવાર અર્થે હોસ્પિટલમાં જઈને સારવાર લીધા સિવાય છૂટકો હોતો નથી. અમુક ઉંમર પછી કેટલીક તકલીફો અને બીમારીઓ લાગુ પડ્યા વિના રહેતી નથી ત્યારે શરીરને સ્વસ્થ-સાજું રાખવા માટે દવા-સારવાર કરવી આવશ્યક હોય છે. બીપી અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં તો નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બને છે. આમ, દવાખાને જવું તો કોઈને ગમતું નથી, પરંતુ દવાખાને ગયા વિના ક્યાં કોઈને ચાલે છે?

બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, નિરક્ષર હોય કે સાક્ષર, ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી, દરેકને દવાખાના-સારવારની જરૂર ક્યારેક ને ક્યારેક પડે જ છે. આરોગ્ય અને શિક્ષણ એવાં બે ક્ષેત્રો છે, જેમાં સેવાની જેટલી તક મળે છે, એટલો જ મોકો મેવા ખાવાનો (કમાણી કરવાનો) પણ મળતો હોય છે. ખાનગીકરણના દોર પછી આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલો-કોર્પોરેટ હોસ્પિટલોનો દબદબો સતત વધતો રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ એટલી મોંઘી બની રહી છે કે સામાન્ય લોકોને પોષાતી નથી.

સરકારી દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો પોતે જ સ્વાસ્થ્ય ઝંખી રહ્યા હોય, એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ખાનગી દવાખાનામાં જવું જાણે ફરજિયાત થઈ ગયું છે. આરોગ્ય ક્ષેત્ર ધમધમતી કમાણીનું સાધન બની ગયું છે અને એને કારણે સારવાર પછી વ્યક્તિની હાલત તો સુધરી જાય છે, પરંતુ પરિવારની આર્થિક હાલત બગડી જતી હોય છે. તાજેતરમાં ઇન્ડિયાસ્પેન્ડ ડૉટકૉમ નામના પોર્ટલ પર બીએમજે જર્નલના સંશોધનના આધારે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં અધિકૃત સરકારી આંકડાઓના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે વર્ષ 2011-12માં આરોગ્ય-સારવાર પર હદથી વધારે ખર્ચો થવાને કારણે 5 કરોડ 50 લાખ લોકો રાતોરાત ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા હતા! અહેવાલમાં જ આંકડા અપાયેલા છે કે આ સંખ્યા દ. કોરિયા, સ્પેન અને કેન્યા જેવા દેશોની વસતી કરતાં પણ વધારે છે. આ સંશોધન વાંચતાં અર્થશાસ્ત્રના અભ્યાસુ અને પ્રખર રાજનેતા સનત મહેતાનો એક દસ-બાર વર્ષ જૂનો લેખ યાદ આવી ગયો, જેમાં તેમણે લખેલું કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને ગરીબી રેખા વચ્ચે માત્ર એક મોટી બીમારીનું જ અંતર હોય છે! એમાંય મોટી બીમારી હોય તો અમીર પરિવાર પણ રાતોરાત ગરીબી રેખા હેઠળ પહોંચી જતો હોય છે.

આજકાલ હૃદયરોગ અને કેન્સરની બીમારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે અને પહોંચ બહારનો ખર્ચો કરાવવામાં પણ આ બે બીમારીઓ જ મુખ્યપણે કારણભૂત હોવાનું અભ્યાસોમાં જણાયું છે. પરિવારજનના સ્વાસ્થ્ય માટે દેણું કરીને પણ સારવાર કરાવવામાં આવે છે અને દેવાનો ખાડો પુરવામાં જમીન-જાયદાદ વેચવાનો પણ વારો આવતો હોય છે. ભારતમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેને કારણે લાખો લોકોને પ્રમાણમાં સસ્તી સારવાર મળી રહે છે, પરંતુ દવાઓના ઊંચા ભાવના ડામ તો સહેવા જ પડતાં હોય છે.

ભારતમાં સરકારો દ્વારા આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2015માં સરકાર દ્વારા જીડીપીના માત્ર 1.02 ટકા જ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય માટે સરકાર દર વર્ષે વ્યક્તિદીઠ રૂ. 1,112નો જ ખર્ચ કરે છે. આ હિસાબે રોજના માત્ર રૂ. 3! આરોગ્ય ક્ષેત્રે વધારે નાણાં-સંસાધનો ફાળવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જરૂરી વધારો કરવામાં ઠાગાઠૈયા જ કરવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારે નાણાકીય સંસાધનો ફાળવવા જરૂરી છે. કોઈ પણ દેશ સ્વસ્થ નાગરિકો વિના સશક્ત બની શકે નહીં.

(દિવ્ય ભાસ્કરની 25મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 18, 2018

મંડેલાનો સંઘર્ષ અને શીખ

દિવ્યેશ વ્યાસ


નેલ્સન મંડેલાની શતાબ્દી નિમિત્તે તેમના સંઘર્ષને સલામ કરવા સાથે તેમની શીખ પણ ગાંઠે બાંધવા જેવી છે


(નેલ્સન મંડેલાની આ તસવીર ગેટી ઇમેજીસની છે.)

‘લોકોના માનવ અધિકારની  અવગણના કરવી એટલે તેમનામાં રહેલી માનવતાને છંછેડવી.’ એક નાનકડા વાક્યમાં વિરાટ ડહાપણ સમાવવાની તાકાત તો મહાપુરુષો જ દાખવી શકે! હા, આ વાક્ય છે, નેલ્સન મંડેલાનું. નેલ્સન મંડેલા એટલે રંગભેદ સામે રણે ચડેલા શૂરવીર, માનવ અધિકારના વિશ્વવિખ્યાત હિમાયતી અને માનવતાનાં મૂલ્યોના પ્રહરી. 18 જુલાઈ, 1918ના રોજ દ. આફ્રિકાના એક રાજવંશમાં જન્મેલા નેલ્સન મંડેલાના પૃથ્વી પરના  અવતરણને આજે 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. નેલ્સલ મંડેલાની શતાબ્દી સમગ્ર વિશ્વમાં ઊજવાઈ રહી છે ત્યારે તેમના સંઘર્ષને સલામ કરવાની સાથે સાથે તેમણે પોતાનાં વચન અને કર્મથી આપેલી શીખને પણ ગાંઠે બાંધી લેવા જેવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે  નેલ્સલ મંડેલાને દ. આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. અલબત્ત, લડતના પ્રારંભિક તબક્કામાં મંડેલાને સશસ્ત્ર સંઘર્ષનો છોછ નહોતો. મંડેલાને 1961માં તેમના રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ તરફથી સશસ્ત્ર પાંખનું જ સુકાન સોંપાયું હતું. જોકે, મંડેલામાં માનવતા હતી અને એટલે જ તેમણે સરકારી સંસ્થાનો પર લોકોનો જાન ન લે એવા અહિંસક વિસ્ફોટો કરવાની સરકારની આંખો ઉઘાડવાની નીતિ અપનાવી હતી. દ. આફ્રિકાની ગોરી સરકારે આફ્રિકન નેશનલ કૉંગ્રેસને આતંકવાદી જૂથ ગણાવીને મંડેલા સહિતના સાથીદારોને જેલભેગા કરી દીધા હતા અને દાયકાઓ સુધી જેલમાં  ગોંધી રાખ્યા હતા. જોકે, મંડેલાના હૃદયમાં રહેલી માનવતા તેમને ગાંધીવિચાર સુધી લઈ ગઈ. સમયની સાથે તેઓ પરિપકવ બનતા ગયા અને તેમને સમજાયું કે ગાંધીચીંધ્યો માર્ગ જ વધારે સુફળદાયી છે.

મંડેલા જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ અનેક અર્થમાં ‘મુક્ત’ થઈ ચૂક્યા હતા અને જેલબહાર આવીને તેમણે શુદ્ધ ગાંધીવાદી રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને દ. આફ્રિકામાં શાંતિપૂર્ણ રીતે અશ્વેત લોકોને ન્યાય અપાવ્યો અને સમાજ-દેશમાંથી ગોરા-કાળાનો ભેદ હટાવવાનું યુગકાર્ય કર્યું. પ્રખર અભ્યાસુ અને વિચારક રામચંદ્ર ગુહાએ 2016માં ગૂજરાત વિદ્યાપીઠમાં આપેલા દીક્ષાંત પ્રવચનમાં ગાંધીજીની ચિરપ્રસ્તુતતાની વાત કરતાં કરતાં નેલ્સલ મંડેલા અંગે એક નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું, ‘વિરોધકર્તા તરીકે નેલ્સન મંડેલાએ ગાંધીની જ પદ્ધતિઓનો ચુસ્તપણે ઉપયોગ કર્યો નહોતો, પણ એક શાસક તરીકે તેઓ ચોક્કસપણે ગાંધીવાદી પુરવાર થયા હતા. રંગભેદની નીતિનો અંત આવ્યા બાદ નેલ્સન મંડેલાએ શ્વેત પ્રજા સાથે પુનઃ સુમેળના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ આફ્રિકાના વિવિધ લોકોને મળવાનું ચાલુ રાખ્યું. પ્રજાસત્તાક આફ્રિકાનું બંધારણ કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાકીય જૂથના વિશેષાધિકારને નકારે છે.’ આમ, આ મહામાનવે ગાંધીવિચારની પ્રસ્તુતતાનો આપેલો સજ્જડ પુરાવો અનેક પેઢી સુધી પ્રેરણા આપતો રહેશે.

મંડેલાની જેલમુક્તિ પછી દ. આફ્રિકામાં પહેલી વખત મુક્ત ચૂંટણી યોજવામાં આવી હતી અને મંડેલાના રાજકીય પક્ષને 62 ટકા મતો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયેલો. મંડેલાને બહુમતી મળી હોવા છતાં તેમણે રાષ્ટ્રીય એકતા ધરાવતી સંયુક્ત સરકાર રચી હતી. (આઝાદ ભારતની પહેલી નેહરુ સરકારની જેવી) મંડેલાની સરકારમાં ગોરા પ્રતિનિધિઓને પણ સન્માનનીય સ્થાન મળ્યું હતું અને એ રીતે શ્વેત-અશ્વેત વચ્ચેનું  સદીઓ  જૂનું અંતર મીટાવવાનો મંડેલાએ મહાપ્રયાસ આદર્યો હતો. ઈ.સ.  1994માં મંડેલા દ. આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા. 75 વર્ષની વયે રાષ્ટ્રપ્રમુખ બનેલા મંડેલાએ ધાર્યું હોત તો તેઓ આજીવન રાષ્ટ્રપ્રમુખ પદે રહી શક્યા હોત, પરંતુ તેમને ન તો સત્તા-પદની લાલસા હતી કે ન હતી કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ. તેમણે પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે  માત્ર એક ટર્મ સુધી જ રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો સંભાળવો અને પછી સક્રિય રાજકારણ છોડીને માનવ અધિકાર, ગરીબીની નાબૂદી અને વિશ્વશાંતિ માટે સમર્પિત જીવન જીવવું. જીવનનાં કીમતી 27 વર્ષો જેલમાં વીતાવનારા મંડેલાને જેલમાં જીવતાં પણ આવડ્યું અને સમયસ સત્તાનો મહેલ છોડતાં પણ આવડ્યું. આ ગુણ જ તેમને મહાન નેતાઓની હરોળમાં મૂકે છે.

નેલ્સન મંડેલા ભારતને ખૂબ જ ચાહતા હતા. ભારતે પણ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા. શાંતિનો નોબેલ જીતનારા મંડેલાનાં એક સુવાક્યો પ્રેરણાદાયક છે, તેમના એક મનનીય વાક્યથી જ લેખ પૂરો કરીએ: ‘વિજેતા એ છે, જે સ્વપ્ન જુએ છે અને તેને પૂરું કર્યા વિના ક્યારેય હાર માનતો નથી.’

(દિવ્ય ભાસ્કરની 18મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 4, 2018

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ


હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 27, 2018

જેલ ખાલી કરો અભિયાન

દિવ્યેશ વ્યાસ


ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના અંતર્ગત સામાન્ય ગુનેગારોને વહેલા મુક્ત કરવામાં આવે છે


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

જંગલમાં જેલ હોતી નથી. જંગલનો કાયદો કોઈ પણ નાનો કે મોટો ગુનો કરનારને એક જ સજા ફરમાવે છે, સજા-એ-મોત. માનવીએ આ જંગલમાં જ પોતાની અલગ વસાહત ઊભી કરી. વસાહતના પોતાના અલગ કાયદા બનાવવામાં આવ્યા, જે ‘માનવીય’ હોવા જોઈએ, એવી સમજ ધીમે ધીમે કેળવાતી ગઈ. ગુના મુજબ સજા કરવા માટે દંડ સંહિતાઓ રચવામાં આવી. સજાનાં સ્વરૂપો અને પ્રકારો પણ સમય સાથે બદલાતાં રહ્યાં છે. આજના સમયની વાત કરીએ તો મૃત્યુદંડની પદ્ધતિ બદલવી જોઈએથી માંડીને મૃત્યુદંડ નાબૂદ જ કરી દેવા સુધીની ચર્ચાઓ ચાલી રહી છે. આવા માહોલમાં સજા તરીકે કારાવાસનો જ વિકલ્પ વધારે અજમાવાય છે. ભારત અને ચીન જ નહિ, પરંતુ અમેરિકા અને યુરોપના દેશોમાં પણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા વધતી જાય છે. આ કારણે જેલનું ભારણ-ખર્ચમાં વધારો થાય છે, સાથે સાથે વ્યવસ્થાપનના પ્રશ્નો વધી રહ્યા છે. આ સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

ઇંગ્લેન્ડમાં આ સમસ્યાનો ઉકેલ ‘જેલ ખાલી કરો’ના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલી નવી યોજના દ્વારા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ઇંગ્લેડની સ્થિતિ પર નજર નાખીએ તો વર્ષ 1993થી 2016ના ગાળામાં જેલોમાં કેદીઓની સંખ્યા બમણી થઈ ગઈ. ઓવરક્રાઉડેડ જેલની વધતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સામાન્ય પ્રકારના ગુનામાં પકડાયેલા કેદીઓને સમય કરતાં થોડા વહેલા છોડવાની નીતિ અખત્યાર કરવામાં આવી. આ માટે ક્રાઇમ એન્ડ ડિસઓર્ડર એક્ટ - 1998 અંતર્ગત હોમ ડિટેક્શન કર્ફ્યૂ (HDC) યોજનાને કાયદાકીય રીતે સ્વીકારવામાં આવી અને વર્ષ 1999થી હોમ  ડિટેક્શન કરફ્યૂ સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો. જોકે, ગુનેગારને વહેલો છોડવાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી અને કેદીઓની અરજીઓ લાલફિતાશાહીમાં અટવાઈ જતી હતી. યોજના અમલમાં મૂક્યા છતાં જેલની સ્થિતિમાં કોઈ સુધારો ન જણાયો. વર્ષ 2016માં 35,000 કેદીઓ મુક્તિ મેળવવા માટે લાયક જણાયા હતા, પરંતુ માત્ર 9000ને (21 ટકા)આ યોજનાનો ફાયદો અપાયો હતો.  આમ, યોજનાનો હેતુ બર આવતો નહોતો. યોજનાના અમલીકરણમાં ક્યાં મુશ્કેલી આવે છે અને મામલો ક્યાં અટવાય છે તેનો અભ્યાસ કર્યા પછી આ વર્ષના પ્રારંભે જાન્યુઆરીથી એક નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી અને HDCની પ્રક્રિયાને સુગમ કરવામાં આવી.

ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના હવે ગતિ પકડી રહી છે અને તેનાં સારાં પરિણામો પણ મળી રહ્યા છે. ગત 22મી જૂનના રોજ એક જ દિવસમાં કુલ 1,108 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા અને આ જૂન મહિનામાં જ 22મી તારીખ સુધીમાં 2,196 કેદીઓને જેલમુક્તિ અપાઈ છે. આ સાથે જેલમાં બંધ કેદીઓની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની સપાટી પર પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2010માં ઇંગ્લેન્ડની જેલોમાં કેદીઓની કુલ સંખ્યા 82,653 હતી અને હવે 22મી જૂન, 2018ના રોજ કેદીઓની સંખ્યાનો આંક 82,694ની સપાટીએ પહોંચ્યી શક્યો છે.

હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજનાનો લાભ દરેક કેદી લઈ શકતો નથી. તેના માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. ચાર વર્ષથી વધુ સજા મળી હોય એવા કેદીઓ જેમણે ગંભીર ગુનો કર્યો હોય, તેમને આ યોજનાનો લાભ મળતો નથી તો છેડતી કે બળાત્કાર જેવા જાતિય ગુનાઓમાં દોષિત ઠરેલાને પણ આ યોજનામાં છૂટછાટ મળતી નથી. યોજના અંતર્ગત ત્રણ મહિનાથી ચાર વર્ષની જેલની સજા ભોગવતા કેદીઓની વર્તણૂકના આધારે તેમને આ યોજનાનો લાભ આપવાનું નિર્ધારિત થાય છે. આ કેદીઓને છોડી મૂકવામાં કેટલું જોખમ રહેલું છે, તેનો પણ અંદાજ કાઢીને નિર્ણય લેવામાં આવે છે. કેદીને બે અઠવાડિયાથી લઈને 120 દિવસ વહેલા છોડવામાં આવે છે.

હોમ ડિટેક્શન કરફ્યૂ અંતર્ગત કેદીને વહેલો મુક્ત કરવામાં આવે છે, પરંતુ તેની હલચલ પર દેખરેખ રાખવામાં આવે છે. કેદીના શરીર પર ઇલેક્ટ્રોનિક ટેગ લગાડવામાં આવે છે, જેના થકી તેની હલચલનું મોનિટરિંગ થઈ શકે. કેદીએ આપેલા સરનામા પર સાંજે 7થી સવારના 7 સુધી ફરજિયાતપણે રહેવું પડે છે. તેઓ રાત્રે ક્યાંય જઈ શકતા નથી. કેદીના ઘરમાં પણ એક મશીન લગાવાય છે, જેના આધારે ખ્યાલ આવે છે કે કેદી ખરેખર ઘરમાં જ છે. આમ, જેલમુક્ત કરાયેલા કેદીને સાવ છોડી મૂકવામાં નથી આવતો. વળી, આવા કેદી જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને ફરી જેલમાં મોકલવામાં આવે છે અને અગાઉ કરતાં વધારે સમય માટે જેલમાં રાખવામાં આવે છે.આમ, આ યોજના થકી કેદીઓની મુક્તિની સાથે સાથે સમાજમાં કોઈ જોખમ ઊભું ન થાય, તેની પણ કાળજી રાખવામાં આવે છે.

જેલ ખરેખર તો સુધારણા ગૃહ બનવી જોઈએ, પરંતુ એવું ભાગ્યે જ બનતું હોય છે અને તેનું એક કારણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની વધારે સંખ્યા પણ છે. સામાન્ય ગુનો કરનારા કે આવેશમાં આવી જઈને ગુનો આચરી નાખનારાને સુધરવા માટે, સામાન્ય જીવન જીવવા માટે અને પોતાની ભૂલ સુધારવા માટે તક જરૂર મળવી જોઈએ.

ઇંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ જેવા દેશોમાં પણ HDC અમલમાં છે. આપ ણા દેશમાં તો કાચા કામના કેદીઓની સંખ્યા પણ મોટા પાયે છે. આપણી જેલોની હાલત ગંભીર છે ત્યારે HDC જેવી યોજનાઓ લાગુ પાડવાની દિશામાં વિચારવા જેવું છે.

(દિવ્ય ભાસ્કરની 27મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 20, 2018

શરણાર્થીઓની સિતમયાત્રા

દિવ્યેશ વ્યાસ


સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્થાપન એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે

(શરણાર્થી શિબિરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકી છે)

‘મુઝસે મિલને કે લિયે, કિસી કો ખટખટાના નહીં હોગા દરવાજા, કેવલ ફટેહાલ સરકારી તંબૂ કા પર્દા સરકાના હોગા’ વિસ્થાપિત કાશ્મીરી પંડિત અને કવિ મહારાજ કૃષ્ણ ભરતની આ પંક્તિમાં છુપાયેલા દર્દની આપણે તો પૂરી કલ્પના પણ ન કરી શકીએ. જિંદગીમાં એક વસ્તુ ખોવાઈ જાય કે એક વ્યક્તિ સાથેનો નાતો તૂટી જાય, એનું દુ:ખ પણ આપણાથી જીરવાતું નથી હોતું ત્યારે પોતાના જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી વ્યક્તિનું દર્દ કેટલું વસમું હશે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે! 21મી સદીમાં દુનિયા જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, એમાંની એક સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, એમ એમ વિસ્થાપનની સમસ્યા વકરતી જાય છે.

શરણાર્થી બનવા જેવી મોટી લાચારી બીજી કોઈ હોઈ ન શકે. પોતાનું ઘર છૂટી જાય, પોતાનું ગામ છૂટી જાય, પોતાનાં સગાંસંબંધીઓનો સાથ છૂટી જાય, નસીબ ફૂટેલાં હોય તો પરિવારજનો પણ છૂટી જાય, પોતાની જમીન-જાયદાદ છૂટી જાય, નોકરી-ધંધો છૂટી જાય... શું શું નથી છૂટી જતું એક શરણાર્થીના જીવનમાંથી? ટૂંકમાં, જીવનમાં જે કંઈ પોતાનું ગણીને પ્રેમથી જીવન જીવી રહ્યા હોઈએ, એ સઘળું એક ઝાટકે છૂટી જાય ત્યારે બચેલું જીવન વરદાન છે કે શાપ, એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. આજે વિશ્વ શરણાર્થી દિવસ (20 જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે) છે ત્યારે શરણાર્થીઓની સિતમયાત્રાને જાણવી અને સંવેદવી જરૂરી છે.

વર્તમાન વિશ્વમાં વ્યક્તિને શરણાર્થી બનાવતાં મુખ્ય ચાર કારણો પર નજર નાખીએ તો સૌથી પહેલાં આવે છે, યુદ્ધ. બે દેશોની સરહદ પર તણખા ઝરે ત્યારે ઘર-ગામ છોડવા પડતાં હોય છે. બીજું કારણ છે, આતંકવાદ. અમુક ક્ષેત્રોમાં જ્યારે કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધી જાય ત્યારે સામાન્ય લોકો ગામ-દેશ છોડવા મજબૂર બનતા હોય છે. ત્રીજું કારણ છે કોમી-વંશીય રમખાણો. રોહિંગ્યા મુસ્લિમોએ હાલમાં મ્યાનમાર છોડવા મજબૂર બનવું પડ્યું છે, તે આ કારણનું જલદ ઉદાહરણ છે. ચોથું અને સામાન્ય લોકોને ધ્યાનમાં ન આવતું કારણ છે, આર્થિક પરિયોજનાઓ. વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટને કારણે હજારો લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિકાસ કરવો હોય તો ભોગ તો આપવો પડે, એ બોલવું સહેલું છે, પરંતુ મૂળ સાથે ઊખડવાની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણતું હોય છે. વિસ્થાપન માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ જોવા મળી છે કે ગરીબ, વંચિત, પછાત, હાંસિયામાં ધકેલાયેલા અને આદિવાસી સમૂહોએ જ વિસ્થાપનની વસમી પીડા વધારે ભોગવવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાનો અવાજ રજૂ કરવા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોતા નથી. આથી તેમણે વસવાટ માટે અન્ય પ્રદેશ અપનાવવો પડે છે અને નવા પ્રકારની આજીવિકા ઊભી કરવા માટે મથવું પડે છે. અજાણ્યા લોકો, અજાણ્યા દેશ-પ્રદેશમાં જ્યાં પોતાનું કોઈ નથી હોતું ત્યાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું પડે છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે ઓછામાં ઓછી એક પેઢીએ તો ભોગ આપવો જ પડે છે.

શરણાર્થીઓને સામનો કરવો પડે એવી બીજી સમસ્યા એ છે કે દુનિયાના ભાગ્યે જ કોઈ સ્થળે તેમને આવકાર મળતો હોય છે. બહારથી આવેલાને શંકાથી કે ડરથી જોવામાં આવતાં હોય છે. વળી, શરણાર્થીઓના પુન:સ્થાપન માટે રાજ્ય કે દેશ પર જે આર્થિક ભારણ આવે છે, એની પણ અવગણના થઈ શકે નહીં.

શરણાર્થીઓની સિતમયાત્રા ઘણી લાંબી ચાલતી હોય છે. ચાલો, આપણે એવો સમાજ રચીએ, વિકાસનો એવો અભિગમ અપનાવીએ કે કદી કોઈએ વિસ્થાપિત ન થવું પડે.

(દિવ્ય ભાસ્કરની 20મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)